
Partyless Election India: ગુજરાતમાં તાજેતરમાં જ સંપન્ન થયેલી ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓએ લોકશાહીના અસ્તિત્વ સામે ચિંતાઓ અને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જનતામાં શાસક પક્ષ પ્રત્યે ભારે આક્રોશ અને વિરોધ હોવા છતાં, ચૂંટણીના પરિણામોમાં માત્ર એક જ પક્ષને જંગી બહુમતી મળી હોય તેવા શંકાસ્પદ દ્રશ્યો સામે આવ્યા છે. ૧૯૯૬થી રાજ્યમાં સતત એકપક્ષીય શાસન સ્થાપવા માટે લોકશાહીનું ગળું ઘોંટવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર, પોલીસ અને ચૂંટણી પંચ કોર્પોરેટ કંપનીઓના ઈશારે કઠપૂતળીની જેમ નાચી રહ્યા છે, જેનો જીવંત પુરાવો એ છે કે ગુજરાતમાં વિકાસના નામે ૫ લાખ ખેડૂતોના ખેતરોમાં પોલીસના જોરે બળજબરીથી વીજળીના થાંભલા રોપી દેવાયા છે. સત્તા પરિવર્તન એ લોકશાહીનો આત્મા છે, પરંતુ અહીં સત્તા ટકાવી રાખવા માટે સરકારી મશીનરીનો નગ્ન નાચ થઈ રહ્યો છે.
ચૂંટણી પંચ અને શાસકોની મિલીભગત
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિપક્ષો અને જનતાની ફરિયાદો પર અદાલતો, અધિકારીઓ કે ચૂંટણી પંચ કોઈ જવાબ આપવા તૈયાર નથી. ૨૦૨૬ની આ ચૂંટણીમાં ગ્રાઉન્ડ લેવલ પર ૧૦ મોટા કૌભાંડો આચરવામાં આવ્યા છે, જેમાં સૌથી મોટો આંચકો મતદાર યાદીમાં અપાયો છે. રાજ્યભરમાંથી આયોજનબદ્ધ રીતે ૧૩.૪% જેટલા (અંદાજે ૭૨ લાખથી ૧ કરોડ) પરંપરાગત મતદારોના નામ યાદીમાંથી કાપી નાખવામાં આવ્યા, જ્યારે તેની સામે નવા મતદારો માત્ર ૧.૩% જ ઉમેરાયા! આ સિવાય ચૂંટણી હરીફાઈ ખતમ કરવા માટે વિપક્ષી ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવાનો ૨૨% થી ૨૮% જેટલો ઊંચો રેશિયો રખાયો, જેના કારણે રાજ્ય ચૂંટણી પંચે એક ઝાટકે ૧૧,૦૦૦ ઉમેદવારોની અરજીઓ ફગાવી દીધી. આ આંકડા જ સાબિત કરે છે કે શાસક પક્ષને વોકઓવર આપવા માટે બિનહરીફ બેઠકોનો આખો ખેલ સરકારી બાબુઓએ જ તૈયાર કર્યો હતો.
હોર્સ ટ્રેડિંગ અને હિંસક હુમલા
ચૂંટણી જીત્યા બાદ પણ પ્રમુખ, ઉપપ્રમુખ અને મેયર પદ કબજે કરવા માટે ભાજપ દ્વારા સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવાઈ રહી છે. દાહોદના ધાનપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ૧૨ સભ્યો જંગી બહુમતીથી જીત્યા હતા, પરંતુ સામાન્ય સભામાં જતા રોકવા માટે ભાજપના ઈશારે અસામાજિક તત્વોએ રસ્તા પર ઝાડ કાપી, ગાડીઓ આંતરીને સભ્યો પર પથ્થરમારો, તીરકામઠા અને ખુલ્લું ફાયરિંગ કર્યું હતું. આવી જ રીતે દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે ૧૨ અને ભાજપ પાસે ૧૦ સભ્યો હોવા છતાં, બહુમતીથી ડરી ગયેલા ભાજપના સભ્યોએ અંદરોઅંદર ઝગડો કર્યો અને ડેપ્યુટી કલેક્ટરે સ્ક્રિપ્ટ મુજબ ચૂંટણી જ મુલતવી રાખી દીધી. આ દરમિયાન એક ગર્ભવતી મહિલા સદસ્યને ધક્કો મારવામાં આવ્યો અને હોસ્પિટલ ભેગા કરવા પડ્યા. તાપી, આણંદ અને ગીર સોમનાથના કોડીનારમાં પણ બહુમતી હોવા છતાં વિપક્ષી સભ્યોને પોલીસે તપાસના બહાને ઉઠાવી જઈ લોકશાહીની હત્યા કરી છે. બનાસકાંઠાના વડગામ, વાવ અને થરાદમાં પણ સત્તાના જોરે ચિઠ્ઠીઓ ઉલાળીને ગેરકાયદે સત્તા કબજે કરાઈ છે.
બંધારણમાં રાજકીય પક્ષોની કોઈ જોગવાઈ જ નથી
આ સડેલી રાજકીય વ્યવસ્થા સામે રાજકોટના અશોક પટેલ છેલ્લા ૨૧ વર્ષથી એકલા હાથે અને છેલ્લા ૮ વર્ષથી દેશના ૧૫ રાજ્યોમાં ‘પાર્ટીલેસ ઇન્ડિયા’ સંગઠન હેઠળ મોટું જન આંદોલન ચલાવી રહ્યા છે. અશોક પટેલે બંધારણીય કલમો ટાંકીને સ્ફોટક ખુલાસો કર્યો છે કે, ભારતીય બંધારણના આર્ટિકલ ૫૮, ૬૬, ૮૪, ૧૭૩ અને પંચાયતી રાજના આર્ટિકલ ૨૪૩-કે માં ક્યાંય પણ ચૂંટણી લડવા માટે ‘રાજકીય પક્ષ’ હોવો જરૂરી છે તેવો સીધો કે આડકતરો ઉલ્લેખ જ નથી! બંધારણ માત્ર વ્યક્તિગત નાગરિક (લોકતંત્ર) ની વાત કરે છે, પક્ષતંત્રની નહીં. લોકશાહીના નામે દેશમાં ‘પક્ષશાહી’ થોપી દેવાઈ છે. ૧૯૫૦માં બંધારણ અમલી બન્યું અને ૧૯૫૨માં પહેલી ચૂંટણી થઈ, પરંતુ ચૂંટણી પંચે રાજકીય પક્ષોની નોંધણી કરવાનું પાપ ૧૯૮૯માં (૩૭ વર્ષ પછી) શરૂ કર્યું. આ જ દર્શાવે છે કે આખી ચૂંટણી વ્યવસ્થા રાજકીય પક્ષોએ હાઈજેક કરી લીધી છે.
જન આંદોલનના નેતા અશોક પટેલ અને વિશ્લેષકોના મતે, દેશનું કેન્દ્રીય કે રાજ્ય ચૂંટણી પંચ સહેજ પણ સ્વાયત્ત રહ્યું નથી, તે માત્ર સત્તા પક્ષના નેતાઓની પગચંપી કરનારી રાજકીય પાંખ બની ગયું છે. ટી.એન. શેષાન જેવા કમિશનર બાદ ચૂંટણી પંચ સંપૂર્ણ નપુંસક બની ગયું છે. નવાઈની વાત એ છે કે સ્વાયત્ત હોવાનો દાવો કરતા ચૂંટણી પંચ પાસે પોતાનો કોઈ કાયમી સ્ટાફ જ નથી! તે ચૂંટણી કરાવવા માટે જે તે સમયની સરકાર પાસેથી જ કર્મચારીઓ અને મશીનરી ઉછીની માંગે છે, જેથી સરકારી દબાણ હેઠળ જ આખી મેચ ફિક્સિંગ થાય છે. આંદોલનકારીઓ કોઈ ચૂંટણી લડવા માંગતા નથી, પરંતુ તેમનો એક જ નારો છે: “ન જોઈએ રાજકીય પક્ષો, કે ન જોઈએ જાતે ઊભા થતા અપક્ષો.” જે રીતે ૧૮૫૭ના બળવા પછી ૧૯૪૭માં અંગ્રેજ મુક્ત ભારત બન્યું, તેવી જ રીતે આ દેશને બચાવવા માટે હવે ‘પક્ષ મુક્ત ભારત’ ની બીજી ક્રાંતિ અનિવાર્ય બની ગઈ છે.
આ પણ વાંચો:









