
Kuno Cheetah Tranquilization Report: કેન્દ્ર સરકાર જે ‘પ્રોજેક્ટ ચીતા’ ને વૈશ્વિક સ્તરે પોતાની સિંહ ફાળ અને પ્રજાતિ પુનર્જીવનની સૌથી મોટી સફળતા તરીકે પ્રમોટ કરીને પીઆર (PR) સ્ટંટ કરી રહી છે, તેની અંદરની વરવી વાસ્તવિકતા અત્યંત આઘાતજનક અને ક્રૂર છે. મધ્ય પ્રદેશ વન વિભાગના જ એક અત્યંત ગુપ્ત સરકારી દસ્તાવેજમાંથી એવો પર્દાફાશ થયો છે કે કુનો નેશનલ પાર્કમાં રાજકીય વાહવાહી મેળવવા માટે વિદેશથી લાવવામાં આવેલા માસૂમ ચિત્તાઓ પર કોઈપણ મજબૂત વૈજ્ઞાનિક કારણ વિના વારંવાર ટ્રેન્ક્વીલાઈઝર (કેમિકલ બેહોશીના ઇન્જેક્શન) નો અમાનવીય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વન્યજીવ નિષ્ણાતો અને પર્યાવરણવાદીઓના મતે, સરકારી અધિકારીઓ પોતાની વહીવટી નિષ્ફળતા છુપાવવા માટે આ વન્યજીવોના શરીરને કેમિકલનું ગોડાઉન બનાવી રહ્યા છે, જે લાંબા ગાળે આ ચિત્તાઓ માટે જીવલેણ સાબિત થશે.
બે વર્ષમાં ૧૧૦ વાર ટ્રેન્ક્વીલાઈઝેશનનો ચોંકાવનારો આંકડો
મધ્ય પ્રદેશના તત્કાલીન પ્રધાન મુખ્ય વન સંરક્ષક અને મુખ્ય વન્યજીવ પ્રતિપાલક વી. એન. આંબાડેના ૨૦૨૪ ના સત્તાવાર નિરીક્ષણ અહેવાલની નકલ આવી છે, જે સરકારી દાવાઓની ધજાગરા ઉડાવે છે. આ અહેવાલ અનુસાર, સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં એટલે કે પ્રોજેક્ટ શરૂ થયાના માત્ર બે વર્ષની અંદર જ કુનોના ચિત્તાઓને ૧૧૦ વખત ટ્રેન્ક્વીલાઈઝ કરીને બેહોશ કરવામાં આવ્યા છે. નિરીક્ષણ દરમિયાન માધવ નેશનલ પાર્કના પશુચિકિત્સક ડો. જિતેન્દ્ર જાટવ અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (WII) ના ડોક્ટરોએ ગર્વભેર સ્વીકાર્યું હતું કે તેમણે ચિત્તાઓને ૧૧૦ વાર સફળતાપૂર્વક બેહોશ કર્યા છે. આ આંકડો દર્શાવે છે કે જંગલના મુક્ત જીવોને સરકારી તંત્રે પ્રયોગશાળાના ઉંદરો બનાવી દીધા છે.
મંત્રાલયના વાર્ષિક રિપોર્ટમાં પણ સ્વીકારાયું
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) ના પોતાના ‘ઇન્ટ્રોડક્શન ઓફ ચીતા ઇન ઇન્ડિયા’ ના વાર્ષિક અહેવાલ ૨૦૨૨-૨૩ માં પણ આ કેમિકલ ટોર્ચરનો સ્વીકાર કરાયો છે. રિપોર્ટ મુજબ, માત્ર પહેલા જ વર્ષમાં પશુચિકિત્સા અને સામાન્ય વ્યવસ્થાપન કાર્યોના બહાને ચિત્તાઓને ૩૪ વખત કેમિકલ પદ્ધતિથી પકડીને બેહોશ કરાયા હતા. સરકારી અહેવાલમાં લૂલો બચાવ કરાયો છે કે ચિત્તાઓમાં પકડવાની પ્રક્રિયા દરમિયાન શારીરિક અસરો અને મોતોનું જોખમ સૌથી વધુ હોય છે, છતાં કુનોમાં હજુ સુધી કોઈ મોત થયું નથી. જો કે, જ્યારે આ વિષે મંત્રાલય અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે હંમેશની જેમ સત્તાવાર જવાબ આપવાનું ટાળીને મૌન સેવી લેવાયું હતું.
સરહદની બહાર ભાગતા ચિત્તા અને વન વિભાગની લાચારી
કુનો નેશનલ પાર્કના એક અધિકારીએ નામ ન આપવાની શરતે સ્વીકાર્યું કે ચિત્તાઓને વારંવાર ટ્રેન્ક્વીલાઈઝ કરવા પાછળ વાસ્તવિક જંગલ વ્યવસ્થાપનની નિષ્ફળતા જવાબદાર છે. પ્રોજેક્ટ ચીતાના નામે કરોડો રૂપિયા ફૂંકી માર્યા પછી પણ સરકાર ચિત્તાઓ માટે પૂરતો વિસ્તાર અને શિકાર સુનિશ્ચિત કરી શકી નથી. પરિણામે, જ્યારે પણ ભૂખ્યા ચિત્તાઓ પાર્કની સરહદ બહાર નીકળી જાય છે ત્યારે વન વિભાગ પોતાની આબરૂ બચાવવા તેમને બેહોશ કરીને પાછા પાંજરામાં પૂરી દે છે. તાજેતરમાં ૮ મેના રોજ પણ રાજસ્થાનના રણથંભોર ટાઇગર રિઝર્વમાં પહોંચી ગયેલા એક ચિત્તાને ટ્રેન્ક્વીલાઈઝ કરીને બળજબરીથી મધ્ય પ્રદેશ મોકલાયો હતો. ફેબ્રુઆરીમાં બોત્સ્વાનાથી લાવેલા ચિત્તાઓને પણ માત્ર પાંજરા બદલવા માટે બેહોશ કરાયા હતા.
કેમિકલના ઓવરડોઝથી આંતરિક અંગો સડવાનો ભય
મધ્ય પ્રદેશના વન્યજીવ કાર્યકર્તા અજય દુબેએ આ સરકારી નીતિ સામે આકરો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, “આ અત્યંત ચિંતાજનક અને ક્રૂર સ્થિતિ છે. વિચારો કે જો કોઈ સામાન્ય માણસને વારંવાર હોશમાં આવતા જ કેમિકલના હેવી ઇન્જેક્શન આપીને બેહોશ કરી દેવામાં આવે, તો તેના લીવર, કિડની અને મગજની શું હાલત થાય? ચિત્તાઓ ઓછી તણાવ ક્ષમતા ધરાવતા પ્રાણીઓ છે.” છેલ્લા દસ વર્ષના વૈજ્ઞાનિક રિસર્ચ સ્ટડીઝ સ્પષ્ટ કહે છે કે વારંવારના ટ્રેન્ક્વીલાઈઝેશનથી ચિત્તાઓમાં શ્વાસની ગંભીર તકલીફ, હાઈ બ્લડ પ્રેશર અને શરીરનું તાપમાન જીવલેણ હદે વધી જવાનું જોખમ રહે છે.
ભારતના ‘ચીતા મેન’ ની વન વિભાગને લપડાક
૧૯૭૨ ના વન્યજીવ સંરક્ષણ કાયદાના મુખ્ય ઘડવૈયા અને ભારતના “ચીતા મેન” તરીકે જાણીતા એમ. કે. રંજીતસિંહે પણ સરકારી તંત્રની આ કાર્યપદ્ધતિ પર સણસણતા સવાલો ઉઠાવ્યા છે. રંજીતસિંહે જણાવ્યું કે, વન વિભાગે જનતાને જવાબ આપવો જોઈએ કે કયા પ્રાણીને કયા કારણોસર કેટલી વાર બેહોશ કરાયું? આંતરરાષ્ટ્રીય પરિવહન વખતે તણાવ ઘટાડવા પૂરતું આ ઠીક હતું, પણ માત્ર પાર્કની બહાર ચાલ્યા જવાના કારણે વારંવાર કેમિકલ ઠોકવું એ જંગલીયત છે. સરકારે ચિત્તાઓનો વિસ્તાર વધારવા અને તેમના માટે પૂરતો નૈસર્ગિક શિકાર પૂરો પાડવા પર કામ કરવું જોઈએ, ન કે તેમને નશાની હાલતમાં રાખવા પર.
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની થૂ-થૂ અને પ્રતિબંધની માંગ
ભારત સરકારે ૨૦૨૬ સુધીમાં નામિબિયા, દક્ષિણ આફ્રિકા અને બોત્સ્વાનાથી લાવીને કુલ ૫૭ ચિત્તાઓ મધ્ય પ્રદેશના કુનો અને ગુજરાતની ગાંધી સાગર વાઇલ્ડલાઇફ સેન્ચુરીમાં ગોંધી રાખ્યા છે. આ આંધળા પ્રોજેક્ટના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વન્યજીવ પ્રેમીઓમાં ભારે આક્રોશ છે. વિદેશી વન્યજીવ પ્રેમી ફ્રાંસ્વા હોવેલે સોશિયલ મીડિયા પર ખુલ્લો પ્રહાર કરતા લખ્યું કે, “ભારતનો આ પ્રોજેક્ટ શરૂઆતથી જ માત્ર એક સસ્તા રાજકીય દેખાડા (PR Stunt) સિવાય કંઈ નથી. આ લોકોને વન્યજીવોની ભલાઈની કોઈ પરવા નથી, માત્ર ભ્રષ્ટાચાર અને પૈસા કમાવવામાં જ રસ છે.” વૈશ્વિક પ્લેટફોર્મ Change.org પર પણ ભારત સરકારની ક્રૂરતા વિરુદ્ધ હજારો અરજીઓ થઈ છે, જેમાં ભારતને વધુ ચિત્તાઓ આપવાનું તાત્કાલિક બંધ કરવાની માંગ કરાઈ છે. નેશનલ પાર્ક કે પાંજરાની આ લડાઈમાં આખરે જીવ તો અબોલ વન્યજીવોનો જ જઈ રહ્યો છે.
આ પણ વાંચો:







