
Telangana Mujahid Alam Khan Arrested: તેલંગાણાના રાજકારણ અને વહીવટી તંત્રમાં સત્તાધારી પક્ષના નેતાઓ કઈ હદ સુધી બેફામ બન્યા છે તેનો જીવતોજાગતો પુરાવો હૈદરાબાદમાં સામે આવ્યો છે. તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના ૮૪ વર્ષીય પિતા મહેબૂબ આલમ ખાનની વક્ફ બોર્ડના વરિષ્ઠ વકીલ ખાજા મોઇઝુદ્દીનની ઘાતકી હત્યાના આરોપમાં હૈદરાબાદ પોલીસે શુક્રવારે ધરપકડ કરી લીધી છે. ૨૩ મે ૨૦૨૬ના રોજ વહેલી સવારે બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સત્તા પક્ષના ટોચના હોદ્દેદાર જ જ્યારે લોહીની હોળી રમવાના કાવતરામાં મુખ્ય સૂત્રધાર તરીકે બહાર આવે, ત્યારે સામાન્ય જનતાની સુરક્ષા રામભરોસે જ ગણાય. આ હાઈપ્રોફાઈલ ધરપકડ બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે ડેમેજ કંટ્રોલ કરવા માટે મુજાહિદ આલમ ખાનને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.
અકસ્માતનો ખેલ અને હચમચાવનારો ખુલાસો
વક્ફ બોર્ડના વકીલ ખાજા મોઇઝુદ્દીનની હત્યાને સામાન્ય અકસ્માતમાં ખપાવી દેવા માટે સત્તાધારી નેતાઓએ માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો. ૨૩ મેની વહેલી સવારે મોઇઝુદ્દીન હૈદરાબાદના મસાબ ટેન્ક વિસ્તારમાં રોજની જેમ સ્વિમિંગ કરવા માટે પોતાની કારમાંથી ઉતર્યા હતા. બરાબર એ જ સમયે કાવતરાના ભાગરૂપે ટાર્ગેટ કરીને આવેલી એક લીલા રંગની મહિન્દ્રા સ્કોર્પિયો (Mahindra Scorpio) એ મોઇઝુદ્દીનને જોરદાર ટક્કર મારી દીધી હતી. ક્રૂરતાની હદ તો એ હતી કે કાર વકીલને આશરે ૨૦૦ મીટર સુધી રસ્તા પર ઘસડીને લઈ ગઈ હતી. ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં તેમને નજીકની મહાવીર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં આ કેસને હિટ-એન્ડ-રન (Hit-and-Run) બતાવવાનો પ્રયાસ થયો હતો અને નામપલ્લી પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાયો હતો, પરંતુ સત્ય લાંબો સમય છૂપું ના રહ્યું.
હૈદરાબાદના પોલીસ કમિશનર વી.સી. સજ્જનારે એક અઠવાડિયા સુધી ચાલેલી અત્યંત ગુપ્ત અને વૈજ્ઞાનિક (Scientific) તપાસના સનસનાટીપૂર્ણ પરિણામો જાહેર કર્યા છે. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, આ કોઈ અચાનક બનેલી ઘટના નહોતી પરંતુ કોંગ્રેસ નેતા મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાએ વક્ફ બોર્ડના વકીલને રસ્તામાંથી હટાવવા માટે જાન્યુઆરી મહિનાથી એટલે કે છેલ્લા ચાર મહિનાથી ભયાનક કાવતરું ઘડ્યું હતું. આ ગુનાહિત કાવતરામાં મુજાહિદ આલમ ખાન મુખ્ય આરોપી છે જેણે સોપારી આપીને વકીલની રેકી કરાવી હતી. જ્યારે તેમના ૮૪ વર્ષના પિતા મહેબૂબ આલમ ખાન પર હત્યા બાદ ભાડૂતી હત્યારાઓને સરકારી તંત્ર અને ધરપકડની પકડમાંથી બચાવવા માટે આશ્રય આપવાનો ગંભીર આરોપ છે. પિતા-પુત્ર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ધારા ૧૦૩(૧) (હત્યા) અને ધારા ૬૧(૨)(a) (ગુનાહિત કાવતરું) હેઠળ ગુનો નોંધી જેલ ભેગા કરાયા છે.
રૂપિયા ૧૫ લાખની સોપારી
કોર્પોરેટ સ્ટાઈલથી ઘડાયેલી આ હત્યાના ઓપરેશન માટે કોંગ્રેસ નેતા અને તેમના પિતાએ ૧૫ લાખ રૂપિયાની મોટી સોપારી નક્કી કરી હતી. પોલીસ કમિશનર સજ્જનારે પત્રકારો સમક્ષ ખુલાસો કર્યો કે તપાસ દરમિયાન પોલીસે ૧૦ લાખ રૂપિયા રોકડા, ગુનાહિત કાવતરામાં વપરાયેલા કિંમતી મોબાઈલ ફોન અને હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી મહિન્દ્રા સ્કોર્પિયો કાર જપ્ત કરી લીધી છે. આ કેસમાં કાવતરાખોર નેતાઓ સિવાય હત્યામાં મદદ કરનારા અન્ય પાંચ રીઢા ગુનેગારોની પણ ધરપકડ કરાઈ છે. ૧૫ લાખની સોપારીના આ નેટવર્કને હસન અલી ઉર્ફે ચાઉસ, મુનીર અને કિશન ઉર્ફે પપ્પુ નામના વચેટિયાઓ દ્વારા ઓપરેટ કરવામાં આવ્યું હતું. વચેટિયા કિશને ત્યારબાદ વિનય નામના શખ્સને ગેંગમાં સામેલ કર્યો અને વિનયે વકીલ પર ગાડી ચડાવી દેવા માટે અભિજીત ઉર્ફે નાની, વિક્રમ ઉર્ફે ચિન્ટુ અને મણિદીપ ઉર્ફે પોગો નાની જેવા શાર્પ શૂટરો અને ડ્રાઈવરોની મદદ લીધી હતી.
મેડિકલ કોલેજ અને કરોડોની જમીનનો વિવાદ
સૂત્રોના જણાવ્યા અનુસાર, તેલંગાણા કોંગ્રેસના નેતા અને વક્ફ બોર્ડના વકીલ મોઇઝુદ્દીન વચ્ચે દાયકાઓ જૂનો પ્રોપર્ટી અને મોટો ફાયનાન્સિયલ વિવાદ ચાલી રહ્યો હતો. વકીલ મોઇઝુદ્દીન વક્ફ બોર્ડની કિંમતી જમીનો પર થતા ગેરકાયદે કબ્જાઓ સામે મજબૂત કાનૂની લડત લડી રહ્યા હતા. હૈદરાબાદના મલાકપેટ વિસ્તારમાં આલમ પરિવારની પ્રસ્તાવિત મેડિકલ કોલેજની જમીન અને હૈદરાબાદના જ હાર્ટ સમાન ગણાતા લખડી-કા-પુલ વિસ્તારમાં આવેલા કરોડો રૂપિયાના કોમર્શિયલ કોમ્પ્લેક્સની જમીન પર વક્ફ બોર્ડના હક્ક માટે મોઇઝુદ્દીન અડિંગો જમાવીને બેઠા હતા. આ કરોડોની જમીનનો વિવાદ જ આલમ ખાન પરિવાર માટે વકીલની હત્યા કરવાનું તાત્કાલિક કારણ બન્યો હતો. પોતાના આર્થિક સામ્રાજ્યને બચાવવા માટે સત્તાના જોરે કાયદાના રક્ષકનો જ ભોગ લઈ લેવાયો.
ધરપકડ કરાયેલા મહેબૂબ આલમ ખાન અને તેમનો પુત્ર મુજાહિદ આલમ ખાન હૈદરાબાદ રિયાસતના અત્યંત પ્રભાવશાળી અને પ્રતિષ્ઠિત નવાબી ખાનદાન સાથે સંબંધ ધરાવે છે. આ પરિવાર જૂના હૈદરાબાદના સૌથી અમીર પરિવારોમાં મોખરે છે અને શહેરમાં તેમની અબજો રૂપિયાની કિંમતી જમીનો આવેલી છે. આ પરિવાર પ્રખ્યાત ‘હૈદરાબાદ ડેક્કન સિગારેટ ફેક્ટરી’ ના માલિક છે, જે બજારમાં જાણીતી ‘ગોલકોન્ડા’ બ્રાન્ડની સિગારેટ વેચે છે અને વૈશ્વિક જાયન્ટ ITC કંપની માટે પણ કરાર આધારિત સિગારેટનું મોટા પાયે મેન્યુફેક્ચરિંગ કરે છે. આ સિવાય, આરોપી મુજાહિદ આલમ ખાન ‘ગોલકોન્ડા એજ્યુકેશનલ એકેડેમી’ ના ચેરમેન પણ છે, જે હૈદરાબાદમાં એન્જિનિયરિંગ, ફાર્મસી અને નર્સિંગ કોલેજોની આખી શ્રૃંખલા ચલાવે છે. આટલી મોટી શૈક્ષણિક અને વ્યાપારી સત્તા ધરાવતો પરિવાર આટલો ક્રૂર હોઈ શકે તે જોઈને હૈદરાબાદના નાગરિકો સ્તબ્ધ છે.
ઓવૈસી પરિવાર સાથે કનેક્શન
આ હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રીના તાર માત્ર સત્તાધારી કોંગ્રેસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેના કનેક્શન હૈદરાબાદના ફાયરબ્રાન્ડ સાંસદ અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના પરિવાર સાથે પણ જોડાયેલા છે. અસદુદ્દીન ઓવૈસીની મોટી પુત્રીના લગ્ન ધરપકડ કરાયેલા કોંગ્રેસ નેતા મુજાહિદ આલમ ખાનના સગા ભાઈ સાથે થયા છે. એટલે કે ઓવૈસી પરિવાર અને આલમ ખાન પરિવાર વચ્ચે અત્યંત નજીકના પારિવારિક સંબંધો છે. રસપ્રદ વાત એ છે કે આ બંને અતિ પ્રભાવશાળી પરિવારો વચ્ચે પણ છેલ્લા બે દાયકાથી જમીનની માલિકીને લઈને આંતરિક વિવાદો ચાલી રહ્યા છે. રાજકીય વગ, અઢળક સંપત્તિ અને નવાબી ખાનદાનના ઓથા હેઠળ કાયદાને ખિસ્સામાં લઈને ફરતા આવા માફિયા તત્વો સામે તેલંગાણાનું પોલીસ તંત્ર અને સરકાર કોર્ટમાં કડક સજા અપાવી શકશે કે પછી સત્તાના દબાણમાં આ કેસ પણ રફાદફા થઈ જશે, તે જોવું રહ્યું.
આ પણ વાંચો:







