
Dudhsagar Dairy SNF Price Scam: ગુજરાતના દૂધ ગ્રાહકો પાસેથી લીટરે ૩ રૂપિયાથી લઈને ૮ રૂપિયા સુધીનો તોતિંગ ભાવવધારો ઝીંકી દેનારી સહકારી ડેરીઓ પાછળનો અસલી ખેલ હવે ખુલ્લો પડ્યો છે. ગ્રાહકોના ખિસ્સા હળવા કરીને એકઠો કરાયેલો કરોડો રૂપિયાનો નફો દૂધ પેદા કરનારા ગરીબ પશુપાલકો સુધી પહોંચતો જ નથી. રાજ્યની ૧૮ સહકારી ડેરીઓમાં સૌથી મોટી ગણાતી મહેસાણાની દૂધસાગર ડેરી (Mehsana Dudhsagar Dairy) ના શાસકો પણ આ શાસન વ્યવસ્થામાં પશુપાલકોનું લોહી ચૂસી રહ્યા છે. ડેરીનું વર્ષ ૨૦૨૫-૨૬ નું ટર્નઓવર ૯,૦૦૨ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હોવાના સરકારી દાવા કરાય છે, પણ ગ્રાઉન્ડ ઝીરો પર ૪.૭૭ લાખ પશુપાલકો આજે પાયમાલ થઈ રહ્યા છે.
શાસકો બદલાયા પણ પશુપાલકોની કિસ્મત ન બદલાઈ
દૂધસાગર ડેરીમાં વર્ષો પહેલા પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે જે આંદોલન થયું હતું, તેના પ્રણેતા જયંતીભાઈ ચૌધરી (સોલૈયા, માણસા) એ ડેરીની વર્તમાન શાસન પ્રણાલીની પોલ ખોલી દીધી છે. વિપુલ ચૌધરીના શાસન સામે લડીને પશુપાલકોના હિત માટે અશોક ચૌધરીને સત્તા પર બેસાડવામાં આવ્યા હતા. પશુપાલકોને આશા હતી કે નવું શાસન સોનાનો સૂરજ લાવશે, પરંતુ અશોક ચૌધરીના છેલ્લા બે વર્ષના શાસનમાં કિલો ફેટ દીઠ માત્ર ૧૦ રૂપિયાનો નજીવો વધારો અપાયો છે. એટલું જ નહીં, ચેરમેન પોતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) માં ઊંચા હોદ્દા પર હોવા છતાં પોતાની જ ડેરીના ખેડૂતોને આર્થિક રીતે કંગાળ બનાવી રહ્યા છે.
SNF ખરીદીનું નવું તિકડમ
પહેલી જૂન ૨૦૨૬ થી ડેરી પ્રશાસને દૂધ ખરીદીમાં ‘એસ.એન.એફ.’ (SNF – Solid Non Fat) એટલે કે દૂધમાં ચરબી સિવાયના તત્વોના આધારે નવો ભાવ કોઠો અમલમાં મૂક્યો છે. આ નવો પ્રયોગ પશુપાલકો માટે આશીર્વાદ નહીં પણ શ્રાપ સાબિત થયો છે. તંત્રએ નવો ભાવ ૮૫૫ રૂપિયા (૬ ફેટ અને ૯.૦ SNF માટે) અને સંતુલિત ભાવ ૮૯૫ રૂપિયા નક્કી કર્યો છે. ગાયના દૂધમાં સંતુલિત ભાવ પહેલા ૩૭૫ રૂપિયા હતો તે વધારીને માત્ર ૩૮૨ રૂપિયા કરાયો, એટલે કે માત્ર ૭ રૂપિયાનો વધારો! વહીવટી બાબુઓએ ભેંસના દૂધને પ્રોત્સાહન આપવાના બહાને ગાય અને ભેંસના દૂધ વચ્ચે ૨૫ રૂપિયાનો જંગી તફાવત ઊભો કરી દીધો છે, જેનાથી ગાયો રાખતા ગરીબ માલધારીઓ આર્થિક રીતે ભાંગી પડ્યા છે.
નવા કોષ્ટકમાં તંત્રએ એવી લૂંટ ચલાવી છે કે જો ગાયના દૂધમાં SNF ૮.૫ થી ઘટીને ૮.૪ થાય, તો લીટરે ૭૪ પૈસા કાપી લેવાય છે. જો ૮.૩ થાય તો ૧ રૂપિયો અને ૪૮ પૈસા અને ૮.૨ થાય તો ૨ રૂપિયા અને ૨૨ પૈસાનો સીધો કાપ મુકાય છે. તેની સામે જો પશુપાલક મહેનત કરીને ઊંચો એસ.એન.એફ. (૮.૬ થી ૮.૯) લાવે, તો તેને માત્ર ૨૫ પૈસા જ પ્લસ આપવામાં આવે છે! વળી, જો ગાયનું દૂધ ૯.૦ SNF થી વધુ ગુણવત્તાવાળું (૯.૩ કે ૯.૪) હોય, તો પણ વધારાના પૈસા ચૂકવવામાં આવતા નથી, ફક્ત ૯.૦ ના જ ભાવ મળે છે. આને જનતા સાથે લોલીપોપ અને ‘કોણ બનેગા કરોડપતિ’ જેવો છેતરામણો ખેલ કહેવાય.
ગાયનું દૂધ ૮.૨ SNF થી ઓછું આવે તો સીધું રિજેક્ટ
આ કાળમુખા વહીવટની સૌથી ક્રૂર વાસ્તવિકતા એ છે કે જો કોઈ પશુપાલકની ગાયનું દૂધ ૮.૨ SNF થી ઓછું આવે અથવા ભેંસનું દૂધ ૮.૦ થી ઓછું આવે, તો કમ્પ્યુટર સોફ્ટવેર તેની એન્ટ્રી જ સ્વીકારતું નથી! દૂધ મંડળીઓ આ દૂધ સીધું ગટર કે ઘેર પાછું લઈ જવા કહી દે છે. ગામડાઓમાં અસંખ્ય વિધવા અને નિરાધાર બહેનો છે જેમનું આખું જીવન અને ઘરનું ગુજરાન બે ગાયોના દૂધ પર ચાલે છે. કુદરતી રીતે કે પશુની શારીરિક ખામીને કારણે ક્યારેક SNF નીચો આવે, તો પશુપાલકો તબેલા પર લાઈવ દોહીને ચેક કરાવવા તૈયાર છે, પણ એસી ચેમ્બરમાં બેઠેલા ભ્રષ્ટ અધિકારીઓ દૂધ લેવાની જ ના પાડી દે છે.
પશુદાણ અને ઘાસચારાના ભાવ આસમાને
ડેરીએ દૂધના ભાવ વધારવાના નામે જે લોલીપોપ આપી, તેની સામે ‘સાગરદાણ’ (પશુદાણ) ના ભાવમાં સીધો ૨૫૦ રૂપિયાનો ભડકો કરી દીધો છે. જે હાઈપ્રો દાણની ગુણવત્તાવાળી ગુણ (૭૦ કિલો) પહેલા ૧,૮૫૦ રૂપિયામાં મળતી હતી, તેના સીધા ૨,૧૦૦ રૂપિયા કરી દેવાયા છે. ૧ કિલો દાણનો ભાવ ૨૬.૪૨ રૂપિયાથી વધીને ૩૦ રૂપિયા થઈ ગયો છે. પશુપાલકે તંત્રને લીટરે ૩.૫૮ રૂપિયા વધારે ચૂકવવા પડે છે, જ્યારે સામે ડેરી માત્ર ૧.૫૦ રૂપિયા વધારે આપે છે! પશુપાલકોને લીટરે ૨.૦૮ રૂપિયાની સીધી ખોટ જઈ રહી છે. સુકો ઘાસચારો (જુવારના પૂળા) ૧૫ રૂપિયાથી વધીને ૨૮ રૂપિયા થઈ ગયા છે અને ચણાનું ખાંડિયું ૨૦ કિલોના ૧૮૦ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ મોંઘવારીમાં ૧૫ ગાયો રાખનાર ખેડૂત મજૂરી કરીને પણ દેવાદાર બની રહ્યો છે.
ગુજરાતના ખેડૂતોની કબર ખોદીને પરપ્રાંતના દૂધ માફિયાઓને કરોડોની લહાણી
બીજો મોટો સ્કેમ એ છે કે દૂધસાગર ડેરી ઉત્તર ગુજરાત અને મહેસાણાના પશુપાલકોનું દૂધ લેવામાં આકરા નિયમો થોપે છે, પરંતુ રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા બહારના રાજ્યોમાંથી દૈનિક ૧૦ લાખ કિલો (૧૦ લાખ લીટર) દૂધ ઊંચા ભાવે ખરીદી રહી છે. આંદોલન સમયે વચન અપાયું હતું કે પરપ્રાંતમાંથી દૂધ ખરીદી બંધ કરીને સ્થાનિક ખેડૂતોને પ્રોત્સાહન અપાશે, પણ શાસકો વચન ફરી ગયા છે. બહારના રાજ્યોના કોન્ટ્રાક્ટરો બધું મિક્સ દૂધ ધાબડી જાય છે અને વહીવટી તંત્ર અંધારું રાખીને તેમને ચૂકવણું કરે છે. પરિણામે પશુપાલન વ્યવસાય સાવ ખોટનો ધંધો બનતા ગામડાઓમાં તબેલાઓ ખાલી થઈ રહ્યા છે અને યુવાનો આ વ્યવસાય છોડી રહ્યા છે. આ સ્માર્ટ લૂંટ સામે પશુપાલકોમાં હવે પ્રચંડ આક્રોશ છે.
આ પણ વાંચો:








