
Manipur Kuki SIR Protest: છેલ્લા ત્રણ વર્ષથી સળગી રહેલા મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં સદંતર નિષ્ફળ ગયેલી સરકાર હવે પીડિતોના લોકશાહી અધિકારો છીનવી લેવા માટે નવો પેતરો અજમાવી રહી છે. રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા સામે મણિપુરના અગ્રણી કુકી સંગઠને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કુકી ઇનપી મણિપુરે ગુરુવારે (૪ જૂન, ૨૦૨૬) એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે વર્તમાન ભયાનક પરિસ્થિતિમાં આ પ્રકારની પ્રક્રિયા માત્ર વહીવટી ક્રૂરતા છે. રાજ્યમાં ફાટી નીકળેલી વંશીય હિંસાને કારણે પોતાના ઘરબાર છોડીને વનવાસ ભોગવી રહેલા હજારો લોકોની સ્થિતિ પ્રત્યે શાસકો તદ્દન સંવેદનહીન બની ગયા છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.
ઘરબાર વિનાના ૫૯,૦૦૦ વિસ્થાપિતો બહાર: ચૂંટણી યાદીની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો
અહેવાલ મુજબ, મણિપુરમાં અત્યારે બ્લોક લેવલના સરકારી બાબુઓ ઘરે-ઘરે જઈને મતદારોની માહિતી એકઠી કરી રહ્યા છે. શિડ્યુલ પ્રમાણે ૫ જુલાઈના રોજ મતદાર યાદીની ડ્રાફ્ટ કોપી જાહેર થશે અને વાંધા-અરજીઓ પતાવ્યા બાદ ૬ સપ્ટેમ્બરના રોજ આખરી યાદી જાહેર કરવામાં આવશે. પરંતુ સવાલ એ છે કે જે લોકોના ઘર જ સળગી ગયા છે તેઓ કયા સરનામે સરકારી બાબુઓની રાહ જુએ? કુકી સંગઠને આક્ષેપ કર્યો છે કે આશરે ૫૯,૦૦૦ જેટલા કુકી-ઝો સમુદાયના વિસ્થાપિત લોકો હજુ પણ રાહત શિબિરોમાં અથવા અન્ય રાજ્યોમાં રઝળી રહ્યા છે. તેઓ સત્તાવાર રીતે પોતાના વતન પરત ફરી શકતા નથી, છતાં તેમની ભાગીદારી વિના આ પ્રક્રિયા આગળ ધપાવવી એ લોકશાહીના સિદ્ધાંતોનું ખૂન કરવા બરાબર છે.
કુકી ઇનપી મણિપુરે દેશના વહીવટી તંત્રને આડે હાથ લેતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, વસ્તીના આટલા મોટા અને નબળા વર્ગને બાકાત રાખીને ચૂંટણી અથવા વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરવી એ લોકશાહી પ્રતિનિધિત્વની ક્રૂર મજાક છે. સંગઠનને આશા હતી કે ચૂંટણી પંચ અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર સૌથી પહેલા આ વિસ્થાપિત નાગરિકો માટે કોઈ વિશેષ, સુલભ અને ઓનલાઈન અથવા શિબિર-આધારિત સિસ્ટમ બનાવશે જેથી કોઈ પણ વ્યક્તિ મતાધિકારથી વંચિત ન રહે. પરંતુ આવી કોઈ પણ સંતોષકારક જોગવાઈ કર્યા વિના સરકારી તંત્રએ ઉતાવળે કામગીરી શરૂ કરી દીધી છે. પીડિતો માટે સુવિધા ઊભી કર્યા વિના SIR ની પ્રક્રિયા ચાલુ રાખવી એ માત્ર અન્યાયી નથી, પણ આ આખી સરકારી કવાયતની કાયદેસરતા અને વિશ્વસનીયતા પર કાયમી કાળો ડાઘ લગાવી દેશે.
ત્રણ વર્ષથી સળગતું મણિપુર
આ અંધાધૂંધી પાછળ કેન્દ્ર અને રાજ્ય સરકારની ઘોર નિષ્ફળતા જવાબદાર છે. મણિપુરમાં મે ૨૦૨૩ થી શરૂ થયેલી ભયાનક વંશીય હિંસામાં અત્યાર સુધીમાં સત્તાવાર રીતે ૨૬૦ થી વધુ માસૂમ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે બિનસત્તાવાર આંકડો ઘણો મોટો છે. હિંસાના કારણે આશરે ૬૦,૦૦૦ થી વધુ લોકો પોતાના જ રાજ્યમાં શરણાર્થી બની ગયા છે. આ લોહિયાળ સંઘર્ષ મુખ્યત્વે બહુમતી ધરાવતા મેઇતેઇ અને પહાડી વિસ્તારના કુકી સમુદાય વચ્ચે શરૂ થયો હતો, જેમાં હવે અન્ય તમામ સશસ્ત્ર જૂથો પણ હોમાઈ ચૂક્યા છે. શાસકોના નકામા શાસનનું પરિણામ એ આવ્યું છે કે મેઇતેઇ સમુદાય માત્ર ઇમ્ફાલ ખીણના મેદાની વિસ્તારો પૂરતો સીમિત થઈ ગયો છે, જ્યારે કુકી સમુદાય પહાડોમાં કેદ થઈ ગયો છે. બંને વચ્ચે નફરતની એવી સરહદો ખડકાઈ ગઈ છે જેને ઓળંગવી એટલે મોતને આમંત્રણ આપવું.
સત્તા બચાવવા પીડિતોનો અવાજ દબાવવાનો ખેલ
મણિપુરની જનતા આજે પણ ભય અને મોતના ઓછાયા હેઠળ જીવી રહી છે. આવી કટોકટીની સ્થિતિમાં વહીવટી તંત્રએ પીડિતોના પુનર્વસન અને સુરક્ષા પર ધ્યાન આપવાના બદલે, કાગળ પર બધું બરાબર છે તેવું બતાવવા માટે મતદાર યાદી સુધારણાનું નવું નાટક શરૂ કરી દીધું છે. સંગઠને ચેતવણી આપી છે કે જ્યાં સુધી દરેક વિસ્થાપિત વ્યક્તિનું યોગ્ય રીતે રજીસ્ટ્રેશન થાય તેવી પારદર્શક વ્યવસ્થા સરકાર નહીં કરે, ત્યાં સુધી આ પ્રક્રિયાનો જમીની સ્તરે બહિષ્કાર અને વિરોધ ચાલુ રહેશે. સત્તામાં બેઠેલા શાસકો માત્ર ચૂંટણી જીતવાના ગણિત ગોઠવવામાં વ્યસ્ત છે, પરંતુ દેશની જનતા હવે આ વહીવટી અન્યાય અને સરકારી દમનની પોલ દુનિયા સામે ખોલીને જ જંપશે.
આ પણ વાંચો:








