
Great Nicobar Project: સરકાર જ્યારે પણ ‘વિકાસ’ અને ‘રાષ્ટ્રીય સુરક્ષા’ જેવા મોટા-મોટા શબ્દોનો આશરો લે છે, ત્યારે સમજવું કે પડદા પાછળ કોઈ મોટા ઉદ્યોગપતિની તિજોરી ભરવાનો ખેલ ચાલી રહ્યો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી ‘ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’ સામે ગંભીર સવાલો ઉઠાવીને શાસકોની દમનકારી અને પર્યાવરણ વિરોધી નીતિઓનો પર્દાફાશ કર્યો છે. યૂટ્યૂબ પર શેર કરેલા એક સંવેદનશીલ વિડીયોમાં તેમણે અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહની મુલાકાતનો અનુભવ શેર કરતા કહ્યું કે, દિલ્હીમાં બેઠેલા સત્તાધીશો દેશની આ અમૂલ્ય પ્રાકૃતિક સંપત્તિ અને પર્યાવરણને કાયમ માટે નષ્ટ કરવા પર ઉતરી આવ્યા છે. આ આખો પ્રોજેક્ટ સામાન્ય જનતા કે દેશના હિત માટે નથી, પરંતુ કોર્પોરેટ મિત્રોને સરકારી જમીનો અને ટાપુઓ લહાણીમાં વહેંચી દેવાનું વધુ એક મોટું સરકારી કાવતરું છે.
દિલ્હી કરતાં ચાર ગણો મોટો વિનાશ
રાહુલ ગાંધીએ આ પ્રોજેક્ટના ભયાનક કદ વિશે ચેતવણી આપતા જણાવ્યું કે, આ મેગા પ્રોજેક્ટ ૬૧ ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે, જે દેશની રાજધાની નવી દિલ્હીના કદ કરતા આશરે ચાર ગણો મોટો છે. આટલું મોટું નિર્માણ કાર્ય ભારતના સૌથી સંવેદનશીલ અને હરિયાળા પર્યાવરણીય વિસ્તારમાં થોપવામાં આવી રહ્યું છે. સૌથી શરમજનક બાબત એ છે કે, સદીઓથી ત્યાં વસતા સ્થાનિક લોકો અને મૂળ આદિવાસી સમુદાયોની જમીનો વન અધિકાર અધિનિયમ (FRA) ની જોગવાઈઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને જબરદસ્તીથી પડાવી લેવામાં આવી રહી છે. બંધારણીય કાયદા મુજબ આદિવાસીઓ સાથે ચર્ચા કરવી ફરજિયાત હોવા છતાં, હઠધર્મી સરકારે બહેરી બનીને કોઈ પણ સમુદાય સાથે પૂરતી ચર્ચા સુદ્ધાં કરી નથી અને વિસ્થાપિત થનારા ગરીબ પરિવારોને યોગ્ય વળતર આપ્યા વગર રઝળતા મૂકી દીધા છે.
I visited the southernmost tip of India.
I stood at Indira Point. I walked under trees that have stood for centuries. I dove into coral reefs among the most vibrant on earth.
And I sat with the people who live there. Tribal communities, whose land is being taken away by… pic.twitter.com/RLNtT6L0U4
— Rahul Gandhi (@RahulGandhi) June 5, 2026
આ પ્રોજેક્ટ પર્યાવરણની દ્રષ્ટિએ કેટલો વિનાશક છે તેનો ચિતાર આપતા વિપક્ષી નેતાએ જણાવ્યું કે, સત્તાના નશામાં ચૂર શાસકો આ વિસ્તારમાં અંદાજે ૧.૫ કરોડ (૧૫ મિલિયન) સદીઓ જૂના વૃક્ષોને નિર્દયતાથી કાપી નાખવાની તૈયારી કરી રહ્યા છે. એટલું જ નહીં, દુનિયાની સૌથી સમૃદ્ધ દરિયાઈ જૈવવિવિધતા ધરાવતી નિકોબારની પરવાળાની ખડકો (Coral Reefs) ને આ પ્રોજેક્ટ માટે કાગળ પરથી ગાયબ કરી દેવામાં આવી છે. સરકારી નકશાઓમાંથી આ કોરલ રીફને સત્તાવાર રીતે હટાવી દેવાઈ છે જેથી કંપનીઓ પર કોઈ કાનૂની આડખીલી ન આવે. રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો કે, આ બહુમૂલ્ય કોરલ રીફને નષ્ટ કરવી એ ભારતમાં સેંકડો વાઘને ગોળીએ દેવા બરાબર છે. આ દેશની જૈવિક સંપત્તિની સરેઆમ હત્યા છે, જે કાર્બન શોષણની કુદરતી પ્રક્રિયાને ઠપ્પ કરીને પૃથ્વીને મુશ્કેલીમાં મૂકશે.
સુરક્ષાના નામે જૂઠાણું
કેન્દ્ર સરકાર આ મેગા પ્રોજેક્ટ પાછળ સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષાની દલીલો આપીને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. રાહુલ ગાંધીએ આ સરકારી દાવાની હવા કાઢતા સણસણતો સવાલ પૂછ્યો કે, જો ખરેખર દેશની સુરક્ષા માટે સૈન્ય પાયાના માળખાનું વિસ્તરણ કરવું જ હોય, તો સરકાર ત્યાં પહેલેથી હાજર નૌકાદળના મથક ‘INS Baaz’ (આઈએનએસ બાઝ) નો વિકાસ કેમ નથી કરતી? કોંગ્રેસ પક્ષ દેશની સુરક્ષા માટે સેનાના આ મથકના વિસ્તરણનું પૂરેપૂરું સમર્થન કરશે. પરંતુ સુરક્ષાના નામે સૈનિકો અને આદિવાસીઓને જમીન પરથી હાંકી કાઢવા અને દેશના સંરક્ષણ આયોજનોને ખાનગી વેપારીઓના નફા સાથે જોડી દેવા તે દેશભક્તિ નથી પણ દેશની જનતા સાથે સરકારી છેતરપિંડી છે.
કેરળ હોવા છતાં નિકોબારમાં બંદર કેમ?
સરકાર આ પ્રોજેક્ટને ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ ગણાવીને વિદેશી બંદરો પર નિર્ભરતા ઘટાડવાની વાતો કરે છે. વિપક્ષી નેતાએ ખુલાસો કર્યો કે, ભારત સરકાર પહેલેથી જ કેરળમાં એક બહુ મોટું આંતરરાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ બંદર વિકસાવી રહી છે, તો પછી નિકોબારના ગીચ જંગલો અને પર્યાવરણને કચડીને આવું બીજું બંદર બનાવવાની અડચણ કેમ ઊભી કરાઈ રહી છે? રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપ કર્યો કે, “અસલિયત એ છે કે આ બધું માત્ર એક મોટા કારોબારી મિત્રને ફાયદો પહોંચાડવા માટે થઈ રહ્યું છે. જંગલો સાફ કરીને, પરવાળા નષ્ટ કરીને અને સૈનિકો-આદિવાસીઓને વિસ્થાપિત કરીને ત્યાં એક પ્રાઈવેટ ઉદ્યોગપતિ માટે આલીશાન લક્ઝરી હોટેલો અને જુગારના અડ્ડા (કેસિનો) બનાવવાનો કાળો ખેલ ખેલાઈ રહ્યો છે.”
પર્યાવરણ આધારિત ટકાઉ પર્યટનનો વિકલ્પ
રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે તેઓ દેશના આર્થિક વિકાસ કે પર્યટન સુવિધાઓના વિરોધી નથી, પરંતુ વિકાસ પ્રકૃતિના ભોગે અને ગરીબોના આંસુ પર ન હોવો જોઈએ. અંદમાન અને નિકોબારના દ્વીપોને પર્યાવરણીય સંતુલન જાળવીને દુનિયાનું સૌથી મોટું અને શ્રેષ્ઠ ‘ટકાઉ પર્યટન કેન્દ્ર’ (Sustainable Tourism Hub) બનાવી શકાય છે, જેનાથી સ્થાનિક રોજગારી પણ વધશે અને પ્રકૃતિનું રક્ષણ પણ થશે. પરંતુ કેન્દ્ર સરકાર જનતાની પરવા કર્યા વગર ૧૪.૨ મિલિયન TEU ક્ષમતાનું કન્ટેનર ટર્મિનલ, ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને ૪૫૦ MVA નો ગેસ-સોલાર પાવર પ્લાન્ટ નાખીને ટાપુઓને કોર્પોરેટ સેક્ટરના હવાલે કરવા મક્કમ છે. લોકશાહીમાં પ્રજાના હકો અને કુદરતની સંપત્તિ પર ત્રાપ મારતી આ અહંકારી સરકારની નીતિઓ સામે પ્રજા હવે ચૂપ બેસશે નહીં.
આ પણ વાંચો:
West Bengal Politics: પશ્ચિમ બંગાળમાં સરકાર પણ ભાજપની અને વિપક્ષ પણ ભાજપનો – thegujaratreport.com







