
West Bengal Politics: સોવિયેત રશિયાના સરમુખત્યાર વ્લાદિમીર લેનિનનું એક પ્રખ્યાત કથન પશ્ચિમ બંગાળની વર્તમાન દયનીય રાજકીય સ્થિતિ પર બિલકુલ સચોટ બેસે છે: “વિપક્ષને નિયંત્રિત કરવાનો સૌથી સારો રસ્તો એ છે કે આપણે પોતે તેનું નેતૃત્વ કરીએ.” પશ્ચિમ બંગાળમાં દિલ્હીના ઈશારે લોકશાહીના જે ધજાગરા ઉડ્યા છે, તે જોઈને આખા દેશની જનતા સ્તબ્ધ છે. ૩ જૂન, ૨૦૨૬ ના રોજ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા (LoP) બનાવી દેવાયા છે. ખરીદાયેલા અને દબાણ હેઠળ આવેલા ૮૦ માંથી ૫૮ ટીએમસી ધારાસભ્યોએ બળવો કરીને તેમને આ પદ સોંપ્યું છે. બીજી તરફ પક્ષના વડા મમતા બેનર્જી સત્તાના આ નગ્ન નાચ સામે સદંતર લાચાર અને દિશાહીન નજર આવી રહ્યા છે. શાસકોએ હવે સરકાર અને વિપક્ષ બંને પર પોતાનો કબ્જો જમાવી લીધો છે.
સૌથી મોટો રાજકીય વિશ્વાસઘાત
ઋતબ્રત બેનર્જીએ મમતા બેનર્જી સાથે જે દગો કર્યો છે, તે શેક્સપિયરના નાટક ‘જુલિયસ સીઝર’ ના એ પ્રખ્યાત પાત્ર બ્રુટસના વિશ્વાસઘાતની યાદ અપાવે છે. માત્ર ૩૫ વર્ષની ઉંમરે સીપીઆઈ(એમ) માંથી રાજ્યસભા સાંસદ બનેલા ઋતબ્રત ક્યારેક ડાબેરીઓનો સૌથી ચમકતો યુવા ચહેરો હતા. પરંતુ સપ્ટેમ્બર ૨૦૧૭ માં પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ અને ભ્રષ્ટાચારના આરોપોસર ડાબેરીઓએ તેમને હાંકી કાઢ્યા હતા. ત્યારબાદ નવેમ્બર ૨૦૧૭ માં એક મહિલાએ તેમના પર જાતીય શોષણનો ગંભીર કેસ દાખલ કર્યો, જેના કારણે બંગાળ પોલીસ તેમની ધરપકડ કરવા દિલ્હી પહોંચી હતી. આવા નૈતિક પતન અને કેસોથી ઘેરાયેલા નેતાને મમતા બેનર્જીએ માનવતા દાખવીને ૨૦૨૦ માં રાજકીય આશ્રય આપ્યો, ૨૦૨૪ માં ફરી રાજ્યસભા મોકલ્યા અને વિધાનસભાની ટિકિટ આપીને સજીવન કર્યા. આજે તે જ નેતાએ દિલ્હીના શાસકોના ખોળામાં બેસીને મમતાના જ વજૂદ પર પ્રહાર કર્યો છે.
એજન્સીઓના જોરે ચાલતો છુપાયેલો હાથ
કોલકાતાના રાજકીય ગલિયારાઓમાં આ અણધાર્યા બળવા પાછળ ભાજપના તે “અદ્રશ્ય હાથ” અને એજન્સીઓના ડરની ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે. જાણીતા શિક્ષણવિદ સરોજેશ મુખર્જી કહે છે કે, ગુના આધારિત વાર્તાની જેમ આ ખેલમાં પણ એ જ જોવાનું છે કે આનો અસલી ફાયદો કોને થઈ રહ્યો છે? આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે આ સરકારી કાવતરા પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, “ભાજપની આ જૂની રમત છે. ED, CBI અને તપાસ એજન્સીઓનો ડર બતાવીને પક્ષો તોડવા તે તેમનો ધંધો બની ગયો છે. તેમણે પહેલા શિવસેના તોડી, એનસીપી તોડી, અરૂણાચલ, ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ તોડી અને હવે બંગાળમાં આ જ થઈ રહ્યું છે.” અમીરો અને શાસકોની બજાર નીતિની જેમ અહીં ધારાસભ્યોની પણ બોલી લગાવાઈ છે.
મહારાષ્ટ્ર કરતાં પણ ભયાનક મોડેલ
વરિષ્ઠ નીતિ વિશ્લેષકોના મતે બંગાળમાં ભાજપે જે ખેલ કર્યો છે તે અભૂતપૂર્વ અને અત્યંત ખતરનાક છે. મહારાષ્ટ્રમાં જ્યારે શિવસેના કે એનસીપી તૂટી ત્યારે તેનો એક હિસ્સો સત્તાધારી સરકારમાં સામેલ થયો હતો. પરંતુ બંગાળમાં સત્તા પર બેઠેલી ભાજપ સરકારે વિપક્ષને કચડી નાખવા માટે, વિપક્ષની અંદર જ બળવો કરાવીને પોતાના પાલતુ નેતાને વિપક્ષના નેતા બનાવી દીધા છે! આનાથી “TMC” બ્રાન્ડના અસલી માલિક એવા મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી બંનેને પૂરી રીતે અપ્રાસંગિક અને નબળા પાડી દેવાયા છે. હવે સદનમાં સરકાર પણ ભાજપની હશે અને વિપક્ષમાં બેઠેલા નેતાઓ પણ ભાજપના ઈશારે જ નાચશે. પ્રજાનો અવાજ ઉઠાવનારું હવે સદનમાં કોઈ બચ્યું નથી.
દિલ્હીની સંસદમાં બહુમતી મેળવવાનો ખેલ
આ આખો ખેલ માત્ર પશ્ચિમ બંગાળ પૂરતો સીમિત નથી, પરંતુ દિલ્હીની ગાદી પર બેઠેલા શાસકોની લોભી નીતિઓનો એક ભાગ છે. ભાજપના જ વરિષ્ઠ નેતાઓએ સ્વીકાર્યું છે કે તેમને બંગાળમાં કોઈ નૈતિક સમર્થનની ચિંતા નથી, તેમનો અસલી ટાર્ગેટ સંસદમાં સાંસદોની સંખ્યા વધારવાનો છે. ટીએમસીના આ બાગી ધારાસભ્યો અને સાંસદો ટૂંક સમયમાં અલગ જૂથ બનાવીને સંસદમાં ભાજપ સરકારના દમનકારી કાયદાઓ, જેમ કે સીમાંકન વિધેયક અને દેશ પર જબરદસ્તીથી થોપાનારા ‘One Nation, One Election’ બિલને પસાર કરાવવા માટે પોતાનો અંગૂઠો દબાવશે. આ માટે જનતાના મતોનો ખુલ્લેઆમ સોદો કરવામાં આવ્યો છે.
બુલડોઝર રાજ અને ગરીબો પર અત્યાચાર
બંગાળમાં નવી બનેલી ભાજપ સરકારે સત્તા પર આવતાની સાથે જ ગરીબો અને મધ્યમ વર્ગ વિરૂદ્ધ આકરા નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. સડક કિનારે નાની દુકાનો ચલાવીને રોજીરોટી કમાતા ગરીબો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે, મોટા પરિવહન કેન્દ્રો પાસે ફૂટપાથ ખાલી કરાવીને ગરીબ ફેરિયાઓના પેટ પર લાત મારવામાં આવી રહી છે, અને ધાર્મિક તેમજ સામાજિક બાબતો પર પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. જો મમતા બેનર્જી વિપક્ષમાં હોત તો પ્રજા વતી રસ્તા પર ઉતરીને આ સરકારી અત્યાચારનો ઈંટનો જવાબ પથ્થરથી આપત. પરંતુ હવે વિપક્ષના નેતા બનેલા રિતબ્રત બેનર્જી સરકારના આ દરેક જનવિરોધી અને ક્રૂર નિર્ણયો સામે મૂકપ્રેક્ષક બનીને માત્ર સહીઓ કરશે.
લોકશાહીના નામે સરમુખત્યારશાહી
લેનિનના સિદ્ધાંતોની મોટી-મોટી વાતો કરનારા પૂર્વ કમ્યુનિસ્ટ નેતા ઋતબ્રત બેનર્જીએ સત્તા અને હોદ્દાની લાલચમાં આવીને બંગાળની જનતા સાથે સૌથી મોટો દગો કર્યો છે. સત્તાધારી પક્ષે સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરીને લોકશાહીનું ગળું ઘોંટી દીધું છે. જ્યારે દેશની જનતા મોંઘવારી, બેરોજગારી અને વહીવટી ભ્રષ્ટાચારથી ત્રાસી ગઈ છે, ત્યારે શાસકો વિપક્ષને પણ ખરીદીને પોતાની ખુરશી અમર કરવાના પેતરા રચી રહ્યા છે. પરંતુ સરકાર અને વિપક્ષ બંને પર કંટ્રોલ મેળવીને બેઠેલા અહંકારી શાસકો એ ભૂલી રહ્યા છે કે જનતા બધું જ જોઈ રહી છે, અને આગામી દિવસોમાં આ સરકારી દમન અને રાજકીય દલાલીનો જડબાતોડ જવાબ બંગાળની જનતા જમીની સ્તરે જ આપશે.
આ પણ વાંચો:







