
Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવા સંગઠન મામલે ગણગણાટ શરૂ થઈ ગયો છે અને કેટલાક અજમાવવામાં આવેલા (પ્રયોગો) નિર્ણયમાં આંતરિક મતભેદો ઉભા થવાની શક્યતાઓ જણાઈ રહી છે.ખાસ કરીને પાટીલના વિરોધી જૂથના નેતાઓને મહત્ત્વના હોદ્દા સોંપીને તેમજ પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઓછો કરવા સંગઠનમાં શક્તિ સંતુલન બદલવાનો પ્રયાસ કરાયો હોવાનું ગણિત માંડવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે જે કેટલું સફળ રહશે તેતો આગામી સમયમાં ખબર પડશે.
કેટલાક એવી ગણતરીમાં પડ્યા હતા કે ભાજપમાં ‘એક વ્યક્તિ, એક હોદ્દો’નો જે નિયમ છે કે તે મુજબ જેઓ પાસે પહેલેથીજ કોઇ જવાબદારી સંભાળે છે તેવા નેતાઓને પ્રદેશ સમિતિમાં સમાવેશ નહિ થાય પણ એવું નથી થયુ અને આવા ઘણાને બીજો હોદ્દો ફાળવી નવી યાદીમાં સમાવિષ્ટ કરાયા છે.નવા પ્રદેશ પ્રમુખ દ્વારા જાહેર થયેલી આ સમિતિમાં પક્ષમાં પૂર્વ પ્રમુખોના પ્રભાવને ઓછો કરાયો હોવાનું કહેવાય છે અને હવે સમીકરણો બદલાઈ ગયા છે.
નવા સંગઠનમાં દક્ષિણ ગુજરાત અને વડોદરા જેવા ભાજપના ગઢની અવગણના થઈ હોવાની લાગણી ઉભી થઇ છે,દક્ષિણ ગુજરાતમાંથી કોઈને મહામંત્રી પદ મળ્યું નથી,કુલ મહામંત્રીઓ માંથી ત્રણ મહામંત્રીઓતો માત્ર સૌરાષ્ટ્રમાંથી છે પરિણામે ઉત્તર અને મધ્ય ગુજરાતના નેતાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
બીજી નોંધનીય બાબત એ જોવા મળી રહી છે કે તત્કાલીન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે પડેલા અને અગાઉ પત્રિકા કાંડ વખતે જેઓના નામો ઉછળ્યા હતા તેવા પાટીલ વિરોધીઓને મહત્ત્વના હોદ્દા ઉપર બિરાજમાન કરાયા છે, જેમાં પૂર્વ મંત્રી અને પાટીલના કટ્ટર વિરોધી મનાતા ગણપત વસાવાને અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક અપાઈ છે.એજ રીતે ઝંખનાબેન પટેલ જેઓની ટિકિટ કાપવામાં આવી હતી તેઓને પ્રદેશ સમિતિમાં ઉપપ્રમુખનો હોદ્દો મળ્યો છે.
સેન્સ પ્રક્રિયામાં કેટલીક વાતો ધ્યાને નહિ લેવાઈ હોવાની પણ ચર્ચાઓ છે, જેમાં સુરેન્દ્રનગરની વાત કરવામાં આવેતો જેઓનો જિલ્લા પ્રમુખ તરીકે જ સ્થાનિક કાર્યકરોનો વિરોધ હતો તેમને પ્રદેશ મહામંત્રી બનાવી દેવાતા સ્થાનિક ભાજપમાં કચવાટ સાથે આ વાત ભારે ચર્ચાસ્પદ બની છે.
તેજ રીતે ખેડાના અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે અને તેનાથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આમાં વડોદરા અને ઉત્તર ગુજરાતના દાવેદારોની અવગણના કરવામાં આવી છે અને નવી પ્રદેશ સમિતિમાં ભૌગોલિક સંતુલન ખોરવાયું હોવાની વાતો ચર્ચાઈ રહી છે.
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









