
Manipur NRC: મણિપુરમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ને અપડેટ કરવાની પ્રક્રિયા માટે 1951ને આધાર વર્ષ બનાવવાના મુદ્દે રાજ્ય સરકાર ફરી એકવાર કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરશે. મણિપુરના ગૃહમંત્રી ગોવિંદાસ કોન્થૌજમે સોમવારે, 7 સપ્ટેમ્બરે વિધાનસભામાં આ માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે NRC જેવી પ્રક્રિયા રાજ્ય સરકાર પોતાની રીતે અમલમાં મૂકી શકે નહીં અને તેના માટે કેન્દ્રની મંજૂરી જરૂરી છે.
1951ના NRCના મૂળ રેકોર્ડ શોધવાની પ્રક્રિયા શરૂ
વિપક્ષના ધારાસભ્ય કે. મેઘચંદ્ર સિંહે મણિપુરમાં NRC અપડેટ કરવા તથા 1951ના NRCના મૂળ ભૌતિક રેકોર્ડ અંગે માહિતી માગી હતી. તેના જવાબમાં ગૃહમંત્રીએ જણાવ્યું કે 1951ના NRC સાથે સંબંધિત રેકોર્ડ શોધવાની કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે 5 ઓગસ્ટ 2022ના રોજ વિધાનસભામાં પસાર કરાયેલા ઠરાવ અનુસાર મણિપુર રાજ્ય વસ્તી આયોગની રચના પણ પહેલેથી થઈ ચૂકી છે.
કોન્થૌજમે કહ્યું કે NRCનો મુદ્દો અત્યંત સંવેદનશીલ છે અને તેને સામાન્ય બાબત તરીકે જોવો યોગ્ય નથી. તેમણે આસામનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે ત્યાં NRCની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં અંતિમ યાદી હજુ જાહેર થઈ શકી નથી અને મામલો અદાલતમાં પડતર છે.
વિધાનસભાના ઠરાવો બાદ કેન્દ્રને ફરી રજૂઆત
ગૃહમંત્રીએ જણાવ્યું કે મણિપુર સરકાર અગાઉ પણ રાજ્યમાં NRC લાગુ કરવાની માગ સાથે કેન્દ્ર સરકારનો સંપર્ક કરી ચૂકી છે. 1 માર્ચ 2024ના રોજ વિધાનસભામાં પસાર થયેલા ઠરાવના આધારે આ મુદ્દો ફરી કેન્દ્ર સમક્ષ મૂકવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે 2 સપ્ટેમ્બર 2026ના રોજ મણિપુર વિધાનસભાએ વધુ એક ઠરાવ પસાર કરીને અગાઉના નિર્ણયોની સર્વસંમતિથી પુષ્ટિ કરી હતી. સરકાર હવે કેન્દ્ર સમક્ષ આ મુદ્દો ખૂબ જ સાવચેતીપૂર્વક રજૂ કરવા માગે છે, જેથી આસામમાં NRC પ્રક્રિયા અંગે ઊભી થયેલી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય.
NRC મુદ્દે મૈતેઈ, નાગા અને કુકી સંગઠનોમાં મતભેદ
મણિપુરમાં NRCને લઈને વિવિધ સમુદાયો અને સંગઠનો વચ્ચે એકમત નથી. મૈતેઈ અને નાગા સંગઠનો વસ્તી ગણતરી શરૂ થાય તે પહેલાં NRC લાગુ કરવાની માગ કરી રહ્યા છે. બીજી તરફ કુકી સંગઠનોએ NRCની માગનો વિરોધ કર્યો છે અને તેને ઉતાવળમાં ઉઠાવવામાં આવેલો તથા અયોગ્ય મુદ્દો ગણાવ્યો છે. કુકી સંગઠનોએ વસ્તી ગણતરીની પ્રક્રિયાનું સમર્થન કર્યું છે.
દરમિયાન, ઇમ્ફાલ ખીણના જિલ્લાઓમાં વસ્તી ગણતરી સામે વિરોધ પ્રદર્શનો થતાં કેન્દ્ર સરકારે ગયા સપ્તાહે રાજ્યમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા મુલતવી રાખી હતી.
મણિપુરમાં 24,475 મ્યાનમાર પ્રવાસીઓની ઓળખ
ગેરકાયદેસર પ્રવાસીઓ અંગે વિપક્ષના ધારાસભ્ય ટી. લોકેશ્વર સિંહના પ્રશ્નના જવાબમાં ગોવિંદાસ કોન્થૌજમે જણાવ્યું કે મણિપુરમાં અત્યાર સુધી 24,475 ગેરકાયદેસર મ્યાનમાર પ્રવાસીઓની ઓળખ થઈ છે. તેમાંથી 14,992 લોકોને પરત મોકલવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું.
આ પ્રવાસીઓ સરહદને અડીને આવેલા કામજોંગ, ટેંગનોપાલ અને ચંદેલ જિલ્લામાં પ્રવેશ્યા હતા. કામજોંગમાં ઓળખાયેલા 6,545 લોકોમાંથી 5,378ને પરત મોકલાયા છે, જ્યારે 1,167 લોકોને સરકારી સામુદાયિક ઇમારતોમાં બનાવાયેલા શિબિરોમાં રાખવામાં આવ્યા છે.
ટેંગનોપાલમાં 3,560 લોકોની ઓળખ થઈ હતી. તેમાંથી માત્ર 14 લોકોને પરત મોકલવામાં આવ્યા છે, જ્યારે બાકીના 3,546 લોકોના બાયોમેટ્રિક રેકોર્ડ નોંધવામાં આવ્યા છે અને તેમની દેખરેખની જવાબદારી ડેપ્યુટી કમિશનરને સોંપવામાં આવી છે.
ચંદેલમાં 14,370 ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ થઈ હતી. તેમાંથી 9,600 લોકોને પરત મોકલાયા છે. બાકીના 4,770માંથી 1,308 લોકોના બાયોમેટ્રિક રેકોર્ડ નોંધાઈ ચૂક્યા છે.
ગેરકાયદેસર પ્રવાસીઓ માટે અલગ રાખવાની સૂચના
ગૃહમંત્રીએ જણાવ્યું કે સંબંધિત ડેપ્યુટી કમિશનરોને ગેરકાયદેસર પ્રવાસીઓને સ્થાનિક ભારતીય સમુદાયોથી અલગ રાખવા સૂચના આપવામાં આવી છે. પરત મોકલવાની પ્રક્રિયા રાજદ્વારી માધ્યમો દ્વારા આગળ વધારવામાં આવી રહી હોવાનું તેમણે કહ્યું.
ગેરકાયદેસર ઇમિગ્રેશનની તપાસ માટે ત્રણ સ્તરે સમિતિઓ
સરકારે ગેરકાયદેસર ઇમિગ્રેશનની તપાસ માટે અગાઉ પણ વિવિધ સમિતિઓ રચી હતી. 7 ઓગસ્ટ 2024ના રોજ પૂર્વ મંત્રી આવાંગબો ન્યૂમાઈની અધ્યક્ષતામાં 12 સભ્યોની સમિતિ બનાવવામાં આવી હતી. તેનો હેતુ ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ ઉપરાંત નવા ગામોની અસામાન્ય વૃદ્ધિ અંગે તપાસ કરવાનો હતો.
આ ઉપરાંત 16 ફેબ્રુઆરી 2023ના રોજ પૂર્વ આદિજાતિ બાબતોના મંત્રી લેતપાઓ હાઓકિપની અધ્યક્ષતામાં કેબિનેટ પેટા-સમિતિ બનાવાઈ હતી. તેમાં આવાંગબો ન્યૂમાઈ અને ટી. બસંત કુમાર સિંહનો સમાવેશ થતો હતો.
ત્યારબાદ 24 માર્ચ 2023ના રોજ ગૃહ વિભાગે કમિશનર એસ. ચૌરસિયાની અધ્યક્ષતામાં કાર્યકારી સમિતિ બનાવી હતી. તેમાં IGP કે. કબીબ, ડેપ્યુટી કમિશનર, પોલીસ સુપરિન્ટેન્ડન્ટ, SDO અને SDPO સહિતના અધિકારીઓ સામેલ હતા. આ સમિતિને ગેરકાયદેસર પ્રવાસીઓની ચકાસણી કરવાની અને કેબિનેટ પેટા-સમિતિને સહાય કરવાની જવાબદારી અપાઈ હતી.
2023ની હિંસાથી ચકાસણી અભિયાન અટક્યું
કોન્થૌજમે જણાવ્યું કે ગેરકાયદેસર પ્રવાસીઓની ચકાસણીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ 3 મે 2023ના રોજ મણિપુરમાં શરૂ થયેલી હિંસાના કારણે આ કામગીરી આગળ ચાલુ રાખી શકાયી નહોતી. હવે NRC, ગેરકાયદેસર પ્રવાસીઓ અને વસ્તી ગણતરી જેવા મુદ્દાઓ રાજ્યમાં ફરી રાજકીય તથા વહીવટી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.








