
પંજાબના લુધિયાણા પશ્ચિમ મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગી બસ્સીનું શુક્રવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં ગોળી મારવામાં આવ્યા બાદ મૃત્યુ થયું. કહેવામાં આવી રહ્યું છે કે ગુરપ્રીત ગોગીના માથામાં ગોળી વાગી છે. ગોળી કેવી રીતે ચલાવવામાં આવી અને કોણે ચલાવી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
લુધિયાણા પશ્ચિમના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગી બસ્સીએ કોંગ્રેસથી પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ કોંગ્રેસના પૂર્વ મંત્રી ભારત ભૂષણ આશુના નજીકના હતા. જોકે, સંબંધોમાં ખટાશ આવ્યા બાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ધારાસભ્ય ગુરપ્રીત ગોગી પોતાની જ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા.
લોકોની સાથે ચર્ચા કરતાં હતા અને ગોળી મારી
ગોળીબારનો અવાજ સંભળાતા જ તેમના પરિવારના સભ્યો અને તેમની સુરક્ષા માટે તૈનાત સ્ટાફ રૂમમાં પહોંચી ગયા અને તેમને DMC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ ઘટનાની માહિતી મળતાં, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટેશન ડિવિઝન આઠના અધિકારીઓ, ઘુમરમંડી ચોકીની પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મોડી રાત્રે, ધારાસભ્યના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી, ઘણા લોકો તેમના ઘર અને હોસ્પિટલમાં પહોંચી ગયા. શુક્રવારે સાંજે તેઓ શહેરના લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા હતા.
કોંગ્રેસ છોડી દીધી હતી
કોંગ્રેસથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર ગુરપ્રીત ગોગી ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા ભારત ભૂષણ આશુના નજીકના હતા. પાછલી સરકારમાં ભૂતપૂર્વ મંત્રી સાથેના સંબંધોમાં ખટાશ આવવાને કારણે તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી અને 2022ની વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. AAP એ તેમને આશુ સામે પણ મેદાનમાં ઉતાર્યા હતા. ગોગી પોતાના જ રાજકીય માર્ગદર્શકને હરાવવામાં સફળ રહ્યા અને મોટા માર્જિનથી જીત્યા.
પત્ની હારી હતી ચૂંટણી
ગોગીએ પોતાની સરકાર સામે પણ મોરચો ખોલ્યો હતો. તેમણે બુઢા દરિયા પ્રોજેક્ટના શિલાન્યાસની તકતી પણ તોડી નાખી હતી. આ વિસ્તારમાં ચાર વખત કાઉન્સિલર રહી ચૂકેલા ગોગીએ આ વખતે નાગરિક ચૂંટણીમાં તેમની પત્ની ડૉ. સુખચૈન કૌર ગોગીને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા.
હત્યાનું કારણ અકબંધ
ગુરપ્રીત ગોગી બસ્સીએ શુક્રવારે રાત્રે ભાઈ રણધીર સિંહ નગર વિસ્તારમાં સ્થિત પ્રાચીન શીતળા માતા મંદિરમાં અપવિત્રતા અને ચોરી સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકોને પણ મળ્યા હતા. લોકોની સમસ્યાઓ સાંભળ્યા પછી, તે મોડી રાત્રે ઘરે પહોંચ્યા હતા. ઘરમાં શું થયું તે અંગે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી. ગોળી વાગ્યા બાદ, તેમને ડીએમસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત થઈ ગયું હતું.