
PM Modi Netherlands Visit: વર્ષ ૨૦૧૪ માં ‘મહાનાયકત્વ’ના અજીબોગરીબ અહંકારથી ભરેલા નરેન્દ્ર મોદી જ્યારે સત્તાના સિંહાસન પર બેઠા, ત્યારે તેમના આંધળા ભક્તો અને ગોદી મીડિયાએ ઉપરાઉપરી વિદેશ પ્રવાસોને જોઈને આખા દેશમાં એવો ઢંઢેરો પીટ્યો હતો કે હવે દુનિયાભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. પરંતુ આજે સત્તાના ૧૨મા વર્ષમાં આ કથિત ડંકાના અવાજની જગ્યાએ આંતરરાષ્ટ્રીય સ્તરે શાસકોની ભારે ફજેતી થતી જોવા મળી રહી છે. હાલમાં જ નેધરલેન્ડ્સના વડાપ્રધાન રોબ યેટને પીએમ મોદી સાથેની સત્તાવાર વાતચીત પહેલા યોજેલી એક એકલ પત્રકાર પરિષદમાં ભારતમાં મીડિયા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના પતન, લઘુમતીઓના અધિકારોની કટોકટી અને સામાજિક સર્વસમાવેશકતા પર વર્તી રહેલા ‘ગંભીર દબાણ’ અંગે ખુલ્લેઆમ ચિંતા વ્યક્ત કરી છે. યુરોપના એક દેશના વડાપ્રધાને સત્તાવાર રીતે ભારતના શાસકોની દમનકારી નીતિઓ પર આકરા પ્રહારો કરતા જ મોદી સરકારની ભક્તો દ્વારા ઉભી કરાયેલી ‘વિશ્વગુરુ’ની નકલી ઇમેજ સંપૂર્ણપણે તૂટી ગઈ છે.
જો નેધરલેન્ડ્સના પીએમ રોબ યેટનની આ ચિંતા માત્ર કોઈ ‘નાસમજણ’ કે રાજકીય સ્વાર્થના કારણે હોત, તો ભારતના પત્રકારો અને લઘુમતીઓએ સામેથી આવીને પીએમ યેટનને ખોટા સાબિત કર્યા હોત, જે આપણી લોકશાહી માટે ગૌરવની ક્ષણ હોત. પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારતના પત્રકારો, મીડિયાકર્મીઓ અને મુસ્લિમ સહિતના તમામ લઘુમતી સમુદાયો છેલ્લા બાર વર્ષથી મોદી સરકારના હાથે રીતસર પીડાઈ રહ્યા છે. આથી જ, જનતાને પણ સંતોષ થઈ રહ્યો છે કે વૈશ્વિક નેતાઓએ તેમની તકલીફોને ઓળખીને સત્તાવાળાઓ સામે અવાજ ઉઠાવ્યો છે. કોઈ પણ તાર્કિક જવાબ ન હોવાને કારણે હવે મોદી સરકારના અધિકારીઓ અને સોશિયલ મીડિયાના ભક્તો નેધરલેન્ડ્સ સામે ગમે તેમ ગર્જનાઓ કરીને પોતાની અકળામણ અને ખીજ પ્રદર્શિત કરી રહ્યા છે.
વસ્તીના જોરે જોહુકમી ચલાવવાનું ગાંડપણ
એક અંધભક્તે તો ત્યાં સુધી બૂમરાણ મચાવી દીધી કે માત્ર ૧.૬ કરોડની વસ્તી ધરાવતા નેધરલેન્ડ્સ જેવા ‘ચપટીભર’ દેશની શું મજાલ કે તે દુનિયાની સૌથી મોટી વસ્તી ધરાવતા ભારતને માનવાધિકારોનું જ્ઞાન આપે! ભક્તોના મતે ભાગલા વખતે ભારતમાં લઘુમતી વસ્તી ૧૧% હતી જે હવે વધીને ૨૦% થી વધુ થઈ ગઈ છે, તેથી યુરોપ પાસેથી સર્વસમાવેશક વિચારો શીખવાની જરૂર નથી. શું આનો અર્થ એ છે કે મોદી સરકારને હવે દુનિયાના માત્ર ગણ્યા-ગાંઠ્યા ‘ચૌધરીઓ’ પાસેથી જ જ્ઞાન લેવું મંજૂર છે? અત્યારે ભારત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જ્ઞાનદાન પર જ નિર્ભર થઈને રહી ગયું છે, જે આપણી સાર્વભૌમ લોકશાહીના ગૌરવ માટે અત્યંત શરમજનક પરાધીનતા છે. ભક્તો સવાલ ઉઠાવે છે કે યેટને સંયુક્ત પત્રકાર પરિષદ કેમ ન કરી? જાણે સંયુક્ત પરિષદ હોત તો પત્રકારોના સવાલોથી કાયમ ભાગનારા અને કાગળ જોઈને જ બોલનારા પીએમ મોદી પોતાની છબી સુધારી લેવાના હતા!
સવાલોથી ભાગવાની મોદીની આ જ ટેવ અગાઉ નોર્વેના પ્રવાસે પણ ખુલ્લી પડી ગઈ હતી. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં નોર્વે દુનિયામાં પ્રથમ સ્થાને છે જ્યારે ભારત લપસીને ૧૫૭મા શરમજનક સ્થાને આવી ગયું છે. નોર્વેના વડાપ્રધાન જોનાસ સ્ટોરે અને પીએમ મોદીની મુલાકાત બાદ ત્યાંની મહિલા પત્રકાર હેલે લ્યુન્ગે મોદીને સવાલ પૂછ્યો હતો કે, “તમે મુક્ત મીડિયાના સવાલોના જવાબો કેમ નથી આપતા?” મોદી આ સવાલ સાંભળીને મૌન થઈ ગયા હતા. પત્રકારે લિફ્ટ સુધી તેમનો પીછો કરીને સવાલોનો મારો ચલાવ્યો હતો અને ભારતીય વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં પણ પૂછ્યું હતું કે, “આવા સરમુખત્યારશાહી વલણ વચ્ચે કોઈ દેશ ભારત પર ભરોસો કેમ કરે?” આના જવાબમાં વિદેશ મંત્રાલયે પ્રેસ ફ્રીડમના મુદ્દાને ગોળ-ગોળ ફેરવીને ભારતને કંઈક વધારે જ ‘ઘોંઘાટવાળી લોકશાહી’ ગણાવીને પોતાની નબળાઈ છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
કોમી રાજનીતિ, હેટ સ્પીચ અને બકરી ઈદ પર ધમકીઓ
જ્યારે પણ માનવાધિકાર કે હેટ સ્પીચ પર સવાલો થાય છે, ત્યારે મોદી સરકાર તરત જ ૫૦૦૦ વર્ષ જૂની વિવિધતાવાળી સભ્યતાનું હથિયાર ધરી દે છે. પરંતુ છેલ્લા ૧૨ વર્ષથી આ જ શાસકોએ દેશની સભ્યતા સાથે જાણીજોઈને દુશ્મની નિભાવી છે. લઘુમતીઓ વિરુદ્ધ ખુલ્લેઆમ હેટ સ્પીચ આપવી, પદ્ધતિસર મોબ લિંચિંગ (ટોળા દ્વારા હત્યાઓ) કરાવવી, ધર્માંતરણ અને ગૌ-હત્યા વિરોધી કાયદાઓનો દુરુપયોગ કરીને વિપક્ષો અને મુસ્લિમોને ટાર્ગેટ કરવા, તે આ સરકારનો સત્તાવાર એજન્ડા બની ગયો છે. બકરી ઈદ આવતા જ દેશના સૌથી મોટા રાજ્ય (ઉત્તર પ્રદેશ) ની ભાજપ સરકાર ધમકી આપવા લાગે છે કે જો રસ્તા પર નમાઝ પઢી તો ખેર નથી! આવી સાંપ્રદાયિક નીતિઓ વચ્ચે દુનિયા સમક્ષ ભારતની ઈમેજ તબાહ થઈ ચૂકી છે અને આંતરરાષ્ટ્રીય પંચોના નકારાત્મક અહેવાલોને સરકાર હવે ‘ભારત-વિરોધી કાવતરું’ ગણાવીને રડવા બેઠી છે.
ફજેતી કરાવવા વિદેશ ગયા જ કેમ?
અંતમાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે નેધરલેન્ડ્સના પીએમ રોબ યેટને પોતે સ્વીકાર્યું છે કે તેઓ સમયાંતરે ભારત સરકારને દેશમાં લઘુમતીઓ (ખાસ કરીને મુસ્લિમો) અને પ્રેસની આઝાદી પર આવી રહેલા દબાણ અંગે ચેતવણી આપતા રહ્યા છે. જો ભારત વિશે તેમની આવી ‘નાસમજણ’ હતી અને ભારત સરકાર તેમને સમજાવવામાં નિષ્ફળ રહી હતી, તો પછી પીએમ મોદી કયા મોઢે અતિથિ બનીને નેધરલેન્ડ્સના પ્રવાસે ગયા હતા? શું તેઓ ત્યાં માત્ર પોતાની અને દેશની આંતરરાષ્ટ્રીય સ્તરે થનારી ફજેતી કરાવવા માટે જ ગયા હતા? સરમુખત્યારશાહી નીતિઓ અને અહંકારના કારણે આજે ભારત વૈશ્વિક મંચ પર એક હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં આવીને ઊભું રહી ગયું છે.
આ પણ વાંચો:







