
Kerala CEO Appointment Controversy: કેરળમાં સત્તાધારી તંત્ર અને અમલદારશાહીની મિલીભગતનો વધુ એક આઘાતજનક કિસ્સો સામે આવતા જ લોકશાહી મૂલ્યો પર મોટા સવાલો ઊભા થયા છે. કેરળના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) અને ચૂંટણી વિભાગના સચિવ તરીકે સેવા આપી ચૂકેલા ૨૦૦૩ની બેચના આઈએએસ (IAS) અધિકારી ડૉ. રથન યુ. કેલકરની સીધી જ મુખ્યમંત્રી વી. ડી. સતીશનના અંગત સચિવ (સેક્રેટરી) તરીકે નિમણૂક કરી દેવામાં આવી છે. ચૂંટણીઓ પારદર્શી રીતે કરાવવાની જેમના પર કાનૂની જવાબદારી હતી, તે જ અધિકારીને સત્તાના કેન્દ્ર સમાન મુખ્યમંત્રી કાર્યાલય (CMO) માં આટલું મહત્વનું પદ આપી દેવાતા રાજ્યના રાજકારણમાં મોટો વંટોળ ઊભો થયો છે. વિપક્ષ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ) [CPI(M)] અને ભારતીય જનતા પાર્ટી (BJP) બંનેએ આ શંકાસ્પદ સોદાબાજી સામે આકરા પ્રહારો કર્યા છે.
કોંગ્રેસનો બેવડો દંભ ખુલ્લો પડ્યો
આ વિવાદે કોંગ્રેસ હાઈકમાન્ડની કથની અને કરની વચ્ચેના જબરદસ્ત તફાવતને જનતા સમક્ષ ખુલ્લો પાડી દીધો છે. સીપીઆઈ(એમ) ના વરિષ્ઠ નેતા પી. રાજીવે આ નિમણૂકને ગંભીર લોકશાહી વિરોધી મુદ્દો ગણાવતા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે યાદ અપાવ્યું કે હજુ ૧૨ મેના રોજ પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલને ભાજપ સરકારે રાજ્યના નવા મુખ્ય સચિવ બનાવ્યા ત્યારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, “જેટલી મોટી ચોરી, તેટલું મોટું ઇનામ.” હવે તેના બરાબર ૧૦ દિવસ પછી કેરળની કોંગ્રેસ સરકાર પોતાના જ ચૂંટણી અધિકારીને સચિવ પદે બેસાડીને કયું ઈનામ આપી રહી છે? ડાબેરીઓએ માંગ કરી છે કે રાહુલ ગાંધીએ હવે દંભ છોડીને સ્પષ્ટ કરવું જોઈએ કે કેરળની આ ખુલ્લી રાજકીય ચોરી પર તેમનું શું વલણ છે.
કેરળ ભાજપનો કરારો કટાક્ષ
કેરળ ભાજપના પૂર્વ પ્રમુખ કે. સુરેન્દ્રને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર કોંગ્રેસ શાસનની જોહુકમી પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષ કરતા લખ્યું કે, જ્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પૂર્વ સીએઓ મનોજ અગ્રવાલને મુખ્ય સચિવ બનાવે છે, ત્યારે રાહુલ ગાંધી અને આખું કોંગ્રેસ મંડળ લોકશાહી બચાવવાના નામે છાતી પીટે છે. પરંતુ જ્યારે મુખ્યમંત્રી વી. ડી. સતીશન કેરળના મુખ્ય ચૂંટણી અધિકારી રથન કેલકરને પોતાના સચિવ તરીકે સીધા સીએમઓ (CMO) માં એન્ટ્રી આપે છે, ત્યારે શું આ ગોઠવણ અચાનક લોકશાહીનું સૌંદર્ય બની જાય છે? ભાજપે આક્ષેપ કર્યો છે કે આ સત્તાવાર હોદ્દાઓનો દુરુપયોગ માત્ર ચૂંટણીઓમાં મદદ કરવા બદલ વહીવટી તંત્રના વડાઓને રાજી રાખવાની સરકારી પરંપરાનો ભાગ છે.
પશ્ચિમ બંગાળનો એ જ ખતરનાક ટ્રેન્ડ
વાસ્તવમાં, આવી વિવાદાસ્પદ નિમણૂકો પાછળ ચૂંટણી તંત્રને પોતાના ઈશારે નચાવવાનો મોટો રાજકીય ખેલ છુપાયેલો હોય છે. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની સરકાર સત્તા પર આવ્યા પછી, ૧૯૯૦ની બેચના આઈએએસ અધિકારી અને પૂર્વ સીઇઓ મનોજ કુમાર અગ્રવાલને રાજ્યના મુખ્ય સચિવ જેવા સર્વોચ્ચ વહીવટી પદની ભેટ આપવામાં આવી હતી. તે સમયે તમામ વિરોધ પક્ષોએ બૂમરાણ મચાવી હતી કારણ કે ચૂંટણી પંચ દ્વારા બંગાળમાં કરાયેલી વિશેષ સઘન સુધારણા (SIR) પ્રક્રિયાએ ચૂંટણી દરમિયાન તૃણમૂલને પછાડીને ભાજપને સત્તા સુધી પહોંચાડવામાં પડદા પાછળ મોટી ભૂમિકા ભજવી હતી. હવે કેરળમાં પણ બિલકુલ એ જ પેટર્ન પર રમત રમાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
તબીબી પદવીથી લઈને કરોડોના વહીવટનો અનુભવ
આ આખી રાજકીય ગોઠવણના કેન્દ્રમાં રહેલા ડૉ. રથન યુ. કેલકર કેરળ કેડરના ૨૦૦૩ની બેચના પ્રભાવશાળી આઈએએસ અધિકારી છે અને વહીવટી તંત્રના તમામ છૂપા રસ્તાઓથી વાકેફ છે. એમબીબીએસ (MBBS) ની પદવી ધરાવતા ડૉ. કેલકર અગાઉ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ (તબીબી શિક્ષણ) વિભાગના સચિવ, નેશનલ હેલ્થ મિશનના સ્ટેટ મિશન ડાયરેક્ટર તેમજ ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને પર્યાવરણ વિભાગ જેવા અતિ મહત્વના સરકારી વિભાગોના સચિવ પદે રહીને કરોડો રૂપિયાના વહીવટનો બહોળો અનુભવ મેળવી ચૂક્યા છે. ચૂંટણીઓ પત્યા બાદ આવા મજબૂત અને પાવરફુલ અમલદારને સીધા મુખ્યમંત્રીના ખાસ સચિવ બનાવી દેવા પાછળ પક્ષ અને અમલદારશાહી વચ્ચેની અંદરની સાંઠગાંઠ સ્પષ્ટપણે દેખાઈ આવે છે, જેના લીધે ન્યુટ્રલ સિસ્ટમની વિશ્વસનીયતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે.
આ પણ વાંચો:







