
Rajesh Exports SEBI: રાજેશ એક્સપોર્ટ્સ પર તોળાઈ રહેલા ૧૫.૧૫ લાખ કરોડ રૂપિયાના કથિત રેવન્યુ કૌભાંડના સમાચાર ભારતીય શેરબજારમાં ભૂકંપ સમાન છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫ દરમિયાન કંપનીએ વિદેશી સબસિડિયરીઝ દ્વારા પોતાના આંકડાઓમાં આટલી મોટી હેરાફેરી કરી છે. આ રકમ છેલ્લા પાંચ વર્ષના કંપનીના કુલ રેવન્યુના લગભગ ૯૯.૮ ટકા જેટલી છે, જે સૂચવે છે કે કંપનીનું આખું બિઝનેસ મોડલ કદાચ માત્ર આંકડાઓની માયાજાળ પર ટકેલું હતું. ભલે રાજેશ એક્સપોર્ટ્સ સેબીના આરોપોને ફગાવી રહ્યું હોય અને તેને ટેકનિકલ ગેરસમજ ગણાવતું હોય, પરંતુ ૧૫ લાખ કરોડ જેવી અધધ રકમનું ‘બનાવટી કમાણી’ તરીકે સામે આવવું એ કોઈ નાની ઘટના નથી. આ માત્ર એક કંપનીની નિષ્ફળતા નથી, પરંતુ ભારતના કોર્પોરેટ ગવર્નન્સ પર મોટો સવાલ છે.
મ્યુચ્યુઅલ ફંડ્સનું અંતર, એલઆઈસીનો અતૂટ ‘ભરોસો’?
જ્યારે દેશના મ્યુચ્યુઅલ ફંડ્સ અને અન્ય ખાનગી વીમા કંપનીઓએ છેલ્લા એક દાયકામાં રાજેશ એક્સપોર્ટ્સમાં રોકાણ કરવામાં કોઈ ખાસ રસ દાખવ્યો નથી અને પોતાનો હિસ્સો નહિવત રાખ્યો છે, ત્યારે સરકારી માલિકીની એલઆઈસી (LIC) શા માટે આ કંપની પર આટલી મહેરબાન રહી? આંકડાઓ સાક્ષી પૂરે છે કે માર્ચ ૨૦૧૭માં જે એલઆઈસીનો હિસ્સો માત્ર ૧.૧૯ ટકા હતો, તે ૧૦ વર્ષમાં વધીને ૧૦.૮૦ ટકા સુધી પહોંચી ગયો. શું એલઆઈસીના એનાલિસ્ટોને કંપનીની આ આંતરિક ગડબડ દેખાઈ નહીં હોય? મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી સંસ્થાઓ જ્યારે દૂરી બનાવી રહી હતી, ત્યારે એલઆઈસીએ કરોડો રૂપિયાના રોકાણ સાથે સામાન્ય લોકોના પૈસાને આ કંપનીના હવાલે કર્યા. હવે જ્યારે કૌભાંડનો ધુમાડો નીકળી રહ્યો છે, ત્યારે એલઆઈસીના રોકાણકારોના હિતોનું શું થશે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે.
ટેકનિકલ સ્પષ્ટતા કે જૂઠ્ઠાણાંનો આડંબર?
રાજેશ એક્સપોર્ટ્સનો દાવો છે કે સેબીએ વલ્કામ્બીના રેવન્યુને બદલે તેના એબિટડા (EBITDA) ને ગણીને ભૂલ કરી છે, જેના કારણે આટલો મોટો તફાવત દેખાય છે. કંપની પોતાની સફાઈમાં કહી રહી છે કે સેબીના આદેશમાં કોઈ અંતિમ નિષ્કર્ષ નથી અને તેઓએ કોઈ ગેરરીતિ કરી નથી. પરંતુ સવાલ એ છે કે શું સેબી જેવી દેશની સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા આટલી મોટી ભૂલ કરી શકે? જો આ માત્ર એક ટેકનિકલ ગણતરીની વાત હોત, તો કંપનીએ ક્યારનીય સ્પષ્ટતા કરી દીધી હોત. વાસ્તવમાં, આવી કંપનીઓ હંમેશા જટિલ એકાઉન્ટિંગ અને વિદેશી સબસિડિયરીઝનો ઉપયોગ કરીને તપાસમાંથી બચવાનો પ્રયાસ કરતી હોય છે. ૪ જૂને જાહેર થયેલો ૧૦૯ પાનાનો સેબીનો રિપોર્ટ સામાન્ય પત્ર નથી, તેમાં કંપનીના વ્યવહારોમાં રહેલી ગંભીર ખામીઓનો ઉલ્લેખ છે.
નિકાસના આંકડાઓ અને દેશની વિશ્વસનીયતા પર પ્રશ્ન
આ કૌભાંડની અસર માત્ર શેરબજાર સુધી સીમિત નથી. પાઈનટ્રી મેક્રોના સ્થાપક રીતેશ જૈને સાચું જ કહ્યું છે કે આ ઘટના દેશના સમગ્ર નિકાસ અને વ્યાપાર સંબંધિત ડેટાની વિશ્વસનીયતા પર ડાઘ લગાવી શકે છે. જો ૧૫ લાખ કરોડ રૂપિયાના ફેક રેવન્યુ દેશના અર્થતંત્રમાં ગણાયેલા હોય, તો ભારતની જીડીપી અને નિકાસના આંકડાઓ કેટલા સાચા છે? વિદેશી રોકાણકારો જ્યારે આવી ઘટનાઓ જોવે છે, ત્યારે તેમનો ભરોસો ઉઠી જાય છે. ભારત એક તરફ ‘વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ’ બનવાના સપના જોઈ રહ્યું છે, અને બીજી તરફ આવી ઘટનાઓ સાબિત કરે છે કે કોર્પોરેટ જગતમાં પારદર્શિતાના નામે માત્ર છેતરપિંડી ચાલી રહી છે.
જવાબદારી કોની?
અંતે, સવાલ એ છે કે આટલા વર્ષો સુધી આ બધું કેવી રીતે ચાલતું રહ્યું? ઓડિટર્સ ક્યાં હતા? રેગ્યુલેટર્સ શા માટે મોડા જાગ્યા? સામાન્ય રોકાણકારો, જેમને એલઆઈસી દ્વારા આ કંપનીમાં રોકાણ કરાવવામાં આવ્યું હતું, તેઓ આજે ડરના ઓથાર હેઠળ છે. જો સેબીની તપાસમાં અંતિમ નિષ્કર્ષ આવશે કે આ ખરેખર કૌભાંડ છે, તો શું આ કંપનીના ડિરેક્ટર્સ અને જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય પગલાં લેવાશે? કે પછી હંમેશની જેમ આ કૌભાંડ પણ ફાઈલોમાં દબાઈ જશે? રાજેશ એક્સપોર્ટ્સનો આ મામલો ભારતના કોર્પોરેટ જગતના એવા પાપને ઉજાગર કરે છે, જે વર્ષોથી સામાન્ય માણસના પૈસા પર જલસા કરી રહ્યા છે. દેશની જનતા હવે આકરા પગલાંની અપેક્ષા રાખે છે, માત્ર નિવેદનોની નહીં.
આ પણ વાંચો:








