
—–વ્યંગ કથા—-
લેખક : શ્રીકાંત આપ્ટે
Satire: દરેક વખતની જેમ આ વખતે પણ વિક્રમે વૈતાળને વૃક્ષ પરથી ઉતારીને ખભા પર મૂક્યો અને ચૂપચાપ શહેર તરફ ચાલી પડ્યો વૈતાળ પણ ઓછો નહોતો. તે મનમાં બોલ્યો — “રાજા, આજે પણ હું તારુ મૌન તોડાવીને જ રહીશ. તું મને જરા પણ ઓછો ન આંકતો.” પછી ધીરેથી બોલ્યો — “ રાજન ચાલ,આજે તને એક નવી વાર્તા સંભળાવું, રસ્તો પણ સહેલાઈથી કપાઇ જશે।”
આ વાર્તા છે “દોઢ આંસુની.” હવે રાજન, તું એવું ન કહેતો કે આંસુની પણ કોઈ વાર્તા હોય ખરી? તો રાજન, વાર્તા તો આંસુઓની જ હોય છે, સ્મિતની નથી. એક નહીં, બે નહીં — દોઢ આંસુ. આ દોઢ આંસુ વળી શું બલા છે? આ કોઈ બલા નથી, પરંતુ સચ્ચાઈ છે. કોઈ રાજા જો વર્ષ-દોઢ વર્ષમાં જનતા સમક્ષ ફક્ત દોઢ આંસુ જ વહાવે, તો વાર્તાકાર શું કરે? શું એ દોઢ આંસુની વાર્તા ન લખે? આજકાલ દુનિયા ગુણવત્તા છોડીને માત્ર માત્રા પાછળ દોડી રહી છે. શું થયું જો ફક્ત દોઢ આંસુ છે? છતાં આંસુ તો છે જ. એ પણ જેવા તેવા નહિ પણ ખૂબ જ અનમોલ આંસુ.
રાજાનાઆંસુ તો અનમોલ જ હોય. ફક્ત દોઢ હોય તો વધુ જ અનમોલ. આવા અનમોલ દોઢ આંસુ પર વાર્તા ન લખવી એટલે દોઢ આંસુ સાથે અન્યાય જ કહેવાય જે રાજા ઇચ્છા થાય ત્યારે આંખમાંથી દોઢ આંસુ ટપકાવી શકે, તે રાજા તો અસાધારણ જ કહેવાય. ઇચ્છાધારી નાગિન જેમ ઇચ્છાધારી રાજા — જેમ ઇચ્છા મરણ તેમ આંખમાં આંસુનું ઇચ્છા ભરણ ક્યારે અને ક્યાં આંસુ ટપકાવવાના તે રાજાને સારી રીતે ખબર છે. આંસુના દ્રશ્યને વધુ ભાવનાત્મક બનાવવા માટે ડૂમો ભરાઈ જાય તેવી રીતે બોલવામાં રાજા નિષ્ણાત છે. જો આંસુ સાથે ડૂમો પણ ભરાયેલો હોય તો દ્રશ્ય બહુ અસરકારક બને છે. સમજવા માટે ઉદાહરણ જુઓ
મોકો છે માતૃદિનનો. રાજા જનતાને સંબોધે છે — “મારી મા (ડૂમો ભરાયેલો) લોકોના ઘરે વાસણ ધોતી હતી. અમે ત્યારે ખૂબ ગરીબ હતા.” અને એટલું કહીને આંખમાંથી દોઢ આંસુ ટપકાવે છે. બીજું ઉદાહરણ — અવસર છે અડવાણીજીના જન્મદિવસનો. રાજા કહે છે (ભરાયેલા ડૂમા સાથે) — “અડવાણીજી પર થયેલા અત્યાચાર યાદ કરતાં મારી આંખોમાંથી આંસુ વહેવા લાગે છે” (અર્થાત્ દોઢ આંસુ) આંસુ ટપકાવવા માટે સ્થાનની પસંદગી પણ રાજા ખૂબ વિચારપૂર્વક કરે છે. દંગાઓમાં લોકો મરી જાય ત્યારે ત્યાં જઈને આંસુ વહાવતો એવો મૂર્ખ રાજા નથી. ઘુસણખોરો મરી જાય તો સારું જ — એવું કહે છે રાજા મણિપુરમાં સ્ત્રીઓને નિર્વસ્ત્ર ફેરવવામાં આવી, સાતસો ખેડૂત ધરણા દરમિયાન મરી ગયા, પુલવામામાં જવાનો મરી ગયા, પહલગામમાં લોકો મરી ગયા — આવી નાની-મોટી ઘટનાઓ તો થતી જ રહે છે. આવી બાબતો પર આ અનમોલ દોઢ આંસુ વહાવવું રાજાને શોભતું નથી. રાષ્ટ્રહિતમાં પણ એવું યોગ્ય નથી કે આવા મૂલ્યવાન આંસુ “ફાલતુ” બાબતો પર વહે આંસુનો જથ્થો મર્યાદિત છે, તેથી રાજા તેનો જોઈ વિચારીને ઉપયોગ કરે છે. આ સહેલું કામ નથી. રાજન, તું પણ રાજા છે — એક વાર કરી ને જો. ખરેખર કહું છું, એક જ વાર પ્રયત્ન કરશો તો જ તારી હાલત ખરાબ થઈ જશે.
જનતા સામે જોરથી રડવું અને આંસુઓની ધારા વહાવવી તો કોઈ પણ કરી શકે હવે આ અસાધારણ રાજા અને તેના દોઢ આંસુની વાર્તા પછી હું તને ત્રણ પ્રશ્ન પૂછું છું. જો તું જવાબ જાણતા હોવા છતાં નહીં આપે, તો તારા માથાના ટુકડા-ટુકડા થઈ જશે
હવે પ્રશ્નો સાંભળ —
પહેલો પ્રશ્ન: જે રાજા ઇચ્છે ત્યારે ડૂમો ભરાઈ જાય અને દોઢ આંસુ વહાવી દે — શું તે અસાધારણ છે કે નહીં?
બીજો પ્રશ્ન: ડૂમો ભરાઈ જવો અને આંસુ વહાવવાનું રહસ્ય શું છે?
ત્રીજો અને અંતિમ પ્રશ્ન: જનતા તેને કેવી રીતે જોતી હશે?
વિક્રમે જવાબ આપ્યો —
“હા, તે રાજા અસાધારણ છે — પરંતુ અસાધારણ રીતે કઠોર, નીચ અને કૂટિલ છે, તેના જેવો કોઈ પણ દેશનો રાજા ન હોય. કોઈ સામાન્ય સ્તરના કલાકાર માટે પણ ડૂમો ભરાઈને બોલવું અને દોઢ આંસુનું અભિનય કરવું મુશ્કેલ નથી. ભાંડગિરી કરનારા લોકો ભલે આ નાટક પર તાળીઓ પાડે, પરંતુ રાજાની આ પ્રકારની નાટકીય હરકતો થી કંટાળેલી સામાન્ય જનતા તેને વ્યંગ્યપૂર્વક હસીને જ જોતી હોય છે” આ રીતે રાજાનું મૌન તૂટતાં જ વૈતાળ જોરદાર હાસ્ય સાથે ફરીથી વૃક્ષ પર જઈને બેસી ગયો…
▪️▪️▪️▪️
મુંબઈ, 19 એપ્રિલ, 2026
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







