
“વિક્રમ, બૈતાલ અને નારી વંદન”
▪️ શ્રીકાંત આપ્ટે
Satire: રાજા વિક્રમે પોતાની હઠ છોડી નહીં અને ફરીથી વૃક્ષ પર લટકતા વૈતાળને વૃક્ષ પરથી ઉતારીને ખભા પર લઈ ચૂપચાપ નગર તરફ આગળ વધ્યો, વાચાળ વૈતાળે ફરી રાજા વિક્રમને કહ્યું, “સાંભળ રાજન, આજે હું તને ફરી એક રાજાની જ વાર્તા સંભળાવું છું. લાંબા સમય સુધી એ રાજા એકહથ્થુ રાજ કરતો રહ્યો. પછી અચાનક એવું બનવા લાગ્યું કે રાજા ચારેય તરફથી સંકટોમાં ઘેરાઈ ગયો.
ચતુરાઈ અને તિકડમમાં એ મોટા-મોટાઓને પણ પાછળ પાડતો હતો. દર વખતે કલ્પિત સંકટ ઉભું કરીને ચતુરાઈથી અસલી સંકટમાંથી બચી જતો. આ કામમાં મહામંત્રી હંમેશાં રાજાની મદદ કરતો.રાજા તો ફક્ત દેખાવનો હતો. હકીકતમાં તો એ દસ્યુ ગેંગનો સરદાર હતો અને તેનો દરબાર એ જ દસ્યુઓનો સમૂહ હતો.
સંકટમાં ઘેરાયેલા રાજાએ હંમેશની જેમ આ વખતે પણ મહામંત્રીને સલાહ માટે બોલાવ્યો. મહામંત્રી પણ બહુ તિકડમબાજ. એ બોલ્યો — “રાજન, એક વિશેષ દરબારનું આયોજન કરીએ” રાજા વિચારે પડી ગયો — વિશેષ દરબાર એટલે શું અને તેમાં શું કરવાનું? એને તો દરબારમાં શું થાય છે એ પણ ખબર નહોતી, કારણ કે એ ક્યારેય દરબારમાં ટકતો જ નહોતો. દરબાર ચાલે ત્યારે એ દેશ-વિદેશમાં ફરતો રહેતો.
બંને તિકડમબાજોએ નક્કી કર્યું કે ‘નારીશક્તિ કાયદા’ પર વિચાર કરવા માટે વિશેષ દરબાર યોજવામાં આવે, આ જાહેરાતથી જનતા વચ્ચે એવો દેખાવ થશે કે રાજાના મનમાં સ્ત્રીઓ માટે કેટલો આદર છે. માત્ર એટલાથી રાજાની છબી ચમકી ઊઠશે — એવું બંને તિકડમબાજો માની બેઠા.
રાજાનો નારીપ્રેમ પણ અજબ. એવો કે નારીપ્રેમ માટે પચાસ વર્ષ પહેલાં પોતાની પત્નીને પણ છોડી દીધી હતી. જનતાને તો ખબર જ નહોતી કે રાજાની કોઈ પત્ની પણ છે. જનતા વચ્ચે તો એવો પ્રચાર હતો કે જનસેવા માટે રાજાએ લગ્ન જ કર્યા નથી, પછી એવો વળાંક આવ્યો કે રાજાને પોતે જ લગ્નની વાત સ્વીકારવી પડી. જનતા આશ્ચર્યચકિત થઈ ગઈ. વિરોધી દરબારીઓ અને મીડિયા લોકોએ તેમની પચાસ વર્ષ પહેલાં છોડી દીધી પત્નીનું ઇન્ટરવ્યુ ફોટા સાથે પ્રસિદ્ધ કર્યું.
જો તમને લાગે છે કે રાજા આ પછી શરમાયો હશે તો તમે બહુ નિર્દોષ છો, એકલો રાજા જ નારીપ્રેમી નથી. તેના સમર્થક દરબારીઓમાં પણ ઘણા અજબ નારીપ્રેમી છે. નારી ઉત્પીડન, બળાત્કાર અને હત્યા જેવા વિવિધ રીતે “નારી વંદન” કરનારા તેની તરફેણમાં ઘણા છે. રાજા પોતે તેમનું રક્ષણ અને સન્માન કરે છે.
રાજાના નારીપ્રેમના કિસ્સાઓથી ભરેલું એક પુસ્તક આજે ખૂબ ચર્ચામાં છે.
એક વિદેશી ફાઇલ પણ ચર્ચામાં છે, જેમાં કહેવાય છે કે રાજાના નારીપ્રેમની વાતો છે. વિદેશી ફાઇલને તો અવગણો, પરંતુ દેશી પુસ્તકનું શું કરશો? આ પુસ્તક તો રાજાના નજીકના લોકોએ જ તેની “નારીપ્રેમ”ની કહાનીઓથી ભર્યું છે,પરંતુ રાજાને એથી કોઈ ફરક પડતો નથી. તે ટીવી પર આવ્યો અને સ્ત્રીઓ માટે કેટલો આદર છે તે વિશે એવું ભાષણ આપ્યું કે શું કહીએ! કહેવામાં આવે છે કે તેના સમર્થકો તો ભાવવિભોર થઈ ગયા. ભાષણમાં તેણે વિરોધીઓને ‘નારી વંદન કાયદા’માં અવરોધ ઉભો કરવા બદલ સારી રીતે ઠપકો આપ્યો.હાલ માટે વાર્તા અહીં અટકાવું છું,હવે હું તને પ્રશ્નો પૂછું છું રાજન. જો તું જવાબ જાણતા હોવા છતાં નહીં આપે, તો તને ખબર જ છે — તારું માથું ટુકડા-ટુકડા થઈ જશે.
પહેલો પ્રશ્ન: આટલા આક્ષેપો પછી શું રાજાએ ગાદી છોડવી ન જોઈએ?
બીજો પ્રશ્ન: રાજા પર લાગેલા આક્ષેપોનો કોઈ અસર કેમ નથી થતી?
ત્રીજો અને અંતિમ પ્રશ્ન: શું સ્ત્રીઓને આ રીતે ભુલાવી શકાય?
રાજા વિક્રમે જવાબ આપ્ય — “પ્રજાની લાત ખાઈને ગાદી છોડનારા રાજાઓથી ઇતિહાસ ભરેલો છે. આ વાર્તાનો રાજા પણ એવો જ છે.
બીજો જવાબ — એક વાર ગેંડાઓના જૂથે આ રાજાનો સામનો કર્યો ત્યારે તેમની જાડી ચામડી હોવા છતાં તેઓ શરમાઈ ગયા. અને ત્રીજો જવાબ — રાજા મહામૂર્ખ હોઈ શકે, પરંતુ સ્ત્રીઓ મૂર્ખ નથી” આ રીતે રાજા વિક્રમનું મૌન તૂટતાં જ વૈતાળ ફરી અટ્ટહાસ્ય સાથે ઉડીને વૃક્ષ પર જઈને લટકી ગયો.
▪️▪️▪️▪️▪️
મુંબઈ, 22 એપ્રિલ, 2026
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો









