
Air Force: આસામના કાર્બી આંગલોંગમાં વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ થઈ જતા સર્જાયેલી દુર્ઘટનામાં વિમાનના બંને પાયલોટ શહીદ થયા હતા જેમાં સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટિનન્ટ પુર્વેશ દુરગકરનો સમાવેશ થાય છે.
સુખોઈ-30 પ્લેન ક્રેશમાં શહીદ થયેલા સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટિનન્ટ પુર્વેશ દુરગકર માટે ભારતીય વાયુસેનાએ શોક વ્યક્ત કરી કહ્યું છે કે તે શોકસંતપ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.
આજે શુક્રવારે સવારે પર્વતીય વિસ્તારમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો,વાયુસેનાએ અકસ્માતની તપાસ શરૂ કરી છે.આસામમાં તાલીમ પ્રશિક્ષણ દરમિયાન વાયુસેનાનું સુખોઈ-30 MKI ફાઇટર જેટ ક્રેશ થયું હતું. વિમાન કાર્બી આંગલોંગ જિલ્લાના પહાડી અને જંગલવાળા વિસ્તારમાં તૂટી પડ્યું હતું.
વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન નિયમિત તાલીમ મિશન પર હતું. ગુરુવારે સાંજે તેણે જોરહાટ એર બેઝથી ઉડાન ભરી હતી. ટેકઓફ કર્યાના થોડા સમય બાદ લગભગ સાંજે 7.42 વાગ્યે વિમાનનો કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો અને અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયુ હતું ત્યારબાદ વાયુસેનાએ તાત્કાલિક શોધખોળ શરૂ કરતા મોડી રાત્રે વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો.
વાયુસેનાની શોધ અને બચાવ ટીમે પોલીસ,વહીવટીતંત્ર અને સ્થાનિક ગ્રામજનોની મદદથી રાત્રે લગભગ 1 વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા અને ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો હતો.આ સ્થળ જોરહાટ એરબેઝથી લગભગ 60 કિલોમીટર દૂર એક દૂરના વિસ્તારમાં આવેલું છે.
વાયુસેનાએ ઘટનાની પુષ્ટિ કરી છે અને આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. તપાસ ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ અકસ્માત કયા સંજોગોમાં થયો. તમને જણાવી દઈએ કે સુખોઈ-30 MKI ભારતીય વાયુસેનાનું એક શક્તિશાળી અને આધુનિક ફાઇટર એરક્રાફ્ટ છે. આ અકસ્માતને કારણે વાયુસેનાને મોટું નુકસાન થયું છે.
આ પણ વાંચો:









