
Supreme Court Judgment Deadline: દેશની અદાલતોમાં દલીલો પૂરી થયા પછી પણ વર્ષો સુધી ચુકાદાઓ અનામત (Reserved) રાખીને ફાઈલો ધૂળ ખાતી મૂકી દેવાની ન્યાયાધીશોની આદત પર સુપ્રીમ કોર્ટે આકરો પ્રહાર કર્યો છે. સામાન્ય નાગરિકોને ન્યાયના નામે માત્ર ‘તારીખ પે તારીખ’ આપતી સડેલી સિસ્ટમને સુધારવા સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો છે કે હવેથી કોઈ પણ ચુકાદો અનામત રાખ્યાના ૩ મહિનાની અંદર સંભળાવવો અનિવાર્ય રહેશે. જો ન્યાયાધીશો આ સમયમર્યાદામાં ફેંસલો નહીં આપે, તો સંબંધિત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે આ મામલો મુખ્ય ન્યાયાધીશ (ચીફ જસ્ટિસ) સમક્ષ મૂકવો પડશે, જેઓ વધુમાં વધુ માત્ર બે અઠવાડિયાનો જ સમય વધારી શકશે.
કેસ બીજી બેન્ચને ટ્રાન્સફર થશે
નવી ગાઈડલાઈન મુજબ, જો લંબાવવામાં આવેલી બે અઠવાડિયાની મુદત પછી પણ આળસુ ન્યાયાધીશો ચુકાદો જાહેર નહીં કરે, તો તે કેસ તાત્કાલિક તેમની પાસેથી છીનવીને બીજી બેન્ચને સ્પ્લિટ-સેકન્ડમાં સ્થાનાંતરિત (Transfer) કરી દેવામાં આવશે. આ કડક જોગવાઈ એટલા માટે કરવામાં આવી છે કારણ કે ન્યાયતંત્રમાં પણ સરકારી કચેરીઓની જેમ ફાઈલો દબાવી રાખવાનો રોગચાળો વ્યાપી ગયો છે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે દલીલો પૂરી થયા પછી ‘જજમેન્ટ રિઝર્વ્ડ’ ની ચોક્કસ તારીખ હાઈકોર્ટની વેબસાઈટ પર જાહેર જનતા જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવાની રહેશે, જેથી કયા જજ સાહેબ કેટલા સમયથી ચુકાદો દબાવીને બેઠા છે તેની પોલ ખુલ્લી પડી જાય.
ડિજિટલ ગોબાચારી બંધ કરવા આદેશ
ચુકાદો સંભળાવ્યા પછી પણ તેને ઓનલાઈન અપલોડ કરવામાં થતી લાલિયાવાડી અને વકીલો-પક્ષકારોને હેરાન કરવાની પ્રથા બંધ કરવા સુપ્રીમ કોર્ટે કડક સમયરેખા નક્કી કરી છે. અદાલતના મુખ્ય આદેશ (Operative Part) ની જાહેરાત થયાના ૧૫ દિવસની અંદર આખો વિગતવાર ચુકાદો ઈન્ટરનેટ પર અપલોડ કરવો જ પડશે. જો ૧૫ દિવસમાં કારણો સહિતનો ચુકાદો અપલોડ ન થાય, તો પીડિત પક્ષકારો કોર્ટમાં સત્તાવાર અરજી કરી શકશે. એટલું જ નહીં, જો ન્યાયાધીશો ૩૦ દિવસ સુધી આળસ કરીને ચુકાદો અપલોડ નહીં કરે, તો પક્ષકારોને પોતાનો કેસ પાછો ખેંચવાની અથવા બીજી બેન્ચ સમક્ષ નવેસરથી સુનાવણી કરાવવાની કાનૂની આઝાદી રહેશે.
જામીનના નામે કેદીઓનું શોષણ બંધ
સુપ્રીમ કોર્ટે ખાસ કરીને જામીન (Bail) ના મામલાઓમાં જેલોમાં સડતા અંડરટ્રાયલ કેદીઓની માનવતાવાદી ચિંતા કરી છે. જામીનની દલીલો પૂરી થયાના બીજા જ દિવસે ઓર્ડર જાહેર કરવો પડશે. જામીન મંજૂર થતાંની સાથે જ તુરંત જ જેલ સત્તાવાળાઓને ઓનલાઈન કે ઈમેલથી સૂચિત કરવાના રહેશે, જેથી Undertrial કેદીને તે જ દિવસે અથવા વધુમાં વધુ બીજા દિવસે મુક્ત કરી શકાય. આ આદેશનું પાલન થયું છે કે નહીં તેનો રિપોર્ટ ટ્રાયલ કોર્ટે હાઈકોર્ટને મોકલવો પડશે. આ આદેશ એવા ભ્રષ્ટ વહીવટી તંત્રના ગાલ પર તમાચો છે જે જામીન મળ્યા પછી પણ દિવસો સુધી કેદીઓને જેલમાં ગોંધી રાખે છે.
સિસ્ટમનો ભરોસો જાળવવા મથામણ
આ ક્રાંતિકારી આદેશ ઝારખંડ હાઈકોર્ટમાં ચાલી રહેલી એક ગુનાહિત અપીલના કારણે બહાર આવ્યો છે, જેમાં પીડિતોની અંતિમ દલીલો સાંભળ્યા પછી પણ ન્યાયાધીશોએ બે-ત્રણ વર્ષ સુધી ચુકાદો અનામત રાખ્યો હતો પણ સંભળાવ્યો નહોતો. આ ગંભીર અન્યાયને જોઈને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે આખા દેશની અદાલતોની કુંડળી મંગાવી લીધી છે અને તમામ હાઈકોર્ટ પાસે અહેવાલ માંગ્યો છે કે કેટલા મહિનાઓ કે વર્ષોથી ચુકાદાઓ અનામત પડ્યા છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે ન્યાયતંત્રના આવા ઢીલા વલણ અને વિલંબના કારણે જનતાનો કોર્ટ-કચેરી પરથી ભરોસો સાવ ઉઠી ગયો છે, જેને બચાવવા માટે હવે મુદત પર મુદતની રાજનીતિ નહીં ચાલે.
આ પણ વાંચો:







