
Ken Betwa Project: વિકાસના નામે વિનાશ અને કરોડોનું આંધણ: પ્રધાનમંત્રી જે ₹૪૪ હજાર કરોડના ‘કેન-બેટવા પ્રોજેક્ટ’ માટે ઉતાવળા થયા છે, તેની અસલી કિંમત તો ગરીબ ગ્રામીણો અને પર્યાવરણ ચૂકવશે
કરોડોના આંધણ વચ્ચે પીએમનું દબાણ
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં નદીઓ જોડવાના મસમોટા પ્રોજેક્ટ્સના નામે જનતાના પરસેવાની કમાણીનું કરોડો રૂપિયાનું આંધણ કરવાની તૈયારીઓ ફરી તેજ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ₹૪૪,૬૦૦ કરોડના મહાકાય ‘કેન-બેટવા લિંક પ્રોજેક્ટ’ (Ken-Betwa Project) ને લઈને એક હાઈ-લેવલ બેઠક યોજી હતી. આ પ્રોજેક્ટના રસ્તામાં આવી રહેલા અસંખ્ય વહીવટી અને પર્યાવરણીય અવરોધોને અવગણીને પણ પ્રધાનમંત્રીએ સંબંધિત રાજ્યોને આદેશ આપ્યો છે કે ટૂંક સમયમાં તમામ આંતરિક વિવાદો ઉકેલીને પ્રોજેક્ટ પૂરો કરવા પર જ ફોકસ કરવામાં આવે. સરકારી તંત્ર ભલે આને વિકાસ કહેતું હોય, પરંતુ જમીની હકીકત એ છે કે આટલી મોટી રકમના પ્રોજેક્ટ પાછળ કોર્પોરેટ હિતો અને સરકારી જિદ વધારે દેખાઈ રહી છે.
નદીઓ જોડીને પાણી વાળવાની યોજના
આ આખી પરિયોજના પાછળ મધ્ય પ્રદેશની કેન (Ken) અને બેટવા (Betwa) નદીને એકબીજા સાથે જોડવાનું આયોજન છે. આ ભગીરથ અને ખર્ચાળ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹૪૪,૬૦૦ કરોડ આંકવામાં આવ્યો છે, જેમાંથી ૯૦ ટકા જેટલો જંગી હિસ્સો કેન્દ્ર સરકાર પોતાના ખિસ્સામાંથી એટલે કે દેશના કરદાતાઓની તિજોરીમાંથી આપવાની છે. આ યોજના હેઠળ કેન નદીના વધારાના પાણીને ડાયવર્ટ કરીને ઉત્તર પ્રદેશમાંથી પસાર થતી બેટવા નદી સુધી પહોંચાડવામાં આવશે. જબલપુર નજીક કૈમૂરની પહાડીઓમાંથી નીકળતી ૪૨૭ કિલોમીટર લાંબી કેન નદી અને મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાંથી નીકળતી ૫૭૬ કિલોમીટર લાંબી બેટવા નદી, આ બંને અંતે તો ઉત્તર પ્રદેશમાં જઈને યમુના નદીને જ મળે છે, પરંતુ તેમનો પ્રવાહ બદલવા સરકારી મશીનરી આતુર બની છે.
છતરપુરમાં રચાશે નવો વિવાદિત બંધ
સરકારી નકશા મુજબ, કેન અને બેટવા નદીને મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા ડોઢન ગામ પાસે લિંક કરવામાં આવશે. અહીં ગંગઊ બાંધની બિલકુલ ઉપર ‘ડોઢન બાંધ’ નામનો નવો મોટો ડેમ બનાવવામાં આવશે. એટલું જ નહીં, અહીં એક હાઇડ્રો પાવરહાઉસ પણ સ્થાપવામાં આવશે, જેનાથી ૭૮ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાનો દાવો કરાયો છે. આ પાણીને ઉત્તર પ્રદેશના ઝાંસી સુધી પહોંચાડવા માટે ૨૨૦ કિલોમીટર લાંબી વિશાળ નહેર (Canal) બનાવવામાં આવશે, જે ઝાંસીના ઐતિહાસિક બરુઆસાગર તળાવમાં પાણી છોડશે અને ત્યાંથી આ પાણી બેટવા નદી પર બનેલા પારીછા ડેમ સુધી પહોંચાડવામાં આવશે.
૬ લાખ હેક્ટરના નામે મોટો દાવો
આ પ્રોજેક્ટના નફા-નુકસાનના જે આંકડા સરકારે રજૂ કર્યા છે તે મુજબ, કેન નદીમાંથી આશરે 1074 MCM પાણી બેટવા તરફ વાળવામાં આવશે. આમાંથી ૨૬૬ MCM પાણી ૨૫૦ કિલોમીટર લાંબી મુખ્ય નહેરના રસ્તે આવતા મધ્ય પ્રદેશના પન્ના, ટીકમગઢ, છતરપુર તેમજ ઉત્તર પ્રદેશના ઝાંસી, બાંદા અને મહોબા જિલ્લાના ૬ લાખ હેક્ટર ખેતરોને સિંચાઈ માટે આપવાનો દાવો કરાયો છે. અન્ય વપરાશ બાદ વધેલું ૫૯૧ MCM પાણી બેટવા નદીમાં જશે, જ્યાં વધુ ૪ નવા બંધ બાંધીને વિદિશા અને રાયસેન જિલ્લામાં પાણીની વ્યવસ્થા સુધારવાની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે.
ગરીબોનું વિસ્થાપન અને વળતરમાં કૌભાંડ
કોઈપણ સરકારી પ્રોજેક્ટની જેમ આ યોજનામાં પણ સૌથી મોટો ભોગ સ્થાનિક ગરીબ ગ્રામીણો અને આદિવાસીઓનો લેવાઈ રહ્યો છે. આ લિંક પરિયોજનાના કારણે ૨૪ જેટલા હસતા-રમતા ગામડાઓ જમીનદોસ્ત થઈ જશે અને લોકોએ વિસ્થાપિત થવું પડશે. આ ૨૪ માંથી ૮ ગામો તો સંપૂર્ણપણે ડૂબ ક્ષેત્રમાં (Submergence Zone) આવી રહ્યા હોવાથી ત્યાંના ગ્રામીણો અને વહીવટી તંત્ર સામસામે આવી ગયા છે. બાકીના ૧૬ ગામો પન્ના ટાઇગર રિઝર્વ (Tiger Reserve) ક્ષેત્રના હોવાથી વાઘ અને વન્યજીવોનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ પ્રભાવિત ગ્રામીણોને જમીનના બદલામાં જે વળતરની રકમ આપવામાં આવી છે, તેમાં ભારે વિસંગતતાઓ અને ભ્રષ્ટાચારની ખામીઓ સામે આવી છે, જેને કારણે આખા પટ્ટામાં પ્રશાસન વિરૂદ્ધ જનઆક્રોશનો જ્વાળામુખી ફાટ્યો છે.
આ પણ વાંચો:







