
TMC MP Saugata Roy: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન પછી પણ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતાઓ પોતાની જૂની આદતો છોડવા તૈયાર નથી. ઉત્તર દમદમના બિશરપારા વિસ્તારમાં શાસક પક્ષ અને જનતા વચ્ચે ભારે તણાવ પેદા થયો છે. ટીએમસીના આઠ કાઉન્સિલરોના ઘરો પર હુમલો થયાનો હોબાળો મચાવીને કાયદો અને વ્યવસ્થાનો રાગ આલાપતા ટીએમસીના સાંસદ સૌગત રોય પોતે પક્ષના કાર્યકરોની ટોળકી લઈને નિમતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ કથિત ગુંડાગીરી સામે ફરિયાદ નોંધાવવા ગયેલા સાંસદને જનતાના ઉગ્ર આક્રોશનો ભોગ બનવું પડ્યું હતું. પોલીસ સ્ટેશનની બહાર જ જનતાએ તેમની સત્તાવાર ગાડીને ઘેરી લીધી હતી.
કરોડોના કૌભાંડીઓને જનતાએ લીધા આડેહાથ
બંગાળની જનતામાં ભ્રષ્ટાચારી નેતાઓ પ્રત્યે કેટલો ભયંકર આક્રોશ ભરેલો છે, તેનો નજારો નિમતા પોલીસ સ્ટેશનની બહાર જોવા મળ્યો હતો. સાંસદ સૌગત રોય જ્યારે પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને બહાર નીકળ્યા, ત્યારે ત્યાં હાજર પ્રદર્શનકારીઓએ સરેઆમ ‘ચોર-ચોર’ ના નારા લગાવી આખું વાતાવરણ ગજવી મૂક્યું હતું. ભ્રષ્ટાચારથી કંટાળેલી જનતાએ ટીએમસી નેતાઓની દાદાગીરીનો સણસણતો જવાબ આપતાં સૌગત રોયની ગાડી પર ઈંડા ફેંક્યા હતા. વર્ષો સુધી સત્તાના નશામાં ચૂર રહેલા નેતાઓને જનતાએ રસ્તા પર પોતાની ઓકાત બતાવી દીધી હતી.
ગાડી પર ઈંડા ફેંકાયા બાદ અને જનતા સામે સીધો સામનો થતાં જ ટીએમસી સાંસદના હોશ ઊડી ગયા હતા, પરંતુ પત્રકારો સામે તેઓ પોતાનો ડર છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. સૌગત રોયે મીડિયા સમક્ષ બચાવ મુદ્રા અપનાવતા કહ્યું કે, ‘મારા પર કોઈ વ્યક્તિગત હુમલો થયો નથી કે મને કોઈ ઈજા થઈ નથી. કોઈની હિંમત નથી કે મને સીધો હાથ પણ અડાડી શકે.’ જોકે, જનતાના આક્રોશથી ફફડી ગયેલા સાંસદે પોતાની આબરૂ બચાવવા માટે વિરોધ કરનારા સામાન્ય નાગરિકો અને વિપક્ષના કાર્યકરોને ‘લંપટ અને નીચલા સ્તરના તત્વો’ કહીને પોતાની ભડાશ કાઢી હતી.
પોલીસ સ્ટેશનમાં સેટિંગનું નાટક
સમગ્ર ઘટનાક્રમની વિગતો આપતા સૌગત રોયે સ્વીકાર્યું કે તેઓ પોતાના લોકસભા વિસ્તારમાં જ હાજર હતા અને ઉત્તર દમદમમાં ભાજપના કાર્યકરોએ તેમના કાઉન્સિલરોના ઘરોને નિશાન બનાવ્યા હોવાની માહિતી મળતા જ તેઓ સક્રિય થયા હતા. તેમણે જણાવ્યું કે, ‘પક્ષના કાર્યકરો પોલીસને ઔપચારિક આવેદનપત્ર આપવા માંગતા હતા, તેથી મેં પહેલાથી જ પોલીસને પ્લાનિંગ મુજબ જાણ કરી દીધી હતી.’ સાંસદે પોલીસ સ્ટેશનના ઓફિસર-ઈન-ચાર્જ (IC) સાથે બંધ બારણે લાંબી ચર્ચા કરી એફઆઈઆર (FIR) તો નોંધાવી દીધી, પરંતુ પોલીસ સ્ટેશનના આશ્રયે બેસીને સેટિંગ કરવાનું આ નાટક જનતાએ ખુલ્લું પાડી દીધું હતું.
ગુંડારાજના જનક હવે કાયદાના શરણે
જે પક્ષે વર્ષો સુધી બંગાળમાં વિપક્ષો અને સામાન્ય જનતા પર લોહિયાળ હિંસા અને ગુંડાગીરી આચરી છે, તે જ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ આજે સત્તા છીનવાઈ જતાં કાયદાના શરણે દોડી રહ્યા છે. સત્તામાં હતા ત્યારે પોલીસને કઠપૂતળી બનાવીને રાખનારા ટીએમસીના નેતાઓ આજે પોતાના જ કાઉન્સિલરોને બચાવવા માટે પોલીસ સ્ટેશનોના ચક્કર કાપી રહ્યા છે. બંગાળમાં બદલાયેલા સત્તાના સમીકરણો વચ્ચે હવે સામાન્ય જનતા પણ આ ડરપોક નેતાઓ સામે અવાજ ઉઠાવવા મેદાને આવી ગઈ છે, જેના કારણે ટીએમસીના કિલ્લામાં ભયનો માહોલ છે.
આ પણ વાંચો:







