
TMC Internal Crisis: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) પત્તાના મહેલની જેમ વિખરાઈ રહી છે. ગુરુવારે પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ રાજ્યસભા સાંસદ શાંતનુ સેને પદ પરથી રાજીનામું આપીને મમતા સરકારના પાપોનો પર્દાફાશ કર્યો છે. તેમણે આર જી કર મેડિકલ કોલેજમાં થયેલા ભયાનક બળાત્કાર-હત્યા પ્રકરણ (અભયા ઘટના) અને સરકારી નોકરીઓના વેચાણ સહિતના અધમ ભ્રષ્ટાચારનો હવાલો આપી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. આ પૂર્વે અન્ય એક મુખ્ય પ્રવક્તા અરૂપ ચક્રવર્તીએ પણ રાજીનામું ધરી દીધું હતું, જે દર્શાવે છે કે સત્તા જતાની સાથે જ ટીએમસીના નેતાઓ હવે ડૂબતા જહાજમાંથી કૂદી રહ્યા છે.
ભ્રષ્ટાચારના પાપે અંતરાત્મા જાગ્યો
ડૉક્ટર અને નેતા એવા શાંતનુ સેને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર મોકલીને સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, “બંગાળની જનતાએ આર.જી. કર હોસ્પિટલ પ્રકરણ અને નોકરીઓ વેચવાના કૌભાંડ જેવા અનૈતિક કૃત્યોના કારણે આપણને નકારી કાઢ્યા છે. મારો અંતરાત્મા હવે પ્રવક્તા તરીકે આવી બાબતોનો બચાવ કરવાની મંજૂરી આપતો નથી.” જનતાના ચુકાદા સામે નમ્રતાપૂર્વક ઝૂકીને તેમણે રાજીનામું આપ્યું છે. એટલું જ નહીં, બંગાળમાં સત્તા પરિવર્તન થતાં જ શાંતનુ સેને નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીને અભિનંદન પાઠવીને વહીવટીતંત્ર સાથે સંપૂર્ણ સહયોગ કરવાનો સંદેશો પણ મોકલી દીધો છે.
મમતાના ચમચાઓથી નેતાઓ પરેશાન
કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) માં પણ વિદ્રોહની જ્વાળા ભભૂકી ઉઠી છે. કાઉન્સિલરો સુશાંત ઘોષ (બોરો-૧૨ પ્રમુખ) અને અરૂપ ચક્રવર્તી (હિસાબ સમિતિ પ્રમુખ) એ બુધવારે પક્ષના નેતૃત્વ પર સણસણતા આક્ષેપો કરીને રાજીનામા આપી દીધા છે. અરૂપ ચક્રવર્તીએ પક્ષના અહંકારી નેતાઓને અરીસો બતાવતા કહ્યું કે, “ચૂંટણીની હાર સ્વીકારવી જ પડશે. વર્ષો સુધી અમે મુખ્યમંત્રીને મળી પણ શક્યા નથી, કારણ કે તેમની આસપાસ ચમચાઓની ટોળકી કિલ્લો બનાવીને બેઠી હતી. હાર થતાં જ એ બધા રસ્તાઓ પરથી ગાયબ થઈ ગયા છે.” બંને નેતાઓએ આક્ષેપ કર્યો કે કારમી હાર બાદ વરિષ્ઠ મંત્રીઓ અને પ્રભાવશાળી નેતાઓ જનતા અને કાર્યકરોને મૂકીને સંપર્ક વિહોણા થઈ ગયા છે.
ગઢ ગણાતા વિસ્તારો પણ ધ્વસ્ત
તૃણમૂલ કોંગ્રેસનો સૌથી સુરક્ષિત ગઢ ગણાતા ભવાનીપુર વિસ્તારમાં પણ પક્ષના નબળા પ્રદર્શનથી ભારે અસંતોષ ફેલાયો છે, જેના કારણે કાઉન્સિલર દેબોલીના બિસ્વાસે બોરો-૯ ના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તૃણમૂલના નેતાઓએ હવે પક્ષ પલટાના સંકેતો આપવાનું શરૂ કરી દીધું છે. રાજીનામું આપનારા નેતાઓએ હિંસા અને વિસ્થાપનનો ભોગ બનેલા ટીએમસીના જ સમર્થકોને હેમખેમ ઘરે પરત લાવવામાં મદદ કરવા બદલ ભાજપ (BJP) સરકારનો સત્તાવાર આભાર માન્યો છે. આ નિવેદન બંગાળની રાજનીતિમાં બહુ મોટા ઉલટફેર તરફ ઈશારો કરે છે.
૬૦ કાઉન્સિલરોના સામુહિક રાજીનામા
મમતા બેનર્જી માટે સૌથી મોટો ઝટકો એ છે કે પક્ષના વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે તાજેતરમાં જ પક્ષના તમામ પદો પરથી રાજીનામું આપીને હાઈકમાન્ડને જોરદાર લપડાક મારી છે. બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ અત્યાર સુધીમાં નગરપાલિકાઓના ઓછામાં ઓછા ૬૦ તૃણમૂલ કાઉન્સિલરોએ પદો પરથી રાજીનામા આપી દીધા છે અથવા પક્ષની પ્રવૃત્તિઓથી છેડો ફાડી લીધો છે. ઘણા ધારાસભ્યો અને નેતાઓએ મમતા બેનર્જી દ્વારા બોલાવવામાં આવેલી કટોકટીની બેઠકોનો બહિષ્કાર કરીને બળવો પોકાર્યો છે. રાજ્યની ૧૨૮ માંથી ૧૨૫ નગરપાલિકાઓ પર સત્તા હોવા છતાં ટીએમસીના પાયાના નેતાઓ જે રીતે પક્ષ છોડી રહ્યા છે, તે મમતા બેનર્જીની સરમુખત્યારશાહીના અંતની શરૂઆત છે.
આ પણ વાંચો:








