
Udhayanidhi Stalin: તમિલનાડુના રાજકારણમાં વર્ષો જૂના પક્ષીય સમીકરણો અચાનક બદલાઈ ગયા છે અને સાથી પક્ષો વચ્ચે ભયાનક વૈચારિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) ના વરિષ્ઠ નેતા, યુવા પાંખના સચિવ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી ઉધયનિધિ સ્ટાલિને શનિવાર, ૨૩ મેના રોજ કોંગ્રેસ પક્ષ વિરૂદ્ધ અત્યાર સુધીનું સૌથી આક્રમક નિવેદન આપીને રાજકીય જગતને ચોંકાવી દીધું છે. કોંગ્રેસના કથિત તકવાદી અને સ્વાર્થી રાજકારણ પર આકરા પ્રહારો કરતા તેમણે ખુલ્લેઆમ કહી દીધું છે કે, ‘કોંગ્રેસ પક્ષ પર હવે ભવિષ્યમાં ક્યારેય પણ ભરોસો કરવો જોઈએ નહીં.’ વાસ્તવમાં, કોંગ્રેસ પક્ષ તમિલનાડુમાં ડીએમકેની આગેવાની હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સ (SPA) નો સત્તાવાર સભ્ય હોવા છતાં, તેણે પોતાના સૌથી મોટા સાથી પક્ષ ડીએમકે સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કે પરામર્શ કર્યા વિના જ વિરોધી પક્ષ તમિલગા વેટ્ટરી કઝગમ (TVK) ને રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે પોતાનું રાજકીય સમર્થન જાહેર કરી દીધું છે.
કોંગ્રેસમાં કૃતજ્ઞતા અને શિષ્ટાચારનો સદંતર અભાવ
ચેન્નાઈમાં આયોજિત ડીએમકે (DMK) યુવા પાંખની એક અત્યંત મહત્વની બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે ઉધયનિધિ સ્ટાલિને પોતાનો બધો જ આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે પક્ષના પાયાના કાર્યકર્તાઓને સ્પષ્ટ સૂચના આપતા કહ્યું કે, કોંગ્રેસ પક્ષમાં હવે “ન્યૂનતમ રાજકીય શિષ્ટાચાર અને કૃતજ્ઞતા” નો પણ સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. આથી, ડીએમકેના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓએ એ વાત મગજમાં બરાબર ફિટ કરી લેવી જોઈએ કે ભવિષ્યમાં રચાનારા કોઈપણ રાજકીય જોડાણ કે ગઠબંધનમાં કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ ન મૂકવો અને તેને ગઠબંધનનો હિસ્સો પણ ન બનાવવો.
ભાજપની જીતનું અસલી કારણ પીએમ મોદી કે અમિત શાહ નથી, પરંતુ ખુદ કોંગ્રેસની નાકામી છે
કોંગ્રેસની દેશભરમાં થઈ રહેલી ચૂંટણીકીય નિષ્ફળતાઓની આકરી મજાક ઉડાવતા ઉધયનિધિ સ્ટાલિને એક મોટો કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “હું અત્યાર સુધી એવું જ દ્રઢપણે માનતો હતો કે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સતત થઈ રહેલી જીત પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ચાણક્ય નીતિ જવાબદાર છે. પરંતુ, હવે મને વાસ્તવિકતા સમજાઈ ગઈ છે કે ભાજપની જીતનું અને દેશની આ દુર્દશાનું અસલી તેમજ મુખ્ય કારણ પીએમ મોદી નથી, પરંતુ ખુદ કોંગ્રેસ પક્ષની નબળાઈ અને તેની નાકામી છે.”
પોતાના પક્ષની મહેનત યાદ અપાવતા ઉધયનિધિએ ભાવુક થઈને કહ્યું કે, આપણા સર્વોચ્ચ નેતા એમ. કે. સ્ટાલિને અગાઉની તમામ સંસદીય અને વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ ડૂબી ન જાય તે માટે તેને પોતાના ખભા પર બેસાડ્યો હતો. તમિલનાડુની ધરતી પર બિનસાંપ્રદાયિકતા બચાવવા અને ભાજપ જેવા પક્ષોને પ્રવેશતા અટકાવવા માટે ડીએમકેના લાખો કાર્યકર્તાઓએ રાત-દિવસ જોયા વગર કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા પોતાનું લોહી અને આંસુ વહાવ્યા હતા. તાજેતરની ચૂંટણીમાં પણ જ્યારે કોંગ્રેસના નેતાઓ પ્રચાર દરમિયાન ગ્રાઉન્ડ મેદાનમાંથી ગાયબ હતા, ત્યારે આપણા જ કાર્યકર્તાઓની મહેનતના લીધે કોંગ્રેસ ૫ બેઠકો જીતી શકી છે. જનતાએ ડીએમકેના પ્રમુખને મુખ્યમંત્રી બનાવવા માટે મતો આપ્યા હતા અને તે મતોના જોરે કોંગ્રેસીઓ જીત્યા, પરંતુ સત્તાની લાલચમાં તેઓ આપણને જણાવ્યા વગર જ અચાનક આપણો સાથ છોડીને ભાગી ગયા. અમે તેમને સબક ભણાવીએ કે ન ભણાવીએ, પણ તમિલનાડુની જનતા ટૂંક સમયમાં જ આ વિશ્વાસઘાતનો તેમને પાઠ ભણાવશે.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને તમિલનાડુમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કોઈ પણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા રાજ્યમાં ‘ત્રિશંકુ વિધાનસભા’ ની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ રાજકીય કટોકટીનો લાભ ઉઠાવીને માત્ર ૫ બેઠકો જીતનારી કોંગ્રેસે તાત્કાલિક સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સ (SPA) સાથેના પોતાના વર્ષો જૂના સંબંધો એક ઝાટકે તોડી નાખ્યા હતા અને રાજ્યમાં સરકાર બનાવવા માટે તમિલગા વેટ્ટરી કઝગમ (TVK) પક્ષને બિનશરતી ટેકો આપી દીધો હતો. ડીએમકેએ કોંગ્રેસના આ પગલાને ઘોર વિશ્વાસઘાત ગણાવીને તેમને “પીઠમાં છરો ભોંકનારા નેતાઓ” તરીકે નવાજ્યા છે. જો કે, આ ગઠબંધનના અન્ય સાથી પક્ષો જેવા કે વીસીકે (VCK) અને આઈયુએમએલ (IUML) પણ આખરે સ્વાર્થ ખાતર નવી ટીવીકે સરકારમાં જોડાઈ ગયા છે, પરંતુ તેમણે આ મોટો નિર્ણય લેતા પહેલા શિષ્ટાચાર ખાતર ડીએમકે પક્ષ સાથે સત્તાવાર પરામર્શ કર્યો હતો, જ્યારે કોંગ્રેસે અંધારામાં રાખીને દગો કર્યો.
આ પણ વાંચો:







