
એસ. સોમનાથની નિવૃત્તિ બાદ કેન્દ્ર સરકારે વી. નારાયણને ઈસરોના વડા તરીકે નિયુક્ત કર્યા છે. વી. નારાયણ હવે ઈસરોના નવા અધ્યક્ષ બન્યા છે. 14 જાન્યુઆરીએ ISROના ચીફ એસ. સોમનાથનું સ્થાન લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર, વી. નારાયણ 1984માં ISROમાં જોડાયા હતા અને LPSCના ડાયરેક્ટર બનતા પહેલા અનેક પદો પર સેવા આપી ચૂક્યા છે. ચાલો હવે જાણીએ કે નવા ISRO ચીફ વી. નારાયણનો અભ્યાસ અને લાયકાત શું છે?
અનેક ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી
વી. નારાયણનની પ્રારંભિક કારકિર્દી દરમિયાન, તેમણે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર(VSSC) ખાતે સાઉન્ડિંગ રોકેટ અને ઓગમેન્ટેડ સેટેલાઇટ લોંચ વ્હીકલ (ASLV) અને પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ(PSLV)ના સોલિડ પ્રોપલ્શન એરિયામાં કામ કર્યું હતું. નારાયણ અગાઉ લિક્વિડ સપ્લાય સિસ્ટમ સેન્ટર(LPSC)ના ડિરેક્ટર હતા. નારાયણ છેલ્લા 4 દાયકાથી રોકેટ અને સ્પેસક્રાફ્ટ પ્રોપલ્શનના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરી રહ્યા છે. તેમણે એબ્લેટિવ નોઝલ સિસ્ટમ, કોમ્પોઝિટ મોટર કેસ અને કોમ્પોઝિટ ઇગ્નીટર કેસની પ્રક્રિયાના આયોજન, નિયંત્રણ અને અમલીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વધુમાં, નારાયણે ISROના પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) જેવા મોટા રોકેટ લોન્ચ પર કામ કર્યું છે.
વી. નારાયણે IIT ખડગપુરમાંથી ક્રાયોજેનિક એન્જિનિયરિંગમાં પ્રથમ રેન્ક સાથે M.Tech ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત તેમણે વર્ષ 2001માં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પીએચડી પણ કર્યું છે. વી. નારાયણને M.Techમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ IIT ખડગપુર તરફથી સિલ્વર મેડલ મળ્યો હતો. એરોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યો હતો.
ઘણા એવોર્ડ મેળવ્યા છે
રોકેટ અને રિલેટેડ ટેક્નોલોજી માટે ASI એવોર્ડ, હાઇ એનર્જી મટીરીયલ્સ સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી ટીમ એવોર્ડ, એક્સેલન્સ એવોર્ડ અને પરફોર્મન્સ એક્સેલન્સ એવોર્ડ અને ISRO તરફથી ટીમ એક્સેલન્સ એવોર્ડ મેળવ્યો. આ ઉપરાંત, તેમને સત્યબામા યુનિવર્સિટી, ચેન્નાઈ તરફથી ડોક્ટર ઓફ સાયન્સની માનદ પદવી (માનદ પદવી) પણ આપવામાં આવી છે.
તેમને IIT ખડગપુર તરફથી પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરસ્કાર-2018, ઈન્સ્ટિટ્યુશન ઑફ એન્જિનિયર્સના નેશનલ ડિઝાઈન એન્ડ રિસર્ચ ફોરમ તરફથી નેશનલ ડિઝાઈન એવોર્ડ-2019 અને એરોનોટિકલ સોસાયટી ઑફ ઈન્ડિયા(AESI) તરફથી નેશનલ એરોનોટિકલ પ્રાઈઝ-2019 એનાયત કરાયો છે.
આ સમાચાર પણ વાંચોઃ ARVALLI: વિદ્યાર્થીએ આપઘાત કરતાં શિક્ષક સામે ગુનો નોંધાયો