
CIA: વિશ્વ જમાદારની ભૂમિકા ભજવતા અમેરિકાનું ગુપ્તચર વિભાગ હવે પહેલા જેવું સક્ષમ નથી રહ્યુ અને “દિવા તળે અંધારું” જેવી હકીકત દુનિયા સમક્ષ છતી થઈ છે બીજા દેશોમાં શુ ચાલુ રહ્યું છે તેની પંચાતમાં પોતાના જ દેશમાં જે બન્યું તે અત્યંત ચોંકાવનારુ છે અને તે વાત છે અમેરિકામાં છેલ્લા ત્રણ વર્ષમાં પરમાણુ અને અંતરિક્ષ સંશોધન સાથે જોડાયેલા 10 વૈજ્ઞાનિકોના રહસ્યમય રીતે ગુમ થવા અથવા ભેદી મોત થઈ જવાના અહેવાલો.
દેશના અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ ગણી શકાય એવી આ બાબતથી CIA અને FBI જેવી એજન્સીઓ કેમ બેખબર રહી તે ખૂબજ અજીબ કહી શકાય અને શક્તિશાળી ગણાતા આ ગુપ્તચર વિભાગની કામગીરી ઉપર પણ સવાલો ઉઠ્યા છે બની શકે કે CIA અને FBI જેવી એજન્સીઓ વૈજ્ઞાનિકોના ગુમ થવા કે રહસ્યમય મોત મામલે ‘અજાણ’ હોવાના દેખાવ પણ કરતા હોય તેની પાછળ અનેક સુરક્ષાત્મક, રાજકીય અને ટેકનિકલ કારણો જવાબદાર હોઈ શકે છે.
આ વૈજ્ઞાનિકો એવા પ્રોજેક્ટ્સ પર કામ કરતા હતા જે અમેરિકાની પરમાણુ ક્ષમતા (Nuclear Deterrence) અને અંતરિક્ષ પ્રભુત્વ (Space Dominance) સાથે જોડાયેલા હતા. આવી સંવેદનશીલ બાબતોમાં એજન્સીઓ ઘણીવાર તપાસ ચાલુ હોવા છતાં જાહેરમાં કંઈપણ કહેવાનું ટાળે છે જેથી દુશ્મન દેશોને કોઈ સંકેત ન મળે.
■એજન્સીઓની જવાબદારી
વ્હાઇટ હાઉસે તાજેતરમાં સ્વીકાર્યું છે કે તેઓ સંબંધિત એજન્સીઓ પાસેથી રિપોર્ટ માંગી રહ્યા છે, જે સૂચવે છે કે આંતરિક રીતે તપાસ ચાલી રહી હોઈ શકે છે વર્ષ 2024 થી અત્યાર સુધીમાં પરમાણુ રહસ્યો જાણતા 5 વૈજ્ઞાનિકો ગુમ થયા છે અને 5 વૈજ્ઞાનિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે મોટાભાગના કિસ્સાઓમાં વૈજ્ઞાનિકો પોતાના ઘરે મોબાઇલ, વોલેટ, ચાવી અને ચશ્મા જેવી અંગત વસ્તુઓ છોડીને નીકળ્યા હતા અને ત્યારબાદ ક્યારેય પાછા ફર્યા નથી.
■નુનો લુરેઇરોનો કિસ્સો
ગુમ થયેલા લોકોમાં નુનો લુરેઇરો (Nuno Loureiro) નામના જાણીતા ન્યુક્લિયર ફિઝિસિસ્ટનો સમાવેશ થાય છે, જેઓ ન્યુક્લિયર ફ્યુઝન પર મહત્વનું કાર્ય કરી રહ્યા હતા વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે (Karoline Leavitt) આ મામલે તપાસ કરવાની ખાતરી આપી છે. તેમણે પત્રકાર પીટર ડૂસીના સવાલના જવાબમાં જણાવ્યું કે સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને સુરક્ષા એજન્સીઓ સાથે વાત કરશે.
■ષડયંત્રની આશંકા
આ વૈજ્ઞાનિકો પાસે અત્યંત સંવેદનશીલ પરમાણુ અને અંતરિક્ષ માહિતી હતી, જેથી અમેરિકા વિરુદ્ધ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવાની આશંકા સેવાઈ રહી છે પણ આખરે સવાલ એ થાય કે જગત જમાદારને પોતાનાજ દેશના સિક્રેટ ફોર્મ્યુલા જાણતા વૈજ્ઞાનિકો કેવી રીતે ગુમ થયા તેની ખબર કેમ ન પડી?
નિષ્ણાતો માને છે કે જો કોઈ વિદેશી તાકાત આમાં સામેલ હોય, તો તે એજન્સીઓ માટે “સુરક્ષામાં મોટું ગાબડું” (Security Breach) ગણાય, જેને સ્વીકારવામાં એજન્સીઓ ખચકાય છે.
■ ભારતમાં પણ પરમાણુ કાર્યક્રમ જાણતા બે વૈજ્ઞાનિકોના ભેદી મોત થયા હતા જેની સોય અમેરિકા તરફ તકાયેલી રહી છે.
હાલમાં જે રીતે અમેરિકામાં વૈજ્ઞાનિકોના ભેદી મોત અને ગુમ થવાનો મામલો સામે આવ્યો છે તેજ રીતે ભારતના પરમાણુ અને અવકાશ કાર્યક્રમના પિતા ગણાતા ડૉ. હોમી જહાંગીર ભાભા અને ડૉ. વિક્રમ સારાભાઈ બંનેના રહસ્યમય મોત પાછળ અમેરિકન ગુપ્તચર એજન્સી CIA (Central Intelligence Agency) નો હાથ હોવાની થિયરીઓ લાંબા સમયથી ચર્ચામાં રહી છે આ ઘટના તા.૨૪ જાન્યુઆરી ૧૯૬૬ નારોજ બની હતી જેમાં ડૉ. ભાભાનું નિધન એર ઈન્ડિયાની ફ્લાઈટ 101 ક્રેશ થવાથી આલ્પ્સ પર્વતમાળા પર થયું હતું આ ઘટનામાં પાછળથી ષડ્યંત્રનો દાવો કરવામાં આવ્યો હતો.
ગ્રેગરી ડગ્લાસના પુસ્તક “Conversations with the Crow” માં એવો દાવો કરવામાં આવ્યો છે કે CIA ના તત્કાલીન અધિકારી રોબર્ટ ક્રાઉલીએ સ્વીકાર્યું હતું કે, ભારતને પરમાણુ શક્તિ બનતું રોકવા માટે ભાભાનું પ્લેન ક્રેશ કરાવવામાં આવ્યું હતું કારણ કે ભાભાએ નિધનના થોડા સમય પહેલા જ જાહેરાત કરી હતી કે ભારત ૧૮ મહિનામાં પરમાણુ બોમ્બ બનાવી શકે છે ત્યારબાદ તેઓનું ભેદી મોત થઈ ગયાનું કહેવાય છે.
જ્યારે બીજા વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ તા.૩૦ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ ત્રિવેન્દ્રમના કોવલમ બીચ રિસોર્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા તેઓના આ ભેદી મોત મામલે ષડ્યંત્રનો દાવો કરવામાં આવ્યો હતો તેમના નિધન બાદ કોઈ પણ પ્રકારનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ન હતું, જે આ ઘટનાને વધુ શંકાસ્પદ બનાવે છે. ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણન અને અન્ય વિશ્લેષકો માને છે કે ભારતના અવકાશ કાર્યક્રમને નબળો પાડવા માટે આ એક આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર હોઈ શકે છે આમ, હોમી ભાભાની જેમ જ, સારાભાઈનું મોત પણ અચાનક અને રહસ્યમય સંજોગોમાં થયું હતુ જેનું રહસ્ય આજેપણ અકબંધ છે.
આજ પેટર્ન અમેરિકામાં બની છે જેમાં કોણ સામેલ છે ? અને સાચી હકીકત શુ હતી ? તે અંગે રહસ્યના તાણાવાણા સર્જાયા છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







