
Abhishek Banerjee Sonarpur Attack: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ સત્તાના જોરે વિપક્ષનો અવાજ કચડી નાખવાની શાસક પક્ષ ભાજપની નીતિ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. શનિવારે સોનારપુર વિસ્તારમાં ચૂંટણી પછીની હિંસાથી પીડિત પરિવારોની મુલાકાતે ગયેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અને લોકસભા સાંસદ અભિષેક બેનર્જી પર ધોળા દિવસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરોએ કાયદાનો કોઈ ડર રાખ્યા વિના સાંસદ પર પથ્થર, ઇંડા અને પગરખાં ફેંક્યા હતા અને તેમને બેરહેમીથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સાબિત કરે છે કે બંગાળમાં હવે વિપક્ષી નેતાઓ પણ સુરક્ષિત નથી. હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા અભિષેક બેનર્જીને કોલકાતાની હોસ્પિટલમાં આઈટીયુ (ITU) માં દાખલ કરવા પડ્યા છે.
‘ચોર-ચોર’ ના નારા અને પથ્થરમારો કરવાનું પૂર્વઆયોજિત કાવતરું
મીડિયા રિપોર્ટ્સ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સોનારપુર નગરપાલિકાના વિવેકાનંદનગર વોર્ડ નંબર ૯ માં જ્યારે અભિષેક બેનર્જી હિંસાનો ભોગ બનેલા સંજુ કર્મકારના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા, ત્યારે ભાજપ પ્રાયોજિત ગુંડાઓએ તેમને ઘેરી લીધા હતા. ભીડ દ્વારા ‘ચોર-ચોર’ ની બૂમો પાડીને વાતાવરણને ઇરાદાપૂર્વક ઉશ્કેરવામાં આવ્યું અને અચાનક ભારે પથ્થરમારો શરૂ કરી દેવાયો. અભિષેક બેનર્જીએ પોતે ખુલાસો કર્યો છે કે ગુંડાઓને સવારના ૧૧ વાગ્યાથી જ નજીકના એક કોમ્યુનિટી હોલમાં હથિયારો અને પથ્થરો સાથે વ્યવસ્થિત રીતે તૈનાત કરવામાં આવ્યા હતા. જો તેમણે માથા પર હેલ્મેટ ન પહેર્યું હોત તો તેમનું માથું ફાટી ગયું હોત અને કદાચ તેમનો જીવ પણ ચાલ્યો ગયો હોત.
સરકારી હોસ્પિટલો પર દર્દીને ન રાખવાનું સત્તાવાળાઓનું ભારે દબાણ
હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં અભિષેક બેનર્જીને પહેલા એપોલો હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ટીએમસી સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના ખબર-અંતર પૂછવા પહોંચ્યા હતા. પરંતુ સરકારી તંત્ર કઈ હદ સુધી ક્રૂર બની શકે છે તેનો પુરાવો ત્યારે મળ્યો જ્યારે તેમને અચાનક બેલે વ્યુ હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડ્યા. ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયને સનસનાટીપૂર્ણ આક્ષેપ કર્યો છે કે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલો પર ગંભીર દબાણ લાવવામાં આવી રહ્યું હતું કે તેઓ અભિષેક બેનર્જીને દાખલ ન કરે અને સારવાર ન આપે. મેડિકલ સ્ટાફને ધમકાવવામાં આવી રહ્યો હોવાથી દર્દીની સુરક્ષા માટે હોસ્પિટલ બદલવી પડી હતી અને અત્યારે બીજી હોસ્પિટલ પર પણ આવું જ દબાણ કરાઈ રહ્યું છે.
રાજ્ય સરકારની મિલીભગત અને પોલીસની શંકાસ્પદ નિષ્ક્રિયતા
સાંસદ અભિષેક બેનર્જીએ આ આખી ઘટના માટે સીધો રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ તંત્ર પર મિલીભગતનો આરોપ લગાવ્યો છે. ઘટના સમયે તેમની સાથે હાજર બે સુરક્ષા અધિકારીઓ સતત વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ફોન કરીને વધારાની ફોર્સ મોકલવા વિનંતી કરી રહ્યા હતા, છતાં કલાકો સુધી કોઈ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો નહોતો. અભિષેક બેનર્જીએ આક્રોશપૂર્વક કહ્યું કે, “ઉચ્ચ અધિકારીઓ અને સરકાર પોતે જ એવું ઈચ્છતા હતા કે આ હિંસા ચાલુ રહે અને અહીં મારા સહિત ૨-૪ વધુ લોકોના મોત થાય. તેઓ મને જાનથી મારી નાખવા માંગે છે, પરંતુ મારો સંકલ્પ મજબૂત છે અને હું ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત લડીશ.”
કેન્દ્રીય દળોએ બચાવ્યા પણ ભાજપ નેતાઓનો બેશરમ બચાવ
આ ભયાનક હિંસાનો વિડીયો એએનઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સુરક્ષાકર્મીઓ ઘેરાયેલા અભિષેક બેનર્જીને માંડ-માંડ બચાવીને બહાર કાઢી રહ્યા છે. ચૂંટણી પૂરી થયાના ૨૫ દિવસ પછી સાંસદનો આ પહેલો જ જાહેર કાર્યક્રમ હતો. આ ઘટના અંગે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે હુમલાની ઉપરછલ્લી નિંદા કરવાની સાથે બેશરમીપૂર્વક એવું નિવેદન આપ્યું કે, ‘બંગાળની જનતામાં ટીએમસી અને અભિષેક સામે ભારે આક્રોશ છે’. જ્યારે ભાજપ નેતા શહઝાદ પૂનાવાલાએ આને આત્મચિંતનનો વિષય ગણાવી જનતાના આક્રોશને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ટીએમસી સાંસદ સૌગત રોયે જણાવ્યું કે ચૂંટણીમાં ભાજપની તરફેણ કરનારા કેન્દ્રીય દળોએ આજે પોતાની ફરજ સમજીને અભિષેકને બચાવ્યા તે સારું થયું, પરંતુ જમીન પર ભાજપના ગુંડાઓ ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે.
વિપક્ષના અવાજને દબાવવા માટે સમન્સનું પોલિટિકલ ટૂલ
બરાબર એ જ શનિવારે જ્યારે અભિષેક બેનર્જી પર હુમલો થયો, ત્યારે જ રાજ્યની સીઆઈડી (CID) એ પણ તેમના કાલીઘાટ રોડ સ્થિત ઘરે જઈને એક જૂના કેસમાં સોમવારે પૂછપરછ માટે હાજર થવાનું સમન્સ બજાવી દીધું હતું. આ સમન્સ વિધાનસભા સચિવાલયના એક પત્રમાં વિપક્ષના નેતા તરીકે શોભનદેબ ચટ્ટોપાધ્યાયના સમર્થન માટે ધારાસભ્યોની ‘ખોટી સહીઓ’ કરવાના કેસ સંદર્ભે મોકલાયું છે. ભવાની ભવન હેડક્વાર્ટરમાં હાજર થવાના આ સમન્સ અને તે જ દિવસે થયેલા હુમલાના ટાઈમિંગ પરથી સ્પષ્ટ થાય છે કે વિપક્ષી નેતાને શારીરિક અને કાનૂની એમ બંને રીતે હેરાન કરીને તોડી પાડવા માટે સરકારી મશીનરીનો દુરુપયોગ થઈ રહ્યો છે.
લોકશાહીના ખૂન સામે દેશભરના વિપક્ષી દળોમાં આક્રોશ
આ ઘાતકી હુમલા બાદ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ X પર વિડીયો શેર કરતા આકરા શબ્દોમાં લખ્યું કે, “શાસક જ હવે હત્યારા બની ગયા છે. ભાજપ પર શરમ આવવી જોઈએ.” લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ આ ઘટનાને લોકશાહી પર સીધો હુમલો ગણાવતા કહ્યું કે, એક ચૂંટાયેલા સાંસદ પર હુમલો એ જનતા અને આપણા સાઝા વારસા પર હુમલો છે અને આ ભાજપની બદલાની રાજનીતિનું વરવું સ્વરૂપ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ પૂરતી સુરક્ષા ન આપવા બદલ ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી અને આને વિપક્ષને ખતમ કરવાનું એક મોટું કાવતરું ગણાવ્યું હતું.
આ પણ વાંચો:
Narendra Modi: મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી ઈટાલિયન ગાંધીની- MODI – thegujaratreport.com
Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે? – thegujaratreport.com







