
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશના રાજકારણમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા એક મોટી હલચલ જોવા મળી રહી છે. સત્તાના ગલિયારાઓમાં એવી ચર્ચાઓ છે કે શું ભાજપનું વર્ષોથી અજેય ગણાતું સામાજિક સમીકરણ હવે કમજોર પડી રહ્યું છે? આ ચર્ચાનો મુખ્ય કેન્દ્રબિંદુ 17 જૂને સમાજવાદી પાર્ટી દ્વારા આયોજિત ‘બ્રાહ્મણ સભા’ છે. પ્રદેશમાં બ્રાહ્મણ સમુદાયની વસ્તી માત્ર 10 થી 11 ટકા આંકવામાં આવે છે, પરંતુ તેમનો રાજકીય પ્રભાવ તેમની સંખ્યા કરતા ક્યાંય વધારે છે. સરકાર બનાવવી હોય કે પાડવી, યુપીના રાજકારણમાં બ્રાહ્મણ હંમેશા ‘કિંગમેકર’ની ભૂમિકામાં રહ્યા છે. હવે સપાએ ભગવાન પરશુરામને નવા રાજકીય પ્રતીક તરીકે અપનાવીને અને જનેશ્વર મિશ્ર જેવા નેતાઓને બ્રાહ્મણ આઈકોન તરીકે રજૂ કરીને ભાજપની વોટબેંકમાં ગાબડું પાડવાની રણનીતિ ઘડી છે. શું આ માત્ર એક રાજકીય નાટક છે કે પછી ભાજપના પતનનો પાયો?
ભાજપનું ‘ડેમેજ કંટ્રોલ’ અને નેતાઓની બેચેની
સમાજવાદી પાર્ટીની આક્રમક રણનીતિને જોઈને ભાજપ હાઈકમાન્ડમાં પણ બેચેની સ્પષ્ટ વર્તાઈ રહી છે. યાદ કરો ડિસેમ્બર 2021નો એ સમય, જ્યારે બ્રાહ્મણોની વધતી નારાજગીને ડામવા માટે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘરે તાબડતોબ બેઠક બોલાવવી પડી હતી. ત્યારે શિવ પ્રતાપ શુક્લાના નેતૃત્વમાં એક ડેમેજ કંટ્રોલ કમિટી બનાવાઈ હતી. સવાલ એ થાય છે કે જ્યારે યોગી સરકારમાં 10 બ્રાહ્મણ મંત્રીઓ હોય અને વિધાનસભામાં ભાજપના 46 બ્રાહ્મણ ધારાસભ્યો હોય, ત્યારે પાર્ટીએ અલગથી મનાવવાની કવાયત કેમ કરવી પડી? જિતિન પ્રસાદને કોંગ્રેસમાંથી લાવીને મંત્રી બનાવાયા, દિનેશ શર્મા, બ્રજેશ પાઠક જેવા ચહેરાઓને આગળ કરાયા, છતાં બ્રાહ્મણો ભાજપથી કેમ અંતર વધારી રહ્યા છે? કદાચ ભાજપનો ‘ઠાકુર વર્ચસ્વ’નો લેબલ હવે સામાન્ય જનતા અને સવર્ણ સમાજને ખૂંચી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
ઐતિહાસિક બદલાવ: 1989 પછી બ્રાહ્મણ મુખ્યમંત્રી કેમ નહીં?
યુપીના રાજકીય ઈતિહાસ પર નજર નાખીએ તો 1989 સુધી આ રાજ્યે છ બ્રાહ્મણ મુખ્યમંત્રી આપ્યા હતા. મંડલ આંદોલન પછી પછાત વર્ગોનો ઉદય થયો અને બ્રાહ્મણોની સત્તા પકડ ઢીલી પડી. નારાયણ દત્ત તિવારી પછી કોઈ બ્રાહ્મણ મુખ્યમંત્રી બન્યો નથી. રામ મંદિર આંદોલન વખતે ભાજપે બ્રાહ્મણોને ફરી જોડી દીધા અને સત્તાનો સ્વાદ ચાખ્યો. પરંતુ, શું હવે મતદારો ભાજપના ‘હિન્દુત્વ’ના નામ પર થતા આ શોષણને સમજી ગયા છે? 2022માં 273 બેઠકો જીતનાર ભાજપની લોકસભા 2024માં વારાણસી અને અયોધ્યા જેવા પવિત્ર સ્થળોએ મળેલી હાર એ સાબિત કરે છે કે પવનની દિશા બદલાઈ રહી છે. સમાજવાદી પાર્ટીનું ‘પીડીએ’ (PDA) સૂત્ર ભાજપના આક્રમક હિન્દુત્વના કિલ્લાને તોડવામાં સફળ રહ્યું છે.
બ્રાહ્મણ વોટબેંકના અલગ-અલગ સ્તર
બ્રાહ્મણ સમાજને એક સિક્કાની બે બાજુ ગણવાની ભૂલ કદાચ ભાજપને ભારે પડી શકે છે. અહીં ત્રણ મુખ્ય સ્તર છે. પ્રથમ, રાજકીય રીતે અત્યંત સશક્ત પરિવાર, જેનો સત્તા સાથે વર્ષોનો નાતો છે. આ વર્ગ પોતાની સગવડ મુજબ પક્ષ બદલે છે. બીજો, શિક્ષિત અને વ્યાવસાયિક વર્ગ જે નોકરી કે સંગઠનો સાથે જોડાયેલો છે. આ વર્ગ લાંબા સમય સુધી ભાજપ અને આરએસએસની વિચારધારાથી પ્રભાવિત રહ્યો છે. ત્રીજો અને સૌથી મોટો વર્ગ એ છે જે આર્થિક રીતે નબળો છે. આ વર્ગને સત્તાના મોટા વાયદાઓમાં રસ નથી, તેમને જોઈએ છે સ્થાનિક વિકાસ અને સન્માન. હવે જ્યારે આ ગરીબ બ્રાહ્મણ વર્ગ અનુભવી રહ્યો છે કે તેમને માત્ર ‘વોટ બેંક’ તરીકે વાપરવામાં આવે છે, ત્યારે તેમનો મુડ બદલાઈ રહ્યો છે.
શું ભાજપનો આધાર ખરેખર નબળો પડ્યો છે?
હાલમાં એવું કહેવું કે બ્રાહ્મણ મતદારો ભાજપ છોડીને જતા રહ્યા છે, તે થોડું જલ્દબાજી ગણાશે. 2024ની ચૂંટણીના આંકડા જોઈએ તો 79 ટકા સવર્ણોએ એનડીએને મત આપ્યો હતો. પરંતુ, આ નિષ્ઠા કાયમી નથી. રાજકારણમાં જ્યારે એક સશક્ત વિકલ્પ સામે આવે છે, ત્યારે પરંપરાગત વોટબેંકમાં સેંધ ચોક્કસ પડે છે. સમાજવાદી પાર્ટીએ ભાજપના સામાજિક ગણિતમાં જે ગાબડું પાડ્યું છે, તે એક ચેતવણી છે. ભાજપનું મોડેલ હવે જૂનું થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જનતાનું આકર્ષણ ભાજપના મજબૂત નેતૃત્વમાંથી ઉઠીને હવે બદલાવની અપેક્ષા તરફ વળી રહ્યું છે.
જનતા હવે વિકલ્પ શોધી રહી છે
બ્રાહ્મણોની નારાજગી એ માત્ર કોઈ એક સમાજનો વિરોધ નથી, પણ સરકારની કાર્યશૈલી સામેની અસંતોષની અભિવ્યક્તિ છે. જો ભાજપ સમયસર આ નારાજગીને સમજીને પોતાનો અભિગમ નહીં બદલે, તો 2027માં સત્તાનું સિંહાસન તેમની પાસે નહીં હોય. ઉત્તર પ્રદેશની જનતા હવે ‘પગલે પગલે અપમાન’ સહન કરવા તૈયાર નથી. સમાજવાદી પાર્ટી ભલે એક વિકલ્પ બની રહી હોય, પરંતુ અંતિમ નિર્ણય તો જનતાના હાથમાં છે. બદલાતા સમય સાથે જો ભાજપ પોતાનો જૂનો અહંકાર નહીં છોડે, તો ચોક્કસપણે તેમનું રાજકીય પતન નિશ્ચિત છે.
આ પણ વાંચો:







