
Sonam Wangchuk Hunger Strike: દિલ્હીના જંતર-મંતર પર શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપેલી ગેરરીતિઓ અને કથિત ભ્રષ્ટાચાર સામે ચાલી રહેલું આંદોલન હવે એક ‘જન આંદોલન’નું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પર્યાવરણ કાર્યકર્તા અને શિક્ષણના પ્રખર હિમાયતી સોનમ વાંગચુકે રવિવારે આ પ્રદર્શનમાં જોડાઈને ભૂખ હડતાળ શરૂ કરતા આ મામલો વધુ ગંભીર બન્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતૃત્વમાં ચાલી રહેલા આ પ્રદર્શનનો મુખ્ય સૂર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો અને પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ માટે જવાબદારી નક્કી કરવાનો છે. વાંગચુકે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી અને ત્યારબાદ જંતર-મંતર પહોંચીને અસંખ્ય યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે અનશન શરૂ કર્યું, જેનાથી સરકાર પર દબાણ વધ્યું છે.
‘શિક્ષણ એ આવનારી પેઢીની ચાવી છે’, સોનમ વાંગચુકનો સરકાર પર પ્રહાર
સોનમ વાંગચુકે પ્રદર્શન સ્થળ પર ઉપસ્થિત યુવાનોને સંબોધતા કહ્યું કે, શિક્ષણ છેલ્લા 40 વર્ષથી તેમના હૃદયની નજીકનો વિષય રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ શોખ ખાતર નથી બેઠા, પરંતુ સિસ્ટમની બેદરકારીએ તેમને આ માર્ગે આવવા મજબૂર કર્યા છે. પોતાની કારકિર્દીનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, એન્જિનિયરિંગ કર્યા પછી પણ તેમણે ક્યારેય નોકરી નથી કરી, કારણ કે તેમનું માનવું છે કે દેશના ભવિષ્યની ચાવી શિક્ષણમાં છુપાયેલી છે. જ્યારે વિદ્યાર્થીઓ પોતાની સાથે થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા હોય, ત્યારે શિક્ષણમાં માને છે તે વ્યક્તિ ચૂપ કેવી રીતે રહી શકે? તેમણે સરકારને સંવેદનશીલતા દાખવવાની સલાહ આપતા કહ્યું કે જો સરકારે સમયસર પગલાં લીધા હોત તો દેશના યુવાનોએ આ કાળઝાળ ગરમીમાં રસ્તા પર બેસવાની જરૂર ન પડત.
કથિત આત્મહત્યા કે સંસ્થાકીય હત્યા? અમાયરાના કેસથી ખળભળાટ
આ આંદોલન માત્ર NEET કે પરીક્ષાના ગોટાળા પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ શિક્ષણ સંસ્થાઓમાં ચાલતી ગંભીર બેદરકારીઓના અનેક કિસ્સાઓનો અવાજ બની ગયું છે. જયપુરની નીરજા મોદી સ્કૂલની છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિની અમાયરાના માતા-પિતાએ પણ આ મંચ પરથી ન્યાયની આજીજી કરી હતી. અમાયરા જેનું ગયા વર્ષે સ્કૂલની ચોથી માળ પરથી પડવાથી મૃત્યુ થયું હતું, તેના પરિવારનો આરોપ છે કે આ માત્ર અકસ્માત કે આત્મહત્યા નહીં, પરંતુ સ્કૂલની ગંભીર બેદરકારીનું પરિણામ છે. પોલીસ અને સ્કૂલ મેનેજમેન્ટે મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. આજે જ્યારે અમાયરાનો 10મો જન્મદિવસ હોત, ત્યારે તેના માતા-પિતાની આંખોમાં આસુ હતા અને ન્યાય માટેની ભીખ હતી, જે દર્શાવે છે કે શિક્ષણ જગતમાં કેવી રીતે સત્તાધીશો અને શક્તિશાળી સંસ્થાઓ ગરીબ કે મધ્યમવર્ગીય પરિવારોને દબાવી રહ્યા છે.
ખેડૂત નેતાઓનું સમર્થન: ભાજપ સરકારની સામે વિરોધનો મોટો મોરચો
આ આંદોલન સાથે ખેડૂત સંગઠનો અને સર્વ ખાપ પંચાયત પણ જોડાઈ ગઈ છે, જેનાથી સરકારની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો થયો છે. CJP ના સ્થાપક અભિજીત દીપકેના મસ્તક પર ખાપ પંચાયતે પાઘડી બાંધીને તેમને આ લડાઈની જવાબદારી સોંપી છે. ખેડૂત નેતા અક્ષય કુમારે ઓડિશાથી આવીને સીધી ચેતવણી આપી કે જો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, તો આગામી ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે. એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે કે દિલ્હી પહોંચતા અટકાવવા માટે પ્રદેશના અનેક ખેડૂત નેતાઓને તેમના ઘરોમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. આ દમનકારી નીતિ ભાજપ સરકારની નિષ્ફળતા અને તેમના ભયને સ્પષ્ટ કરે છે. ખેડૂતો અને વિદ્યાર્થીઓનું આ જોડાણ એ સરકારની ‘સબકા સાથ’ વાળી વાતોનો પોલ ખોલી રહ્યું છે.
લોકશાહીમાં શાંતિપૂર્ણ પ્રદર્શન જ એકમાત્ર માર્ગ
જ્યારે સિસ્ટમ બહેરા કાન કરે, ત્યારે લોકશાહીમાં પ્રદર્શન જ એકમાત્ર વિકલ્પ વધે છે, તેવું વાંગચુકે ભારપૂર્વક જણાવ્યું હતું. ભાજપના નેતૃત્વ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જે વાયદાઓ કરીને સત્તા મેળવી હતી, તેને પૂરા કરવામાં આ સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. પરીક્ષામાં થતી ગેરરીતિઓથી લઈને વિદ્યાર્થીઓની સુરક્ષા સુધીના મુદ્દાઓ પર સરકારની મૌન ધારણ કરવાની વૃત્તિ, યુવાનોના ભવિષ્ય સાથેનો ચેડાં છે. વાંગચુકે તમામ નાગરિકોને અપીલ કરી છે કે આને સામૂહિક ભૂખ હડતાળ બનાવો. આ આંદોલન હવે સરકારની જવાબદારી નક્કી કરવાની માગ સાથે એક શક્તિશાળી સામાજિક ગતિવિધિ બની ગયું છે, જે દેશભરના યુવાનોમાં એક નવી જાગૃતિ લાવી રહ્યું છે. શું સરકાર આટલા મોટા જન આક્રોશને જોઈને કોઈ નક્કર કાર્યવાહી કરશે કે પછી સત્તાના મદમાં આ અવાજને પણ દબાવવાનો પ્રયત્ન કરશે? એ તો સમય જ કહેશે.
આ પણ વાંચો:







