
Asaduddin Owaisi Road Namaz: દેશમાં સેક્યુલરિઝમના નારા લગાવીને માત્ર એક જ સમુદાયને નિશાન બનાવવાની શાસક પક્ષની નીતિઓ સામે AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સણસણતો સવાલ ઉઠાવ્યો છે. નવી દિલ્હીમાં આયોજિત ‘ઈદ મિલાપ’ ના એક સાર્વજનિક કાર્યક્રમમાં ગર્જતા ઓવૈસીએ દેશના બંધારણના અનુચ્છેદ ૨૫ (Article 25) નો હવાલો આપીને સત્તાધીશોની શાન ઠેકાણે લાવી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો જાહેર રસ્તાઓ પર નમાઝ પઢવાને ગુનો કે ખોટી પ્રવૃત્તિ ગણવામાં આવતી હોય, તો આ જ નિયમ હેઠળ દેશના તમામ ધર્મોની ધાર્મિક પ્રવૃત્તિઓ, યાત્રાઓ અને ભવ્ય સરઘસો પર પણ સમાન રીતે કાયદાકીય પ્રતિબંધ લાગવો જોઈએ. બંધારણ દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન અને પ્રચાર કરવાની ગેરંટી આપે છે, પરંતુ સરકારી તંત્ર કાયદાનો ઉપયોગ માત્ર લઘુમતીઓને દબાવવા માટે જ કરી રહ્યું છે.
સરકારના બેવડા ધોરણો પર પ્રહાર
ઓવૈસીએ પર્સનલ બ્રાન્ડિંગ અને મીડિયાના સહારે ચાલતી સરકારના બેવડા ધોરણો (Double Standards) ખુલ્લા પાડતા દલીલ કરી છે કે જ્યારે બહુમતી સમુદાયના તહેવારો આવે છે ત્યારે રસ્તાઓ કલાકો સુધી બ્લોક કરી દેવાય છે, જેનાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય છે, પરંતુ તેના પર વહીવટી તંત્ર આંખ આડા કાન કરે છે. તેમણે આકરા પ્રહારો કરતા પૂછ્યું કે, “જો કોઈ ચોક્કસ તહેવાર દરમિયાન હિન્દુ ભાવિકોની લાગણી દુભાતી હોવાના બહાના હેઠળ માંસ, ચિકન અને ઈંડાની દુકાનો બળજબરીથી બંધ કરાવી દેવાતી હોય, તો પછી પવિત્ર રમઝાન માસના આખા ૩૦ દિવસ સુધી દેશભરમાં દારૂના તમામ ઠેકાણા અને દુકાનો કેમ બંધ કરાવવામાં આવતી નથી?” પ્રજાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નફરત ફેલાવતા ભાષણો સામે કોઈ વાંધો નથી હોતો, પરંતુ અઝાન અને નમાઝ સાંભળીને જ કેમ પેટમાં તેલ રેડાય છે?
મુસ્લિમોને હાંસિયામાં ધકેલવાનું વ્યવસ્થિત ષડયંત્ર
અઝાન અને નમાઝના મુદ્દે ચાલી રહેલા સસ્તા રાજકારણ પર રોષ ઠાલવતા હૈદરાબાદના સાંસદે કહ્યું કે, શાસક પક્ષનો દ્વેષ અને નફરત માત્ર મુસ્લિમો વિરૂદ્ધ જ છે. સત્તાધારીઓ આ ધર્મના માનનારા લોકોને માનસિક રીતે તોડીને કાયદાના જોરે હાંસિયામાં ધકેલી દેવા માંગે છે. આ આખો ખેલ ભારતના મુસ્લિમોને પોતાના જ દેશમાં દ્વિતીય કક્ષાના નાગરિક (Second-Class Citizens) બનાવવાનો છે. જ્યારે પણ રમઝાન કે બકરીઈદ જેવા ઇસ્લામિક તહેવારો નજીક આવે છે, ત્યારે સરકારી ઈશારે ગોદી મીડિયા અને કથિત બુદ્ધિજીવીઓ અઝાનથી થતી અસુવિધા અને રોડ પર નમાઝના વાહિયાત મુદ્દાઓ જાણીજોઈને ઉછાળે છે. ઓવૈસીએ સવાલ કર્યો કે, આખરે દેશની જનતા અને સિસ્ટમને મુસ્લિમોના અસ્તિત્વથી જ આટલી બધી તકલીફ કેમ થઈ રહી છે?
તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રસ્તા પરની નમાઝને નિયંત્રિત કરવા અને તેને અલગ-અલગ શિફ્ટમાં પઢવાની ગાઈડલાઈન જારી કરી છે, જે અંતર્ગત કાયદો હાથમાં લેતા પહેલા પોલીસ દ્વારા સમજાવટથી કામ લેવાની વાત કરાઈ છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળની વર્તમાન સરકારે પણ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ પર પરંપરાગત રીતે યોજાતી ઈદની નમાઝ પર સત્તાવાર રોક લગાવી દીધી છે. ટ્રાફિક અને જાહેર વ્યવસ્થા જાળવવાના નામે આખી સભાને બળજબરીપૂર્વક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં સ્થળાંતરિત (Shift) કરી દેવામાં આવી છે. આ સરકારી કાનૂની આદેશો પર વળતો હુમલો કરતા ઓવૈસીએ જણાવ્યું કે, મુસ્લિમો વર્ષમાં માત્ર શુક્રવારની નમાઝ કે ઈદના પવિત્ર પ્રસંગે જ થોડી મિનિટો માટે રસ્તા પર બેસે છે, રોજ નહીં.
એકતરફી સેક્યુલરિઝમ સામે બળવો
ધાર્મિક યાત્રાઓ દરમિયાન દિવસો સુધી હાઈવે અને મુખ્ય રસ્તાઓ ઘેરી લેવાતા હોવા છતાં તેની સામે શાસકો ક્યારેય કોઈ એક્શન લેતા નથી. પક્ષપાતી વહીવટી તંત્રના આવા વલણ સામે નારાજગી વ્યક્ત કરતા ઓવૈસીએ ભારપૂર્વક કહ્યું કે, ભારતમાં સદીઓથી દરેક ધર્મના તહેવારો રસ્તાઓ પર જ ધામધૂમથી ઉજવાય છે, જે ભારતની અસલી ઓળખ છે. પરંતુ આજે ધર્મના નામે રાજકારણ ખેલનારા નેતાઓ માત્ર ઇસ્લામિક પ્રથાઓને જ ટાર્ગેટ કરીને બહુમતીવાદી એજન્ડા સંતોષી રહ્યા છે. સરકારી દમન અને કાયદાના ઓથા હેઠળ મુસ્લિમ સમુદાયના ધાર્મિક સ્વાતંત્ર્યને છીનવવાની આ સત્તાધારીઓની દાદાગીરી હવે લાંબો સમય સહન કરવામાં નહીં આવે.
આ પણ વાંચો:







