
Punjab Local Body Election: કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા વિપક્ષી નેતાઓ અને નાના વેપારીઓને ડરાવવા માટે ઈડી (ED) જેવી કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ સામે પંજાબની જનતાએ બેલેટ પેપરથી આકરો બદલો લીધો છે. પંજાબમાં યોજાયેલી ૧૦૨ નગર નિકાયોની ચૂંટણીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીએ વિપક્ષી કિલ્લાઓ ધ્વસ્ત કરીને શાનદાર વિજય મેળવ્યો છે. ૨૬ મે ૨૦૨૬ના રોજ યોજાયેલા મતદાન બાદ જાહેર થયેલા પરિણામોમાં ‘આપ’ આખા પંજાબમાં એકચક્રી શાસન સ્થાપવામાં સફળ રહી છે. પંજાબની જનતાએ કેન્દ્રના દમનકારી શાસનને નકારીને ભગવંત માન સરકારની લોકહિતની કામગીરી પર મહોર મારી દીધી છે, જે આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે મોટો રાજકીય આંચકો માનવામાં આવે છે.
કેજરીવાલનો ‘ED પાર્ટી’ પર સીધો પ્રહાર
આ ઐતિહાસિક વિજય બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને દિલ્હીના શાસકો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પંજાબના શહેરી વિસ્તારના મતદારોનો દિલથી આભાર માનતા લખ્યું કે, પંજાબની જનતાએ વોટની તાકાતથી દેશની ‘ED પાર્ટી’ (ભાજપ) નો સફાયો કરી નાખ્યો છે. કેન્દ્ર સરકારે કથિત દરોડા (Raids) પાડીને પંજાબના નાના-નાના વેપારીઓ અને સામાન્ય જનતાને જે રીતે માનસિક રીતે હેરાન પરેશાન કર્યા હતા, આજે જનતાએ લોકશાહી ઢબે તેનો અસલી બદલો લીધો છે. પંજાબની ધરતી પર દિલ્હીના ઈશારે ચાલતી એજન્સીઓની આવી દાદાગીરી ક્યારેય સફળ નહીં થાય.
पंजाब में शहरी क्षेत्रों में आम आदमी पार्टी की शानदार जीत के लिए पंजाब के लोगों का दिल से धन्यवाद। सबको बधाई।
लोगों ने ये ऐतिहासिक वोट देकर भगवंत मान सरकार के कामों को शाबाशी दी है। ऐसे ही हम अच्छे काम आगे भी करते रहेंगे।
ED पार्टी का सफ़ाया हो गया। ED पार्टी ने पंजाब के छोटे… pic.twitter.com/NxQI56gEEt
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 29, 2026
૮૬૨ વોર્ડમાં ‘આપ’નો ભવ્ય ભગવો
પંજાબના આઠ મોટા નગર નિગમો– મોહાલી, બઠિંડા, અબોહર, બરનાલા, કપૂરથલા, મોગા, બટાલા અને પઠાણકોટ સહિતના વિસ્તારોમાં થયેલા ભારે મતદાનમાં આમ આદમી પાર્ટીએ વિપક્ષીઓનો પરાજય કર્યો છે. કુલ ૧,૯૭૭ વોર્ડમાંથી અત્યાર સુધી જાહેર થયેલી ૧,૭૬૫ બેઠકોની મતગણતરીમાં આમ આદમી પાર્ટીએ એકલા હાથે ૮૬૨ વોર્ડમાં ભવ્ય જીત હાસલ કરી છે. આ ચૂંટણીમાં ૭,૫૫૪ ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં મુખ્યમંત્રી ભગવંત માનના પોતાના મતવિસ્તાર ‘ધૂરી’ માં તો વિરોધીઓ સુપડા સાફ થઈ ગયા છે. ધૂરીની કુલ ૨૧ બેઠકોમાંથી ‘આપ’ એ ૨૦ બેઠકો પર કબ્જો કરીને વિપક્ષના અસ્તિત્વને જ મિટાવી દીધું છે.
કોંગ્રેસ-અકાલી દળ પાછળ ધકેલાયા
આ ચૂંટણી પરિણામોમાં મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસ માત્ર ૩૪૮ બેઠકો જીતીને બીજા ક્રમે ફેંકાઈ ગયો છે, જ્યારે અપક્ષ ઉમેદવારો ૨૪૨ વોર્ડ જીતીને ત્રીજા સ્થાને રહ્યા છે. પંજાબના સ્થાનિક પક્ષ શિરોમણિ અકાલી દળ (SAD) ને ફાળે માત્ર ૧૬૯ બેઠકો આવી છે. સૌથી ખરાબ હાલત કેન્દ્રમાં સત્તા ભોગવતી અને એજન્સીઓના જોરે કૂદતી ભારતીય જનતા પાર્ટી (BJP) ની થઈ છે, જેને માંડ ૧૩૮ બેઠકો મળી છે અને બહુજન સમાજ પાર્ટી (BSP) માત્ર છ વોર્ડમાં સમેટાઈ ગઈ છે. પંજાબમાં ૨૦૨૭ની શરૂઆતમાં જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, તે પહેલાં આ ચૂંટણી પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે પંજાબમાં બહુમતીવાદ કે સરમુખત્યારશાહીની રાજનીતિ સ્વીકાર્ય નથી.
ભાજપના ૧,૧૪૨ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
પાર્ટીની આ ધમાકેદાર જીતથી ગદગદ થયેલા વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ કેન્દ્રીય શાસકોના ઘમંડને તોડવા બદલ પંજાબના મતદારોની સમજદારીને બિરદાવી છે. સિસોદિયાએ સત્તાવાર આંકડા જાહેર કરતા સણસણતો દાવો કર્યો છે કે, પંજાબની જનતાએ ભાજપની ‘વિશ્વાસઘાત અને ડર’ ની રાજનીતિને એવો કરારો જવાબ આપ્યો છે કે ભાજપના ૧,૧૪૨ ઉમેદવારોની ડિપોઝિટ (જમાનત) સરેઆમ જપ્ત થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર ભલે વિપક્ષી નેતાઓને જેલમાં પૂરીને કે વેપારીઓ પર ઈડીના ત્રાસ ગુજારીને સત્તા મેળવવાના ફાંફા મારતી હોય, પણ પંજાબના સાર્વભૌમ મતદારોએ સાબિત કરી દીધું છે કે અહીં માત્ર જનતાના કામ કરનારી ભગવંત માન અને કેજરીવાલની જોડી જ ચાલશે.
આ પણ વાંચો:







