
Delhi bomb blast: દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં કારમાં માર્યો ગયેલો ઈસમ કાશ્મીરી ડૉક્ટર ઉમર ઉન નબી હોવાનું DNA રિપોર્ટમાં ખુલ્યુ છે,સાથે જ તે જૈશ-એ-મોહમ્મદના લોજિસ્ટિક્સ મોડ્યુલ સાથે સંકળાયેલો હોવાની વાત પણ સામે આવી છે.
ગત તા.10 નવેમ્બરના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ પાછળનું રહસ્ય આખરે ડીએનએ પરીક્ષણ બાદ ખુલ્યું છે. તપાસ એજન્સીઓએ પુષ્ટિ કરી છે,કે કારમાં વિસ્ફોટ દરમિયાન માર્યો ગયેલો ગુનેગાર કાશ્મીરનો ડૉ. ઉમર ઉન નબી હતો.શરૂઆતની પ્રાથમિક તપાસમાં જ ડૉ. ઉમર શંકાના ઘેરામાં હતો જેણે આ ઘટનાના 10 દિવસ પહેલા વિસ્ફોટમાં વપરાયેલી સફેદ હ્યુન્ડાઇ i20 કાર ખરીદી હતી.
કાર વિસ્ફોટ બાદ કારની નજીક તેમના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા, પરંતુ ઓળખ શક્ય નહોતી આખરે પુલવામામાં તેમના પરિવાર પાસેથી એકત્રિત કરાયેલા નમૂનાઓના આધારે DNA પરીક્ષણ બાદ તે વ્યક્તિ ડૉ. ઉમર હોવાની પુષ્ટિ થઈ છે અને તે જ હુમલાખોર હોવાનું સામે આવ્યું છે.
તપાસમાં જાણવા મળ્યું કે ઉમર ફરીદાબાદ, લખનૌ અને દક્ષિણ કાશ્મીર વચ્ચે કાર્યરત જૈશ-એ-મોહમ્મદ (JeM) લોજિસ્ટિક્સ મોડ્યુલ સાથે સંકળાયેલો હતો. આ મોડ્યુલમાં આશરે 9 થી 10 સભ્યો હતા, જેમાં 5 થી 6 ડોકટરોનો સમાવેશ થતો હતો. આ ડોકટરોએ રાસાયણિક પદાર્થો અને વિસ્ફોટક સામગ્રી મેળવવા માટે તેમની વ્યાવસાયિક ઓળખનો ઉપયોગ કર્યો હતો.
9 નવેમ્બરના રોજ એટલે કે વિસ્ફોટના બરાબર એક દિવસ પહેલા, પોલીસે ફરીદાબાદના એક વેરહાઉસમાંથી 2,900 કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું હતું તેના થોડા સમય પછી ડૉ. ઉમર ગુમ થઈ ગયા હતા તેઓને પોલીસ શોધી રહી હતી.દરમિયાન, છેલ્લે ધૌજ ગામ નજીક જોવામાં આવ્યા હતા. તેમણે પોતાના પાંચ મોબાઈલ ફોન બંધ કરી દીધા હતાતપાસ દરમિયાન ડો. ઉમર તા. 30 ઓક્ટોબરથી યુનિવર્સિટી ડ્યુટી પર હાજર થયા ન હોવાનું જણાયું હતું.
આ આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા અન્ય ઘણા વ્યક્તિઓની પણ અટકાયત કરવામાં આવી છે. ફરીદાબાદમાં ધરપકડ કરાયેલ ડૉ. શાહીન શાહિદ, ભારતમાં જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખ, જમાત-ઉલ-મોમિનીનના વડા હોવાનો આરોપ છે. ડૉ. મુઝમ્મિલ અહેમદ અને ડૉ. તજામુલ અહેમદ મલિકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓએ દક્ષિણ કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામીના કાર્યકરોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે, ખાસ કરીને મૌલવી ઇરફાનની ધરપકડ પછી, જેના પર ત્રણ ડૉક્ટરોને કટ્ટરપંથી બનાવવાનો આરોપ છે.પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ઉમર અને ડૉ. મુઝમ્મિલ બંને તુર્કી ગયા હતા, જ્યાં તેમના હેન્ડલર્સે તેમને સૂચનાઓ આપી હતી. તેમના પાસપોર્ટ તુર્કીની મુસાફરીનો પુરાવો દર્શાવે છે, તેઓ ચોક્કસ ટેલિગ્રામ જૂથોમાં જોડાયા પછી ત્યાં ગયા હતા.
આ હેન્ડલર્સે ડૉક્ટર મોડ્યુલને ભારતમાં ફેલાવવા અને ભીડવાળા વિસ્તારોને નિશાન બનાવવા સૂચના આપી હતી.આ ડોકટરોને બે ટેલિગ્રામ ગ્રુપ દ્વારા કટ્ટરપંથી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી એક પાકિસ્તાન સ્થિત જૈશ હેન્ડલર ઉમર દ્વારા સંચાલિત હતું. અધિકારીઓ માને છે કે 2008ના મુંબઈ હુમલા જેવો જ મોટો હુમલો કરવાનો તેઓનો ઈરાદો હતો.
કાશ્મીરના પુલવામાના કોઇલ ગામમાં રહેતા ઉમરનો પરિવાર આઘાતમાં છે.એક સંબંધીએ કહ્યું,”તે ખૂબ જ શાંત અને અંતર્મુખી હતો. તે પોતાનો મોટાભાગનો સમય પુસ્તકો વાંચવામાં વિતાવતો હતો અને કોઈની સાથે વધારે વાત કરતો નહોતો.જોકે, પોલીસ સૂત્રો કહે છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી તેનું વર્તન બદલાઈ ગયું હતું. તે વારંવાર ફરીદાબાદ અને દિલ્હી વચ્ચે મુસાફરી કરતો હતો અને રામલીલા મેદાન અને સુનેહરી મસ્જિદ નજીકની મસ્જિદોમાં જોવા મળતો હતો.સીસીટીવી ફૂટેજમાં પણ તે વિસ્ફોટ પહેલા બપોરે 3 વાગ્યે આજ મસ્જિદ પાસે પોતાની કાર પાર્ક કરતો અને પછી સાંજે લાલ કિલ્લા તરફ જતો દેખાય છે.
હાલમાં,દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ઉત્તર પ્રદેશ એટીએસ સહિત એજન્સીઓ ફરીદાબાદ મોડ્યુલ સાથે જોડાયેલા અન્ય શંકાસ્પદોની શોધ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓએ રાજધાની અને અન્ય મોટા શહેરોમાં હાઇ એલર્ટ જારી કર્યું છે.






