
Indian Fishermen Pakistan Jail: ભારત અને પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પહેલાં પાકિસ્તાનની જેલોમાં બંધ ભારતીય માછીમારોના પરિવારજનોએ બંને દેશોની સરકારોને માનવતાના ધોરણે તેમના સ્વજનોને મુક્ત કરીને વતન પરત મોકલવાની અપીલ કરી છે. અમદાવાદમાં શનિવારે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પરિવારજનોએ 14 અને 15 ઑગસ્ટના અવસરે લાંબા સમયથી જેલમાં રહેલા ભારતીય માછીમારોને મુક્ત કરવાની માંગ ઉઠાવી હતી.
આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન પાકિસ્તાન ઇન્ડિયા પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રસી અને નેશનલ ફિશવર્કર્સ ફોરમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રાજ્યના માછીમારોના પરિવારજનોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
કરાચીની મલિર જેલમાં હજુ પણ 198 ભારતીય માછીમારો બંધ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકર જતિન દેસાઈએ જણાવ્યું કે પાકિસ્તાનના કરાચીમાં આવેલી મલિર જેલમાં હાલમાં 198 ભારતીય માછીમારો બંધ છે. તેમણે જણાવ્યું કે આમાંથી 178 માછીમારો પોતાની સજા પૂર્ણ કરી ચૂક્યા છે અને તેમની ભારતીય નાગરિક તરીકે ઓળખની પણ પુષ્ટિ થઈ ગઈ છે. તેમ છતાં તેઓ હજુ સુધી જેલમાંથી મુક્ત થઈ શક્યા નથી.
દેસાઈએ બંને દેશોની સરકારોને અપીલ કરતાં જણાવ્યું કે સજા પૂર્ણ કરી ચૂકેલા તમામ ભારતીય માછીમારોને તાત્કાલિક મુક્ત કરીને ભારત પરત મોકલવા જોઈએ.
ગુજરાતના સૌથી વધુ માછીમારો જેલમાં
સંગઠનો દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ, કરાચીની મલિર જેલમાં બંધ 198 ભારતીય માછીમારોમાં 144 ગુજરાતના, 24 દીવના અને 18 મહારાષ્ટ્રના છે. મોટાભાગના માછીમારોને કાઉન્સ્યુલર એક્સેસ મળી ચૂક્યો છે, પરંતુ તેમની વતન વાપસી હજુ સુધી શક્ય બની નથી.
સજા પૂર્ણ થયા પછી પણ વર્ષોથી જેલમાં બંધ
જતિન દેસાઈએ જણાવ્યું કે ઘણા માછીમારો વર્ષો પહેલાં પોતાની સજા પૂર્ણ કરી ચૂક્યા છે છતાં તેમની મુક્તિ થઈ નથી.
તેમના જણાવ્યા મુજબ:
- 10 માછીમારોએ 16 જુલાઈ 2021ના રોજ સજા પૂર્ણ કરી હતી.
- 115 માછીમારોએ 16 માર્ચ 2022ના રોજ સજા પૂર્ણ કરી હતી.
- 21 માછીમારોએ 17 નવેમ્બર 2022ના રોજ સજા પૂર્ણ કરી હતી.
- 10 માછીમારોએ 31 જાન્યુઆરી 2023ના રોજ સજા પૂર્ણ કરી હતી.
- 22 માછીમારોએ 18 જુલાઈ 2024ના રોજ સજા પૂર્ણ કરી હતી.
આ તમામ માછીમારો હજુ સુધી પાકિસ્તાનની જેલોમાં જ હોવાનું જણાવાયું છે.
કોવિડ બાદ પરિવારજનો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો
દેસાઈએ જણાવ્યું કે કોવિડ-19 મહામારી પહેલાં જેલમાં રહેલા ભારતીય માછીમારો પોતાના પરિવારજનોને પત્રો મોકલી શકતા હતા અને તેમના જવાબ પણ મળતા હતા. પરંતુ મહામારી બાદ આ પ્રક્રિયા લગભગ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. પરિણામે ઘણા પરિવારોને વર્ષોથી પોતાના સ્વજનો વિશે કોઈ સીધી માહિતી મળી નથી.
ભારતમાં પણ 53 પાકિસ્તાની માછીમારો કેદ
બંને દેશો વચ્ચે 1 જુલાઈએ કેદીઓની તાજેતરની યાદીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ યાદી મુજબ હાલમાં ભારતની જેલોમાં 53 પાકિસ્તાની માછીમારો પણ બંધ છે.
ભારતે પાકિસ્તાન સમક્ષ ઉઠાવી હતી માંગ
વિદેશ મંત્રાલયે 1 જુલાઈના રોજ જણાવ્યું હતું કે પાકિસ્તાનને 188 ભારતીય માછીમારો અને નાગરિક કેદીઓની મુક્તિ તથા વતન વાપસીની પ્રક્રિયા ઝડપી બનાવવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત ભારતે એવા 13 નાગરિક કેદીઓને તાત્કાલિક કાઉન્સ્યુલર એક્સેસ આપવા પણ અપીલ કરી હતી, જેમના ભારતીય નાગરિક હોવાની શક્યતા હોવાનું જણાવાયું છે.
છ વર્ષથી પતિની રાહ જોતી ભાવનાબેનની વ્યથા
આંકડાઓ પાછળ અનેક પરિવારોની પીડાદાયક કહાનીઓ પણ જોડાયેલી છે.
ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના લેરકા ગામની ભાવનાબેન સોલંકી છેલ્લા છ વર્ષથી પોતાના પતિ મહેશભાઈની રાહ જોઈ રહી છે. મહેશભાઈ માછીમારી માટે દરિયામાં ગયા હતા ત્યારે ઘરેથી નીકળતી વખતે તેમણે કહ્યું હતું કે તેઓ માછલી પકડીને ટૂંક સમયમાં પાછા આવી જશે. પરંતુ ત્યારબાદ પરિવારને ખબર પડી કે તેમને પાકિસ્તાનમાં પકડી લેવામાં આવ્યા છે.
ભાવનાબેનના લગ્ન માત્ર 17 વર્ષની ઉંમરે થયા હતા. તેમને બે પુત્રો છે. મહેશભાઈની ધરપકડ સમયે તેમનો નાનો પુત્ર માત્ર પાંચ મહિનાનો હતો. આજે તે શાળામાં અભ્યાસ કરે છે. આ દરમિયાન મહેશભાઈની માતાનું અવસાન થઈ ગયું છે અને ભાવનાબેન પોતાના બંને બાળકો તથા પથારીવશ સસરા સાથે જીવન વિતાવી રહ્યા છે. પરિવાર પાસે આવકના સ્થાયી સાધનો પણ ઉપલબ્ધ નથી.
મંજુબેનનો પુત્ર 2021થી જેલમાં
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કોટડા બંદર ગામની મંજુબેન બારિયા પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.
તેમનો 22 વર્ષીય પુત્ર મયૂર વર્ષ 2021માં માછીમારી દરમિયાન કથિત રીતે પાકિસ્તાની જળસીમામાં પ્રવેશવાના આરોપસર પકડાયો હતો. તે જ વર્ષે મંજુબેનના પતિનું પણ અવસાન થયું હતું.
મંજુબેને જણાવ્યું કે તેમનો પુત્ર જન્માષ્ટમી આસપાસ દરિયામાં ગયો હતો અને ત્યારથી પરિવાર તેની રાહ જોઈ રહ્યો છે. દર વર્ષે રક્ષાબંધન પર તેની બહેનો રાખડી લઈને તેની રાહ જુએ છે, પરંતુ હજુ સુધી તેની વતન વાપસી થઈ નથી.
મજૂરી કરીને પરિવાર ચલાવી રહ્યા છે
આશરે 45 વર્ષીય મંજુબેન હાલમાં ખેતી મજૂર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને એક દિવસની મજૂરી માટે વધુમાં વધુ 300 રૂપિયા મળે છે.
તેમણે જણાવ્યું કે તેઓ ઉપમુખ્યમંત્રી હર્ષ સાંઘવીને મળી ચૂક્યા છે. ગયા વર્ષે તેમણે વિદેશ મંત્રાલયના અધિકારીઓ સમક્ષ પણ પોતાના પુત્ર સહિત તમામ ભારતીય માછીમારોને વહેલી તકે પરત લાવવાની માંગ કરી હતી.
અન્ય પરિવારજનોએ પણ સરકાર સમક્ષ રજૂઆત કરી
ભાવનાબેન અને મંજુબેન ઉપરાંત દીવના વાણકબારાની જાગૃતિબેન ભાવેશભાઈ સોલંકી, જીવેબેન રામજીભાઈ સોલંકી તેમજ કોટડા બંદરની ધનિબેન કાનજીભાઈ બામણિયાએ પણ 7 ઑગસ્ટે ગાંધીનગરમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સાંઘવી સાથે મુલાકાત કરીને પોતાના સ્વજનોની વહેલી તકે મુક્તિ અને ભારત વાપસી માટે રજૂઆત કરી હતી.
માનવતાના આધારે ઝડપી કાર્યવાહી કરવાની માંગ
પરિવારજનો અને સામાજિક સંગઠનોનું કહેવું છે કે સજા પૂર્ણ કરી ચૂકેલા માછીમારોને વર્ષો સુધી જેલમાં રાખવાથી તેમના પરિવારોને ભારે માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમણે ભારત અને પાકિસ્તાન બંને દેશોની સરકારોને સ્વતંત્રતા દિવસના અવસરે માનવતાના ધોરણે કાર્યવાહી કરીને જેલમાં રહેલા માછીમારોને તેમના પરિવારો સાથે ફરી મિલન કરાવવાની અપીલ કરી છે.







