
KDMC:મુંબઈના કલ્યાણ-ડોંબિવલીમાં શિવસેના (UBT) ના ચાર નવા ચૂંટાયેલા કોર્પોરેટરો લાપત્તા થતાં કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં ગુમ કાઉન્સિલર અંગે ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.ગુમ થયેલા કાઉન્સિલરોમાં મધુર મ્હાત્રે, કીર્તિ ધોને, રાહુલ કોટ અને સ્વપ્નિલ કાનેનો સમાવેશ થાય છે.પ્રાપ્ત વિગતો અનુસાર શિવસેના (UBT) કલ્યાણ જિલ્લાના વડા શરદ પાટીલે કલ્યાણના કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં ગુમ વ્યક્તિની ફરિયાદ નોંધાવી છે.પાર્ટીએ માંગ કરી છે કે પોલીસ CCTV ફૂટેજ અને કોલ ડિટેલ રેકોર્ડ (CDR) ની તપાસ કરે.
ઉલ્લેખનીય છે કે KDMCમાં મેયર પદ માટે ખેંચતાણ ચાલુ છે. ૧૨૨ બેઠકોવાળા સદનમાં બહુમતી માટે ૬૨ બેઠકોની જરૂર છે, જેમાં શિંદે જૂથ (૫૩ બેઠકો) અને ભાજપ (૫૦ બેઠકો) મુખ્ય દાવેદાર છે ત્યારે ઉદ્ધવ જૂથની ૧૧ બેઠકોમાંથી ચાર કાઉન્સિલરોની ગેરહાજરી રાજકીય સમીકરણો બદલી શકે છે.
જોકે, ભારે પ્રયાસો છતાં કાઉન્સિલરોનો કોઈ પત્તો ન લાગતા, ઉદ્ધવ ઠાકરે જૂથે કલ્યાણ શહેરમાં “ગુમસુદા” કાઉન્સિલરોના પોસ્ટરો લગાવ્યા છે. સંજય રાઉતે તેને “વિશ્વાસઘાત” ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે પાર્ટી તેમની સામે કડક કાર્યવાહી કરશે.આ ઘટનાએ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે ચકચાર જગાવી છે અને પાર્ટીને શંકા છે કે આ કાઉન્સિલરોને શિવસેનાના એકનાથ શિંદે જૂથ અથવા અન્ય પક્ષો દ્વારા લલચાવવામાં આવ્યા હોય શકે છે.
અહેવાલો અનુસાર,લાપતા થયેલા ચારમાંથી બે કાઉન્સિલરો શિંદે જૂથના સંપર્કમાં હોવાનું કહેવાય છે, જ્યારે અન્ય બે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) માં જોડાઈ રહ્યા હોવાની અટકળો વહેતી થઈ છે.દરમિયાન ફરિયાદના આધારે પોલીસ હાલમાં લાપતા કોર્પોરેટર ને શોધી કાઢવા ટેકનિકલ તપાસ દ્વારા કાઉન્સિલરોના લોકેશનને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા








