
Maharashtra RTI Rules Protest: મહારાષ્ટ્ર સરકાર દ્વારા માહિતીના અધિકાર (RTI) નિયમોમાં કરવામાં આવેલા ફેરફારોએ સમગ્ર રાજ્યના જાગૃત નાગરિકો અને ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકરોમાં ભારે આક્રોશ જન્માવ્યો છે. સરકારે ‘મહારાષ્ટ્ર માહિતી અધિકાર નિયમ, ૨૦૨૬’ લાગુ કરીને જાણે કે પારદર્શિતાના ગળા પર છરી ફેરવી દીધી છે. ગાંધીવાદી વિચારક અણ્ણા હઝારેએ આ નિયમોને સીધા જ “ગેરકાયદેસર” ગણાવીને સરકારને ચીમકી આપી છે કે જો ૫ જુલાઈ સુધીમાં આ કાળા કાયદા પાછા ખેંચવામાં નહીં આવે, તો તેઓ ફરી એકવાર અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલ પર ઉતરશે. RTI એ લોકશાહીનું શસ્ત્ર છે, જેના દ્વારા સામાન્ય માણસ સત્તાના ગલીયારામાં થતા ભ્રષ્ટાચારને બહાર લાવે છે, પરંતુ આ નવા નિયમો દ્વારા સરકારે એ શસ્ત્રને જ લુપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે.
અણ્ણા હઝારેની સરકારને ચેતવણી
અણ્ણા હઝારેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે આ નવા નિયમોનો એકમાત્ર ઉદ્દેશ્ય માહિતી મેળવવાની પ્રક્રિયાને જટિલ બનાવીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનો છે. RTI કાયદાની કલમ ૪ મુજબ, સરકારી વિભાગોએ સ્વયં માહિતી જાહેર કરવી પડે છે, પરંતુ વર્ષો વીતી ગયા હોવા છતાં આ જોગવાઈનો અમલ થતો નથી. હઝારેનો આરોપ છે કે સરકાર વ્યવસ્થાની ખામીઓ સુધારવાને બદલે જે નાગરિકો આ ખામીઓ ઉજાગર કરે છે, તેમને જ દબાવવાનું કામ કરી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે ફી વધારવા પાછળ કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ કે આર્થિક તર્ક નથી. જો ૨૦ વર્ષ બાદ ફી વધારવી જ હોય, તો માહિતી છુપાવનારા અધિકારીઓને મળતો દંડ કેમ વધારવામાં નથી આવતો? આ સવાલ આજે મહારાષ્ટ્રની જનતાના મનમાં ઉઠી રહ્યો છે.
ફીમાં તોતિંગ વધારો
સરકારે RTI અરજીની ફી ૧૦ રૂપિયાથી વધારીને ૩૦ રૂપિયા કરી દીધી છે, જ્યારે અપીલની ફીમાં પણ મોટો વધારો કર્યો છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે જે ડિજિટલ કોપી પહેલા મફત મળતી હતી, તેના માટે પણ હવે પ્રતિ પેજ ૫ રૂપિયા વસૂલવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર કદાચ ભૂલી ગઈ છે કે RTI એ કોઈ કમાણી કરવાનું સાધન નથી, પરંતુ લોકશાહીનું મૂલ્ય છે. આ વધારા પાછળનું ગણિત સાવ સ્પષ્ટ છે—સામાન્ય નાગરિકને માહિતી માંગતા પહેલા ૧૦ વાર વિચારવા મજબૂર કરવો. ગરીબ માણસ જે ભ્રષ્ટાચાર સામે લડવા માટે એક નાની અરજી કરવા માંગતો હોય, તેને આર્થિક રીતે પરાસ્ત કરવાની આ એક સુનિયોજિત રણનીતિ દેખાઈ રહી છે.
ઓળખપત્રની ફરજિયાત શરત
નવા નિયમોમાં RTI અરજી સાથે સ્વ-પ્રમાણિત ફોટો ઓળખપત્ર અપલોડ કરવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. કાર્યકરોનું કહેવું છે કે આ નિયમનો સીધો અર્થ એ છે કે માહિતી માંગનાર વ્યક્તિનું નામ અને સરનામું ભ્રષ્ટ અધિકારીઓ સુધી પહોંચી જશે. વ્હિસલબ્લોઅર, પત્રકારો અને સામાજિક કાર્યકરો જેઓ સત્તાધીશોના કૌભાંડો બહાર પાડે છે, તેમના માટે આ એક ડેથ વોરંટ સમાન છે. જ્યારે દેશમાં માહિતી આપનારાઓને રક્ષણ આપવાની જરૂર છે, ત્યારે સરકાર તેમને સીધા ટાર્ગેટ પર મૂકી રહી છે. શું સરકાર એવું ઈચ્છે છે કે કોઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલે જ નહીં? આ શરત માત્ર પારદર્શિતા ઘટાડવા માટે જ નહીં, પણ સામાન્ય નાગરિકોમાં ભય પેદા કરવા માટે લાદવામાં આવી છે.
એક અરજીમાં માત્ર એક જ વિષય અને ૧૫૦ શબ્દોની મર્યાદા—આ નિયમ એવો છે કે જે RTI અરજીઓને ‘ટેકનિકલ ગ્રાઉન્ડ’ પર રિજેક્ટ કરવા માટે બનાવવામાં આવ્યો છે. જટિલ કૌભાંડોના ખુલાસા કરવા માટે વિગતવાર માહિતીની જરૂર હોય છે, ત્યારે આ મર્યાદા તેને અસંભવ બનાવી દેશે. પૂર્વ કેન્દ્રીય માહિતી કમિશનર શૈલેષ ગાંધી, વિજય કુંભર અને અન્ય દિગ્ગજ કાર્યકરોએ મુખ્ય સચિવને કાનૂની નોટિસ ફટકારીને સ્પષ્ટ કર્યું છે કે જો ૧૫ દિવસમાં આ નિયમો રદ નહીં થાય, તો તેઓ બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે. કાર્યકરોના મતે, નિયમો કાયદાને અમલી બનાવવા માટે હોય છે, તેને નબળો પાડવા કે નાગરિકોના મૂળભૂત અધિકારોને સીમિત કરવા માટે નહીં.
લોકશાહીના કીમતી અધિકારનું ગળું ઘોંટવાનો પ્રયાસ
સમગ્ર રાજ્યમાં ચાલી રહેલો આ વિરોધ એ વાતનો પુરાવો છે કે મહારાષ્ટ્રની જનતા હવે જાગૃત થઈ ગઈ છે. RTI કાયદો સંસદે બનાવ્યો છે, અને રાજ્ય સરકારો પોતાની સગવડ મુજબ તેમાં ફેરફાર કરીને તેના મૂળ સ્વરૂપને બદલી શકતી નથી. કાર્યકરોનું માનવું છે કે આ ફેરફારો પાછળ એવા લોકોનો હાથ છે જેઓ RTI થી ડરે છે. સરકારનું મૌન એ દર્શાવે છે કે તેઓ જનતાના વિરોધને ગંભીરતાથી લઈ રહ્યા નથી. પરંતુ અણ્ણા હઝારેનું મેદાનમાં ઉતરવું એ સરકાર માટે સંકેત છે કે આ લડાઈ હવે આસાન નથી. જો સરકાર હઠાગ્રહ છોડશે નહીં, તો મહારાષ્ટ્રના રસ્તાઓ પર ફરી એકવાર પારદર્શિતા માટેના આંદોલનની આગ ભભૂકશે. લોકશાહીમાં સરકારનું કામ શાસન કરવાનું છે, જનતાને તેમના હકથી વંચિત રાખવાનું નહીં.
આ પણ વાંચો:







