
Rahul Gandhi: કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અત્યાર સુધીનો સૌથી આક્રમક હુમલો કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ વાસ્તવમાં દેશના હિત માટે નહીં, પરંતુ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને અમેરિકી કાયદાના સકંજામાંથી મુક્ત કરાવવા માટેનો એક ‘સોદો’ છે. તેમણે પીએમ મોદીને ‘કમ્પ્રોમાઇઝ્ડ પીએમ’ (સમાધાનકારી વડાપ્રધાન) ગણાવતા કહ્યું કે, પોતાની મિત્રતા નિભાવવા માટે વડાપ્રધાને રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન કર્યું છે. રાહુલ ગાંધીનો આ હુમલો એવા સમયે આવ્યો છે જ્યારે ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલે વિશ્વભરમાં ચર્ચા જગાવી છે.
ન્યૂયોર્ક ટાઈમ્સનો ચોંકાવનારો ખુલાસો: અદાણી સામેના આરોપો પાછા ખેંચાશે?
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા ગૌતમ અદાણી અને તેમના જૂથ સામે મુકવામાં આવેલા ભ્રષ્ટાચારના ગંભીર આરોપો પાછા ખેંચવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અગાઉ, અમેરિકી સુરક્ષા આયોગ (SEC) એ આરોપ લગાવ્યો હતો કે ગૌતમ અદાણી અને સાગર અદાણીએ ભારતમાં સૌર ઉર્જાના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ૨૦૨૦ થી ૨૦૨૪ દરમિયાન ૨૫ કરોડ અમેરિકી ડોલર (અંદાજે ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુ) ની લાંચ આપવાનું કાવતરું ઘડ્યું હતું. જોકે, હવે અમેરિકી ન્યાય વિભાગ આ કેસને પડતો મૂકવાની યોજના બનાવી રહ્યું હોવાના અહેવાલે વિપક્ષને સરકાર પર પ્રહારો કરવાની મોટી તક આપી દીધી છે.
Compromised PM ने trade deal नहीं, अडानी की रिहाई का सौदा किया।
— Rahul Gandhi (@RahulGandhi) May 15, 2026
જયરામ રમેશનો આક્ષેપ: ટ્રમ્પની ધમકીઓ સામે ઝૂકી ગઈ ભારત સરકાર?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ જયરામ રમેશે પણ વડાપ્રધાન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ હેઠળ કામ કર્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે વડાપ્રધાને ભારત-અમેરિકા વચ્ચેના એવા એકતરફી વેપાર કરાર પર કેમ મંજૂરી આપી જે વાસ્તવમાં ભારતની લૂંટ સમાન છે? રમેશે ૧૦ મે ૨૦૨૫ ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ ને અચાનક રોકી દેવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે ટ્રમ્પ વહીવટીતંત્ર ‘મોદાણી’ (મોદી-અદાણી) સામેના ભ્રષ્ટાચારના તમામ કેસ હટાવવા જઈ રહ્યું છે, જે ભારતની વિદેશ નીતિ અને આત્મસન્માન માટે મોટું નુકસાન છે.
ટ્રમ્પના વકીલની એન્ટ્રી અને કાનૂની દાવપેચનો ખેલ
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલના મૂળમાં એક મહત્વની કડી એ છે કે, અદાણી જૂથે પોતાની કાનૂની ટીમમાં રોબર્ટ જે. ગિફ્રા જુનિયરની નિમણૂક કરી છે. ગિફ્રા જુનિયર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત અને વિશ્વાસુ વકીલોમાંથી એક માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, ગિફ્રાએ ગયા મહિને વોશિંગ્ટનમાં ન્યાય વિભાગના મુખ્યાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી, જેમાં તેમણે દલીલ કરી હતી કે પ્રોસીક્યુટર્સ પાસે અદાણી સામે કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા કે અધિકાર ક્ષેત્ર નથી. આ બેઠક બાદ જ અમેરિકી સરકારના વલણમાં પરિવર્તન આવ્યું હોવાનું મનાય છે.
આ સમગ્ર પ્રકરણમાં એક જાગૃત નાગરિક તરીકે અનેક પ્રશ્નો ઉભા થાય છે જેનો જવાબ મળવો અનિવાર્ય છે. શું ખરેખર ભારતની ટ્રેડ ડીલનો આધાર કોઈ એક ઉદ્યોગપતિના કાયદાકીય કેસ પર ટકેલો હોઈ શકે? જો અમેરિકા પાસે અદાણી સામે લાંચના પુરાવા હતા, તો અચાનક વકીલ બદલાતા જ પુરાવાનો ‘અભાવ’ કેવી રીતે સર્જાયો? શું ભારત સરકારની વિદેશ નીતિ રાષ્ટ્રીય હિતોને બદલે ઉદ્યોગપતિઓની સુરક્ષા માટે કામ કરી રહી છે? રાહુલ ગાંધીના આરોપોમાં કેટલી સચ્ચાઈ છે અને સરકાર આ મુદ્દે કેમ મૌન છે? લોકશાહીમાં પારદર્શિતા જનતાનો અધિકાર છે અને જ્યારે ૨૦૦૦ કરોડની લાંચના આરોપો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછળતા હોય, ત્યારે તેની તપાસ દબાવવાને બદલે સત્ય બહાર આવવું જરૂરી છે.
આ પણ વાંચો:







