
Gir Lion Deaths Controversy: ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહો આજે ગીરના જંગલોમાં સરકારી બેદરકારી અને ચેપી રોગચાળાના કારણે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ૧૩ થી વધુ સિંહોના શંકાસ્પદ મોત થઈ ચૂક્યા હોવાની આશંકા છે, પરંતુ વન વિભાગ હંમેશની જેમ વાસ્તવિક આંકડાઓ છુપાવવામાં મસ્ત છે. ગંભીર બાબત એ છે કે વન વિભાગના અધિકારીઓ કાયદાની સરેઆમ ઐસીતૈસી કરીને સિંહોને ગેરકાયદેસર રીતે પાંજરામાં પૂરી રહ્યા છે. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ શેડ્યુલ-૧ માં આવતા સિંહ જેવા વન્યજીવને પાંજરે પૂરવાનો અધિકાર માત્ર ગાંધીનગરમાં બેસતા ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન (PCCF) પાસે જ છે અને આ સત્તા અન્ય કોઈને ડેલિગેટ પણ કરી શકાતી નથી. આમ છતાં, સ્થાનિક સ્તરે સિંહોને કેદ કરીને કાયદાના લીરેલીરા ઉડાડવામાં આવી રહ્યા છે.
રોગનું ઠેકાણું નથી પણ ૧૫ સિંહોને કરી દીધા કેદ!
સરકાર હજુ એ જ નક્કી નથી કરી શકી કે સિંહો કયા વાયરસનો ભોગ બન્યા છે. વન વિભાગ કહે છે કે સિંહોના મોતના સાચા કારણો શોધવા માટે સેમ્પલ ગાંધીનગર સ્થિત ‘ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટર’ માં મોકલવામાં આવ્યા છે. સવાલ એ ઊભો થાય છે કે જો હજુ સુધી સિંહોમાં કયો રોગ છે તે જ પકડાયો નથી, તો પછી કયા આધારે જસાધર અને જામવાળા એનિમલ કેર સેન્ટરમાં ૧૫ થી ૧૭ જેટલા સિંહોને પાંજરામાં પૂરી રાખવામાં આવ્યા છે? જો લક્ષણો જ સ્પષ્ટ ન હોય, તો આ અબોલ જીવો પર કયા પ્રકારની ટ્રાયલ અને ટ્રીટમેન્ટ ચાલી રહી છે તે વન વિભાગ સિવાય કોઈ જાણતું નથી.
પાંજરાની કેદથી સિંહો ગુમાવી રહ્યા છે પોતાનું અસ્તિત્વ
વન્યજીવ વિજ્ઞાનના નિયમો અનુસાર, જ્યારે કોઈ પુખ્ત સિંહને તેની ‘પ્રાઇડ’ (પરિવાર) અને તેની ટેરેટરી (વિસ્તાર) માંથી લાંબા સમય માટે અલગ કરીને પાંજરામાં પૂરી દેવામાં આવે, ત્યારે તે જંગલમાં પાછા ફરવાના પોતાના તમામ અધિકારો ગુમાવી બેસે છે. સિંહ પાંજરામાં હોય તે દરમિયાન જંગલમાં તેની જગ્યા બીજો કોઈ શક્તિશાળી સિંહ લઈ લે છે. પરિણામે, જ્યારે આ સિંહને ફરી જંગલમાં છોડવામાં આવે ત્યારે પ્રભુત્વ મેળવવા માટે ભયંકર ‘ઇનફાઇટ’ (આંતરિક લડાઈ) થાય છે. વન વિભાગની આ અવિચારી નીતિ સિંહોને માનસિક રીતે નબળા પાડીને તેમને મોતના મુખમાં ધકેલી રહી છે.
પક્ષપલટુ વનમંત્રીની હાજરીમાં જ કાયદાના ધજાગરા
ક્યારેક વિપક્ષમાં રહીને વન વિભાગના ભ્રષ્ટાચાર અને કાયદાના ભંગ સામે લાલઘૂમ થનારા અર્જુન મોઢવાડિયા આજે પક્ષપલટો કરીને સત્તાધારી છાવણીમાં જોડાઈ ગયા છે. વનમંત્રી તરીકે ગીરના જામવાળા રેસ્ક્યુ સેન્ટરની મુલાકાતે ગયેલા મોઢવાડિયાની નજર સામે જ કાયદાઓનો ભંગ થયો, પરંતુ તેઓ લાચાર બનીને જોતા રહ્યા. વનમંત્રીએ જંગલમાં સિંહો સાથે બેજવાબદાર રીતે સેલ્ફીઓ લીધી, જે વન્યજીવ સંરક્ષણના પ્રોટોકોલની વિરુદ્ધ છે. જે નેતા ક્યારેક આનંદીબેન પટેલ અને નરેન્દ્ર મોદીની સરકાર પર વન કાયદાના ઉલ્લંઘનના આરોપો લગાવતા હતા, તેઓ આજે સત્તાની ખુરશી બચાવવા માટે અધિકારીઓના ગેરકાયદેસર કૃત્યો પર મૌન મંજુરીની મહોર મારી રહ્યા છે.
૨૦૧૮ થી સક્રિય વાયરસ અને સરકારી જુઠ્ઠાણાંનો પર્દાફાશ
ગીરના સિંહોમાં ચેપી રોગચાળાનો આ ખતરો નવો નથી. વર્ષ ૨૦૧૮ માં જ્યારે પહેલીવાર સિંહોના સામૂહિક મોત થયા, ત્યારે વન વિભાગે તેને સિંહોની ‘અંદરોઅંદરની લડાઈ’ ગણાવીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ખુલાસો થયો કે સિંહોમાં ઘાતક કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયોસિસ વાયરસ ફેલાયો હતો. ૨૦૧૮ માં ૬૦ થી વધુ અને ૨૦૨૧ માં બીજા ૧૨ સિંહોના મોત આ જ બેદરકારીના કારણે થયા હતા. આ ગંભીર વાયરસ સામે લડવા માટે ૨૦૧૮ માં અમેરિકાથી ખાસ રસી મંગાવવાની મોટી-મોટી જાહેરાતો થઈ હતી, પરંતુ તે રસી ક્યાં ગઈ, કેટલા સિંહોને મુકાઈ અને તેના શું પરિણામો આવ્યા, તેની કોઈ જ વિગત સરકારે આજે ૨૦૨૬ સુધી સાર્વજનિક કરી નથી.
માધ્યમો પર પ્રતિબંધ અને રહસ્યમય ઓડિટ
ગીર સોમનાથના ગઢડા અને અમરેલીના બાબરિયાવાડ વિસ્તારના ૧૦ કિલોમીટરના દાયરામાં સિંહોના મોત બાદ આખા વિસ્તારને વન વિભાગે સીલ કરી દીધો છે. જંગલની અંદર સામાન્ય જનતા, વન્યજીવ સંસ્થાઓ કે પત્રકારોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. જંગલની અંદર વૃક્ષોની ઓથમાં વન વિભાગ શું રમત રમી રહ્યું છે તે જોનારું કોઈ નથી. સરકાર વતી માત્ર વન વિભાગના અધિકારીઓ અને વનમંત્રી જ ઓડિટ કરી રહ્યા છે. જનતાને વાસ્તવિક સ્થિતિ જાણવાનો કોઈ અધિકાર જ નથી. વનમંત્રી દાવો કરે છે કે ૧૯મી તારીખથી જ ૫૦૦ જેટલા સિંહોનું ‘ડીવોર્મિંગ’ (જીવાત નાશક પ્રક્રિયા) કરી દેવાયું છે અને સ્થિતિ કાબુમાં છે, પરંતુ સરકારી રિપોર્ટ હજુ સુધી પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવ્યા નથી.
રખડતા પશુઓ અને કૂતરાઓનું ગંભીર જોખમ
ગીર અભયારણ્યની આસપાસના વિસ્તારોમાં આશરે ૮૦,૦૦૦ થી વધુ રખડતા ઢોર અને ૨૨ લાખ જેટલા પાલતુ પશુઓ ફરે છે. આ પશુઓના શરીરમાં રહેલી ‘ઈતરડી’ નામની જીવાત સિંહોમાં વાયરસ ફેલાવવાનું મુખ્ય માધ્યમ છે. આ ઉપરાંત, જંગલની બોર્ડર પર રખડતા કૂતરાઓ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) ના મુખ્ય વાહક છે, જે સિંહો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૮ ના એક રિસર્ચ પેપરમાં પણ આ જોખમ અંગે ચેતવણી અપાઈ હતી. કુદરતી નિયમ મુજબ દીપડાઓનો પ્રિય ખોરાક કૂતરા છે, જે આ વાયરસના ફેલાવાને અટકાવી શકે છે, પરંતુ વન વિભાગે આ દિશામાં કોઈ વૈજ્ઞાનિક મેનેજમેન્ટ કર્યું નથી.
એક જ ટોપલામાં તમામ ઇંડા: નસ્લ સાફ થવાનો ભય
એશિયાટિક સિંહોની ૯૫% વસ્તી સૌરાષ્ટ્રના માત્ર ચાર જિલ્લાઓ—અમરેલી (૩૪૦), ગીર સોમનાથ (૨૨૨), જૂનાગઢ (૧૯૧) અને ભાવનગરમાં કેન્દ્રિત છે. આ સિવાય પોરબંદરના બરડા ડુંગરમાં ૧૬, રાજકોટમાં ૬ અને દેવભૂમિ દ્વારકામાં માત્ર ૧ સિંહ નોંધાયેલ છે. વન્યજીવ નિષ્ણાતો વર્ષોથી બૂમો પાડી રહ્યા છે કે જો આ તમામ સિંહો એક જ ભૌગોલિક વિસ્તારમાં રહેશે અને કોઈ મોટો રોગચાળો ફેલાશે, તો એશિયાટિક સિંહોની આખી નસ્લ એક ઝાટકે સાફ થઈ જશે. સિંહોને અન્ય સુરક્ષિત રાજ્યો કે વિસ્તારોમાં શિફ્ટ કરવાની યોજનાને રાજકીય અહમના કારણે અભરાઈએ ચડાવી દેવાઈ છે. ગીરમાં ચાલતી ખાણકામ (માઇનિંગ) ની પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર રિસોર્ટોને અપાતી મંજૂરીઓ સાબિત કરે છે કે શાસકોને સિંહોના જીવ કરતાં કોર્પોરેટ કમાણીમાં વધુ રસ છે.
આ પણ વાંચો:
Gujarat Jyotigram Scheme Reality: મોદીએ ફાંકા માર્યા તે ન થયું, જનતા પર ઝૂલમ – thegujaratreport.com








