
Ahmedabad Malala Book Controversy: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ગુરુવારે મલાલા યુસુફઝાઈ, ઍન ફ્રેન્ક અને અન્ય લેખકોનાં પુસ્તકોના વાંચન કાર્યક્રમ દરમિયાન હંગામો થયો હતો. નાગરિકોના સમૂહ ‘સ્ટુડન્ટ ઍન્ડ યુથ કલેક્ટિવ’ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા લોકો પહોંચ્યા હતા. આયોજકોનો આરોપ છે કે વિરોધ દરમિયાન કેટલાક લોકો સાથે મારપીટ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે FIR નોંધીને ત્રણ લોકોની ધરપકડ કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
લગભગ 50 લોકો વાંચન માટે એકત્ર થયા હતા
સ્ટુડન્ટ ઍન્ડ યુથ કલેક્ટિવના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ, વકીલો, પ્રોફેસરો અને મીડિયા સાથે સંકળાયેલા લોકો સહિત લગભગ 50 લોકો ગાર્ડનમાં શાંતિપૂર્વક પુસ્તક વાંચવા માટે એકત્ર થયા હતા. કાર્યક્રમમાં ખાસ કરીને ‘આઈ ઍમ મલાલા’ અને ‘ધ ડાયરી ઑફ ઍન ફ્રેન્ક’નું વાંચન કરવામાં આવી રહ્યું હતું. આયોજકોનું કહેવું હતું કે આ કાર્યક્રમ અગાઉ શાળાની રીડિંગ લિસ્ટમાંથી બંને પુસ્તકો દૂર કરવામાં આવ્યા હોવાના વિરોધમાં યોજાયો હતો.
30થી 40 લોકો પહોંચ્યાનો આયોજકોનો આરોપ
કલેક્ટિવના નિવેદન પ્રમાણે, સાંજે આશરે 6:30 વાગ્યે પોતાને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા ગણાવતા આશરે 30થી 40 લોકો ત્યાં પહોંચ્યા હતા. આયોજકોએ આરોપ મૂક્યો કે કેટલાક લોકો પાસે બેઝબોલ બેટ, લાકડીઓ અને લોખંડની લાઠીઓ હતી. વ્યવસાયે પ્રોફેસર અને કલેક્ટિવ સાથે જોડાયેલા સાવન ઝાલરિયાએ જણાવ્યું હતું કે લોકો શાંતિથી વિવિધ પુસ્તકો વાંચી રહ્યા હતા અને તેમાં માત્ર મલાલા તથા ઍન ફ્રેન્કનાં પુસ્તકો જ નહોતાં, પરંતુ ભગત સિંહ, ચે ગેવારા સહિતના લેખકોનાં પુસ્તકો પણ સામેલ હતા.
Gujarat must realise the dangerous path it is treading. How can a state whose people are among the biggest global migrants afford this intolerance at home?
Yesterday, at Ahmedabad’s Vastrapur, public garden, a reading event was disrupted by Bajrang Dal members who objected to… pic.twitter.com/VYResJnBBN— Deepal.Trivedi (@DeepalTrevedie) August 28, 2026
છ લોકો ઘાયલ થયાનો દાવો
સાવન ઝાલરિયાના જણાવ્યા પ્રમાણે, લાકડીઓ અને લોખંડની સળિયા સાથે આવેલા લોકોએ ત્યાં હાજર લોકો પર હુમલો કર્યો હતો અને ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા હતા. બીજી તરફ પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતોમાં હુમલાખોરોની સંખ્યા અંગે અલગ આંકડો સામે આવ્યો છે. વસ્ત્રાપુર પોલીસના જણાવ્યા પ્રમાણે, પુસ્તક વાંચન માટે આશરે 20 લોકો એકત્ર થયા હતા અને ત્યારબાદ 18થી 20 લોકોનું એક જૂથ ત્યાં પહોંચ્યું હતું. આ જૂથે પુસ્તકની પસંદગી સામે વિરોધ કર્યો હતો.
‘આઈ ઍમ મલાલા’ વાંચવા સામે સવાલ
પોલીસના જણાવ્યા પ્રમાણે, રીડિંગ સેશન પૂર્ણ થયા બાદ જ્યારે લોકો ગાર્ડનમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે વિરોધ કરનાર જૂથ ફરી ત્યાં પહોંચ્યું હતું. તેમણે સવાલ કર્યો હતો કે મલાલા યુસુફઝાઈની આત્મકથા ‘આઈ ઍમ મલાલા’ શા માટે વાંચવામાં આવી રહી હતી. આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે. અહેવાલો અનુસાર, રમખાણ, ગેરકાયદેસર રીતે એકત્ર થવા અને શારીરિક પીડા પહોંચાડવા સંબંધિત ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
બજરંગ દળની સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ વધુ વકર્યો
બજરંગ દળ ગુજરાતના સત્તાવાર X હેન્ડલ પરથી પણ આ ઘટનાને લઈને પોસ્ટ કરવામાં આવી હતી. તેમાં બોપલની આનંદ નિકેતન સ્કૂલમાં મલાલા યુસુફઝાઈનું પુસ્તક વિદ્યાર્થીઓને વાંચવા માટે આપવામાં આવતું હોવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં મલાલાને ભારતના કાશ્મીર મુદ્દે વિરોધ કરનાર તરીકે રજૂ કરવામાં આવી હતી અને પુસ્તકના વાંચનને ‘પાકિસ્તાન-સમર્થક માનસિકતા’ સાથે જોડવામાં આવ્યું હતું. પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે સંગઠને પહેલા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને વાત ન માનવામાં આવતા ‘બજરંગી ભાષામાં’ સમજાવ્યું હતું.
#Ahemdabad बोपल की आनंद निकेतन स्कूल में पाकिस्तान की मलाला यूसुफजई की किताब बच्चों को पढ़ाए जाने का मामला सामने आया। कश्मीर मुद्दे पर भारत का विरोध करने वाली मलाला की किताब को लेकर बजरंग दल ने विरोध किया, जिसके बाद स्कूलने इसका पठन बंद कर दिया।अब इसी किताब का पठन-पाठन दोबारा 2/1 pic.twitter.com/RhddthRjHO
— Bajrang Dal Gujarat (@Bajrangdal_Guj) August 27, 2026
11 ઑગસ્ટથી વિવાદની શરૂઆત
આ સમગ્ર વિવાદની શરૂઆત 11 ઑગસ્ટે થઈ હતી. અહેવાલો મુજબ, અમદાવાદની આનંદ નિકેતન શિલાજ સ્કૂલમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે મલાલા યુસુફઝાઈનું ‘આઈ ઍમ મલાલા’ અને ઍન ફ્રેન્કનું ‘ધ ડાયરી ઑફ એ યંગ ગર્લ’ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. વાલીઓના એક વર્ગ અને દક્ષિણપંથી સંગઠનોએ પુસ્તકો સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને ‘વાંધાજનક સામગ્રી’ ભણાવવામાં આવી રહી હોવાનો આરોપ લગાવી શાળા પરિસરમાં વિરોધ કર્યો હતો.
શાળાને 10 હજાર રૂપિયાનો દંડ
અહેવાલો અનુસાર, શાળા દ્વારા નિયુક્ત કન્સલ્ટન્ટે અભ્યાસક્રમમાં ફેરફાર કરીને બંને પુસ્તકોનો સમાવેશ કર્યો હતો. આ શાળા Council for the Indian School Certificate Examinations એટલે કે CISCE સાથે સંકળાયેલી છે. વિવાદ બાદ શિક્ષણ વિભાગે શાળાને નોટિસ પાઠવી અને ₹10,000નો દંડ ફટકાર્યો હતો. જિલ્લા વહીવટી અધિકારી તરફથી નોટિસ મળ્યા બાદ શાળાએ બંને પુસ્તકોને ફરજિયાત રીડિંગ લિસ્ટમાંથી દૂર કર્યા હતા. કન્સલ્ટન્ટ મુનઝ્ઝા શમ્સને પણ તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
પુસ્તકોના સમર્થનમાં સ્ટુડન્ટ ઍન્ડ યુથ કલેક્ટિવ
આ કાર્યવાહી બાદ સ્ટુડન્ટ ઍન્ડ યુથ કલેક્ટિવે શાળાના સમર્થનમાં નિવેદન જાહેર કર્યું હતું. સમૂહે બાહ્ય સંગઠનોને શાળાની શૈક્ષણિક બાબતોમાં દખલ ન કરવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે અર્થપૂર્ણ શિક્ષણનો અર્થ માત્ર પાઠ્યપુસ્તકો સુધી મર્યાદિત રહેવાનો નથી. વિદ્યાર્થીઓને વિવિધ મહત્વપૂર્ણ પુસ્તકો અને સંસાધનો સાથે જોડાવાની તક મળવી જોઈએ.
મલાલા અને ઍન ફ્રેન્કનાં પુસ્તકો અંગે દલીલ
કલેક્ટિવે બંને પુસ્તકોને વિદ્યાર્થીઓ માટે વાંચવા અને સમજવા માટે મહત્વપૂર્ણ ગણાવ્યાં હતા. તેમના જણાવ્યા પ્રમાણે, મલાલા યુસુફઝાઈની આત્મકથા પાકિસ્તાનમાં મહિલાઓ, બાળકો અને ખાસ કરીને છોકરીઓના શિક્ષણના અધિકાર માટેના તેમના સંઘર્ષને રજૂ કરે છે. બીજી તરફ ઍન ફ્રેન્કની ડાયરી નાઝી શાસન અને હોલોકોસ્ટ દરમિયાનના જીવનનો ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ વ્યક્તિગત દસ્તાવેજ છે.
હવે તપાસ પર નજર
પુસ્તકોના વાંચનથી શરૂ થયેલો વિવાદ હવે મારપીટના આરોપો, પોલીસ ફરિયાદ અને ધરપકડ સુધી પહોંચ્યો છે. એક તરફ આયોજકો શાંતિપૂર્ણ વાંચન કાર્યક્રમમાં વિક્ષેપ અને હુમલાનો આરોપ લગાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ બજરંગ દળે પોતાના વિરોધને પુસ્તકો અને તેમની પસંદગી સામેની કાર્યવાહી તરીકે રજૂ કર્યો છે. પોલીસ દ્વારા FIR બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. હવે તપાસમાં હંગામા દરમિયાન ખરેખર શું બન્યું, કોણે કોની સાથે મારપીટ કરી અને સમગ્ર ઘટનામાં કયા લોકોની ભૂમિકા હતી તે સ્પષ્ટ થવાની રાહ જોવાઈ રહી છે.









