
Donald Trump: પાકિસ્તાનમાં ઈરાન-અમેરિકા વચ્ચેની શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ હવે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ ‘ઓપરેશન બ્લોકેડ’ શરૂ કરી અરબ સાગર અને હોર્મુઝની ખાડીમાં અમેરિકી નૌકાદળના 15થી વધુ વિધ્વંસક જહાજો તૈનાત કરી નાકાબંધી શરૂ કરી છે, અમેરિકાના સ્ટીલ્થ ફાઈટર જેટ્સ F-35B સતત ફ્લાય કરી ઈરાનની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.
દરમિયાન,ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે ઈરાન નેવીના 158 જહાજો અમે પહેલેથી જ નષ્ટ કરી દીધા છે હવે ઈરાન પાસે નેવી જેવું કંઈ બચ્યું નથી હવે ઈરાન પાસે માત્ર નાની ફાસ્ટ એટેક બોટ છે જે અમારા જહાજોની નજીક આવવાની હિંમત કરશે, તો અમે તેને ખતમ કરી દઈશું ટ્રમ્પની ધમકી સામે ઈરાનની સેનાએ પણ વળતી ધમકી આપી છે કે જો તેમના તેલ નિકાસ કે બંદરોને અમેરિકા દ્વારા કોઈ નુકસાન કરવામાં આવશે તો ઈરાન તેનો વળતો બદલો લેશે અને અરબ સાગર અને ઓમાનની ખાડીમાં કોઈપણ દેશના બંદરોને સુરક્ષિત રહેવા દેશે નહીં.
હોર્મુઝની ખાડીને લઈને ચાલી રહેલા વૈશ્વિક તણાવ અને અમેરિકાની કડક નાકાબંધી વચ્ચે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ઈરાને જાહેર કર્યું છે કે તે હોર્મુઝમાંથી પસાર થતા ભારતીય જહાજો પાસેથી કોઈ પણ પ્રકારનો ‘ટોલ ટેક્સ’ વસૂલશે નહીં. ઈરાને ભારતને પોતાનો અત્યંત વિશ્વસનીય સાથી ગણાવીને મુશ્કેલ સમયમાં સુરક્ષિત રસ્તો આપવાની ખાતરી આપી છે.
ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તમે ભારત સરકારને પૂછી શકો છો કે શું અમે અત્યાર સુધી કોઈ રકમ વસૂલી છે? મુશ્કેલ સમયમાં પણ અમારા સંબંધો મજબૂત છે. અમારું માનવું છે કે ભારત અને ઈરાનના હિતો એક સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય જહાજોને ભવિષ્યમાં પણ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થવા દેવામાં આવશે.
આ એલાન એવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની બંદરો પર સંપૂર્ણ નાકેબંધી જાહેર કરી છે. આ દરમિયાન ભારતના જળમાર્ગ મંત્રાલયે માહિતી આપી છે કે હોર્મુઝમાં ફસાયેલા 15 ભારતીય જહાજોને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય સાથે મળીને પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. બીજી તરફ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ ઈરાન પરની અમેરિકી નાકાબંધીને સમર્થન આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે.
આમ,ઈરાન અને અમેરિકા વચ્ચે ઘૂચવાયેલા કોકડામાં અન્ય દેશોએ અમેરિકાને સમર્થન આપવાનો ઇન્કાર કર્યો છે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં થયેલી પ્રથમ રાઉન્ડની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ હવે બીજા રાઉન્ડ માટે પાકિસ્તાને જ ફરી યજમાન બનવાની દરખાસ્ત મૂકી છે. જોકે જોવાનું રહેશે કે શું ઈરાન અને અમેરિકા ફરી પાકિસ્તાનમાં જ શાંતિ મંત્રણા કરશે કે પછી આ વખતે કોઈ નવી જગ્યા નક્કી કરાશે આ પહેલા પુતિન પણ આ વાત કહી ચુક્યા છે હવે જોવાનું એ રહે છે કે ફરી બીજા રાઉન્ડની મંત્રણા ક્યાં અને કેવી રીતે થશે? પણ ત્યાં સુધી યુદ્ધ વિરામ હજુ અમલમાં છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







