
Media Ethics India: ભારત જેવા લોકશાહી દેશમાં મીડિયાને ચોથો સ્તંભ માનવામાં આવે છે, પરંતુ વર્તમાન સમયમાં દેશની વાસ્તવિક હકીકત જેવી છે તેવી સમાચારોમાં દેખાડવામાં આવતી નથી તે એક કડવું સત્ય છે. દેશનું આ મોટું દુર્ભાગ્ય છે કે જ્યાં જનતાના પાયાના પ્રશ્નો અને સળગતી સમસ્યાઓ સરકારી જાહેરાતોના થપ્પા નીચે દબાઈ જાય છે. ગુજરાત સહિત દેશના મોટાભાગના અગ્રણી મીડિયા હાઉસો સત્તા સામે મૌન સેવીને બેઠા છે અથવા તો માત્ર સરકારની વાહવાહી કરતા સમાચારો પીરસી રહ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ લાખો-કરોડો રૂપિયાની મળતી સરકારી જાહેરાતો છે. જ્યારે મીડિયા સંસ્થાઓ આર્થિક લાભ માટે સમાચારોનું સ્તર ઘટાડી દે છે, ત્યારે નુકસાન માત્ર અને માત્ર દેશની જનતાને થાય છે.
એક વર્ષ જાહેરાતો બંધ થાય તો જ બહાર આવે દેશની સાચી હકીકત
જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર નાગરિકોને દેશહિતમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો કરવા કે અન્ય આર્થિક ત્યાગ આપવાની સલાહ આપે છે, તેમ સરકારે પણ એક મોટું પગલું ભરવાની જરૂર છે. જો સરકાર માત્ર એક વર્ષ માટે તમામ સમાચાર કંપનીઓને આપવામાં આવતી સરકારી જાહેરાતો પર પ્રતિબંધ મૂકી દે, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. જો મીડિયાને મળતી આ આર્થિક મદદ અટકી જાય, તો જ તે નિષ્પક્ષ રીતે જનતાની પીડા અને સરકારની નિષ્ફળતાઓને લોકો સામે લાવી શકશે. પ્રશ્ન એ થાય છે કે શું સરકાર અને મીડિયા હાઉસો આ ‘સત્યના પ્રયોગ’ માટે તૈયાર છે?
પ્રજાના પરસેવાની કમાણી અને રાજકીય પક્ષોની વાહવાહી
સરકારી તિજોરી એટલે કે જનતાના પરસેવાના પૈસાનો ઉપયોગ નેતાઓની વ્યક્તિગત વાહવાહી અને મોટા-મોટા ફોટાવાળી જાહેરાતો પાછળ કરવામાં આવે છે, જેનાથી સામાન્ય પ્રજાને કોઈ જ ફાયદો થતો નથી. જો રાજકીય પક્ષોને પોતાની પ્રસિદ્ધિનો એટલો જ શોખ હોય, તો તેમણે સરકારી તિજોરીને બદલે પોતાના પક્ષના ફંડમાંથી આ ખર્ચ કરવો જોઈએ. પ્રજાના પૈસે થતા આ ખોટા ખર્ચાઓ અટકાવવા તે દેશહિતમાં અનિવાર્ય છે. સવાલ એ છે કે નેતાઓને પ્રજાના પૈસા ઉડાવવાની આ છૂટ કોણે આપી? શું આ નાણાંનો ઉપયોગ શિક્ષણ કે આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ સુધારવા માટે ન થઈ શકે?
નેતાઓની જાહેર સભાઓ અને સરકારી તિજોરી પર પડતો ખોટો બોજ
વાત માત્ર વર્તમાનપત્રોની જાહેરાતો પૂરતી સીમિત નથી, પરંતુ નેતાઓની ભવ્ય જાહેર સભાઓ અને એવા તમામ સરકારી કાર્યક્રમો કે જેમાં પ્રજાનું કોઈ હિત છુપાયેલું નથી, તેના પાછળ થતો અંધાધૂંધ ખર્ચ પણ અટકવો જોઈએ. ભારતનું એ દુર્ભાગ્ય છે કે સત્તા પર બેઠેલા કોઈ પણ પક્ષના નેતાઓમાં આ બિનજરૂરી ખર્ચાઓ અટકાવવાની હિંમત જોવા મળી નથી. ભાજપ હોય કે કોંગ્રેસ, તમામ પક્ષો કોઈ ને કોઈ રીતે આ વ્યવસ્થાનો લાભ લેતા આવ્યા છે. જ્યારે સામાન્ય જનતાને કરવેરાના બોજ હેઠળ દબાવવામાં આવે છે, ત્યારે નેતાઓ માટે આ ખર્ચાઓ માત્ર એક ‘સરકારી પ્રક્રિયા’ બનીને રહી જાય છે.
ન્યાયતંત્રનું મૌન અને મીડિયા માલિકોની કથિત ભલામણો
આશ્ચર્યની વાત તો એ છે કે જનતાનું હિત જાળવવા માટે સુપ્રીમ કોર્ટ પણ આવા ખોટા સરકારી ખર્ચાઓ પર અંકુશ લાવવા માટે કોઈ સુઓમોટો રિટ કે કડક નિર્દેશો આપવાનું મુનાસીબ માનતી નથી. બીજી તરફ, મીડિયા જગતના માલિકો પણ આવા કડવા સત્ય લખનારા પત્રકારોથી નારાજ રહે છે. આક્ષેપ છે કે મીડિયા માલિકો ઘણીવાર સત્તાધીશોને ભલામણ કરે છે કે સત્ય લખનારાઓ સામે કેસો ઊભા કરવામાં આવે, જેથી ‘વ્યવસ્થા’ જળવાઈ રહે. કોઈ પણ મીડિયા હાઉસે અત્યાર સુધી એવી જાહેરાત નથી કરી કે અમે લોકહિતમાં સરકારી જાહેરાતો સ્વીકારવાનું બંધ કરીશું. જ્યાં સુધી મીડિયા અને નેતાઓ વચ્ચેનું આ આર્થિક ગઠબંધન નહીં તૂટે, ત્યાં સુધી જનતાને માત્ર ‘સુફિયાણી વાતો’ જ મળતી રહેશે.
આ પણ વાંચો:








