
Ram Mandir Corruption Controversy: અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે કરોડો હિન્દુઓએ પોતાની શ્રદ્ધા અને કમાણીમાંથી દાન આપ્યું હતું, પરંતુ આજે તે જ આસ્થા પર ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગ્યું હોય તેવા ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગુજરાતનું રામ મંદિર સાથેનું જોડાણ અતૂટ છે; અયોધ્યા પછી જો કોઈ રાજ્યએ સૌથી વધુ આર્થિક અને રાજકીય સમર્થન આપ્યું હોય તો તે ગુજરાત છે. રાજ્યના ખૂણે-ખૂણેથી એકત્રિત થયેલા દાન, સોના-ચાંદીની વસ્તુઓ અને અબજો રૂપિયાના ફંડ બાદ હવે રામ મંદિર ટ્રસ્ટ પર ગંભીર આરોપો લાગ્યા છે. મંદિરના ચઢાવામાંથી લાખો-કરોડો રૂપિયાની ચોરી, સોનાની ઈંટો ગાયબ થવી અને સીસીટીવી ફૂટેજ ડિલીટ કરી દેવા જેવા ચોંકાવનારા કિસ્સાઓએ સમગ્ર દેશના આસ્તિકોને આઘાતમાં મૂકી દીધા છે. જ્યારે આસ્થાના કેન્દ્રમાં જ ભ્રષ્ટાચારના મૂળિયાં ખોદાઈ રહ્યા હોય, ત્યારે સવાલો સરકારની નિયત પર ઉભા થવા સ્વાભાવિક છે.
સત્તાધારી પક્ષના ગઠબંધન અને ટ્રસ્ટની શંકાસ્પદ ભૂમિકા
રામ જન્મભૂમિનો મામલો શુદ્ધ રૂપે ધાર્મિક હતો, પરંતુ તેમાં સરકારે હસ્તક્ષેપ કરીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. જે લોકોએ વર્ષો સુધી ન્યાયાલયમાં પક્ષકાર બનીને લડાઈ લડી, તેવા નિર્મોહી અખાડા અને અન્ય ધર્માચાર્યોને સાઈડલાઈન કરીને પોતાની મરજીના લોકોને ટ્રસ્ટમાં બેસાડવામાં આવ્યા. આ આક્ષેપ છે કે આ ટ્રસ્ટ માત્ર રામ મંદિરના સંચાલન માટે નહીં, પરંતુ ભ્રષ્ટાચારને છુપાવવા માટે બનાવવામાં આવ્યું હતું. આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ પર સીધો આરોપ છે કે તેમણે રામ મંદિરને પોતાની રાજકીય અને આર્થિક ઓફિસ બનાવી દીધી છે. જ્યારે ધર્મસ્થળ પર કબજો જમાવીને તેમાં આર્થિક હેરાફેરી થાય, ત્યારે તેને ‘મહાપાપ’ અને ‘અધર્મ’ સિવાય બીજું શું કહી શકાય? તપાસની માંગ ઉઠાવનારા મહામંડલેશ્વરો પણ હવે એવું કહી રહ્યા છે કે આ ભ્રષ્ટાચારની તપાસ પ્રધાનમંત્રીએ પોતે કરવી જોઈએ, કારણ કે મંદિરનું નિર્માણ તેમના નેતૃત્વમાં થયું છે.
ભ્રષ્ટાચારના આ મામલે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચવામાં આવેલી એસઆઈટી (SIT) પર જ લોકોનો વિશ્વાસ રહ્યો નથી. આ અગાઉ ૨૦૨૨માં પણ આ જ રીતે એસઆઈટી બનાવવામાં આવી હતી, જેનો રિપોર્ટ આજ સુધી જાહેર થયો નથી. ફરિયાદીઓનો સીધો આરોપ છે કે આ પ્રકારની તપાસ સમિતિઓ માત્ર મુદ્દાને ઠંડો પાડવા અને જનતામાં ભ્રમ પેદા કરવા માટે બનાવવામાં આવે છે. ચોરીના પુરાવા રૂપે સીસીટીવી ફૂટેજ ડિલીટ કરવા અને લાખોની રકમની હેરફેરની વાત હવે કોઈ નાની ઘટના રહી નથી. જ્યારે સ્થાનિક પોલીસ ફરિયાદ લેવા તૈયાર ન હોય અને સરકાર પોતાની જ એજન્સીઓ દ્વારા તપાસ કરાવવાનું નાટક કરતી હોય, ત્યારે ન્યાયની આશા કોની પાસે રાખવી? વિરોધ પક્ષના નેતાઓ પણ આ તપાસ પર સવાલ ઉઠાવી રહ્યા છે કે, “તપાસ કરનાર કોણ છે? સરકાર પોતે! તો નિષ્પક્ષતાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?”
ગુજરાતના સપૂતોનું દાન અને રાજકીય મજબૂરી
ગુજરાતમાંથી એકલા ૫૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ રામ મંદિર માટે ગઈ છે, જેમાં મુખ્ય દરવાજા, ચાંદીની વસ્તુઓ અને લાખોની સંખ્યામાં સોનાની વસ્તુઓ સામેલ છે. ભાજપ માટે રામ મંદિર એ માત્ર આસ્થાનો વિષય નથી, પણ રાજકીય સત્તા સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ રહ્યો છે. એલ.કે. અડવાણીની રથયાત્રાથી લઈને આજ સુધી, આ મંદિર પર રાજનીતિ કરનારાઓ આજે જવાબદારી લેવાથી કેમ દૂર ભાગે છે? ડોક્ટર પ્રવીણ તોગડિયા જેવા નેતાઓ અને વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંઘલ જેવા મહાનુભાવોના આંદોલનને જે રીતે રાજકીય રંગ આપવામાં આવ્યો, તે આજે ભ્રષ્ટાચારના કાદવમાં ખૂંપી ગયું છે. લોકો હવે જાહેરમાં પૂછી રહ્યા છે કે જે રામના નામ પર વોટ માંગ્યા અને દાન ઉઘરાવ્યું, શું તે રામના દરબારમાં ચોરી કરવાની તમને છૂટ આપે છે?
આસ્થાનું અપમાન: ન્યાયિક તપાસ કે તપાસનું નાટક?
આ મામલે હાઈકોર્ટના સીંગલ જજ દ્વારા સમયબદ્ધ તપાસની માંગ વધુને વધુ પ્રબળ બની રહી છે. એસઆઈટી (SIT) જેવી ભ્રામક વ્યવસ્થા પર કોઈને આસ્થા નથી, કારણ કે આમાં સામેલ લોકો ખૂબ શક્તિશાળી અને સત્તાના વર્તુળની નજીકના છે. ચંપત રાય બંસલ, અનિલ મિશ્રા, ગોપાલ રાવ અને ટીન્નુ યાદવ જેવા નામો આ ભ્રષ્ટાચારમાં વારંવાર ઉછળી રહ્યા છે. લોકોનું માનવું છે કે વિના મોટા રાજકીય નેતાઓની મિલીભગત વગર આટલી મોટી ચોરી શક્ય નથી. શું આટલા વર્ષોનો સંઘર્ષ આ પરિણામ જોવા માટે હતો? આખા દેશના હિન્દુઓ માટે આ એક ડૂબી મરવાનો વિષય છે.
જવાબદારી કોની?
રામ મંદિરની પવિત્રતાને જાળવી રાખવી એ માત્ર સરકારની નહીં, પણ દરેક હિન્દુની જવાબદારી છે. જો આ રીતે રામ મંદિરના ચઢાવામાંથી ચોરી થતી રહેશે, તો આવનારી પેઢી ક્યારેય માફ નહીં કરે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મામલે મૌન તોડીને નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ કરાવવી જોઈએ. જ્યારે કાશી વિશ્વનાથ, કેદારનાથ અને મહાકાલ લોકમાં પણ ભ્રષ્ટાચારના સમાચારો આવે છે, ત્યારે તે એક પેટર્ન દર્શાવે છે. જનતા હવે આસ્થાના નામે છેતરાવા તૈયાર નથી. સરકાર જો ઈમાનદાર હોય, તો તપાસની જવાબદારી એસઆઈટી નહીં, પણ ન્યાયમૂર્તિને સોંપવી જોઈએ, જેથી સત્ય સામે આવે અને દોષિતો ગમે તેટલા શક્તિશાળી હોય, જેલના સળિયા પાછળ જાય.
આ પણ વાંચો:









